અમેરિકાના સંક્રમિત રોગોના ટોચના નિષ્ણાત અને વૈજ્ઞાનિક ડો.એન્થની ફોસીએ એવી ચેતવણી આપી છે કે જો દુનિયાભરના દેશો કોરોના વાઇરસના કેસોમાં યોગ્ય રીત અને કાર્યવાહી નહીં અપનાવે તો કોરોના વાઇરસ ૧૯૧૮માં ફેલાયેલ સ્પેનિશ ફલૂ મહામારી જેવું ગંભીર સ્વરૂપ લઇ શકે છે કે જેમાં પાંચથી દસ કરોડ લોકો માર્યા ગયા હતા.
ડો. ફોસીએ આ વાત જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં આયોજિત ગ્લોબલ હેલ્થ ઇનિશિયેટિવ સેમિનારમાં જણાવી હતી. તેમણે યાદ અપાવ્યું હતું કે ૧૯૯૮માં ફેલાયેલ સ્પેનિશ ફ્લૂ મહામારીમાં પાંચથી દસ કરોડ લોકોનાં મોત થયાં હતાં. આ દુનિયાની સૌથી ભયાનક મહામારી હતી. હું આશા રાખું છું કે કોરોનાની બાબતમાં આવી સ્થિતિ સર્જાય નહીં, પરંતુ એક હકીકત છે કે કોરોનાએ આવી શરૂઆત કરી દીધી છે.
ડો. ફોસીએ વધુમાં જણાવ્યું હતું કે દુનિયાભરના દેશોની લાપરવાહી અને માનવીય ભૂલોના કારણે કોરોનાની બીમારી દિન-પ્રતિદિન વધુ ને વધુ ગંભીર બનતી જાય છે, જો કે એમણે આશા વ્યક્ત કરી છે કે અત્યારે જેની ટ્રાયલ ચાલી રહી છે તેવી કોરોના પ્રતિરોધક રસી અને દવાના કારણે આ બીમારી અટકાવવામાં આપણે સફળ રહીશું. ડો. એન્થની ફોસીની સાથે સેમિનારમાં ઉપસ્થિત સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC)ના ડાયરેક્ટર ડો.રોબર્ટ રેડફિલ્ડે જણાવ્યું છે કે અમેરિકામાં ૩૪ લાખથી વધુ લોકો કોરોના પોઝિટિવ છે. આ સંખ્યા હજુ વધી શકે છે, કારણ કે હજુ અસંખ્ય એવા લોકો છે કે જેમનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું નથી.
ડો. રેડફિલ્ડે જર્નલ ઓફ ધી અમેરિકન મેડિકલ એસોસિયેશનને ટાંકીને જણાવ્યું હતું કે જો કોઇ દવા કારગત નહીં નીવડે તો કોરોના વાઇરસ સામે ઝઝૂમતાં બેથી ત્રણ વર્ષ લાગશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોરોનાને લઇ સૌથી ખતરનાક બાબત એ છે કે વર્ષ ર૦ર૧ના પ્રારંભિક ચાર મહિના લોકો માટે વધુ મુશ્કેલ પુરવાર થશે. જોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર અત્યારે દુનિયામાં ૧.૩પ કરોડથી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે અને સૌથી વધુ સંક્રમિત ૩પ લાખથી વધુ લોકો અમેરિકામાં છે. અમેરિકામાં જ કોરોનાના કારણે સૌથી વધુ મોત થયાં છે અને ૧.૩૭ લાખથી વધુ લોકો આ બીમારીમાં મોતને ભેટ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ડો. એન્થની ફોસીએ એવી ચેતવણી આપી હતી કે જો લોકો કોરોનાને લગતા સુરક્ષાના માપદંડનો અમલ નહીં કરે તો દરરોજના એક લાખથી વધુ કેસ સામે આવી શકે છે.