હાથમાં એક વર્ષ જૂની પ્રવેશપત્રિકા લઈને ઊભેલા આ વિદ્યાર્થીઓ ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં છે. આમ તો હાલ તેમને હાથમાં આ રીતે એક વર્ષ જૂની પ્રવેશપત્રિકા લઈને યુનિવર્સિટીનાં પરિસરમાં આવવું પડે તેવો કોઈ નિયમ નથી પરંતુ આ ઓપન યુનિવર્સિટીમાં ચાલતી લાલિયાવાડીનાં કારણે તેઓ જે રીતે પરેશાન થઈ ગયા છે તેને જાહેર કરવા તેમને આ રીત અજમાવી પડી છે.
દૂરવર્તી શિક્ષણ આપતી ડૉ. બાબાસાહેબ આંબેડકર યૂનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક વગર જ ભણવા મજબૂર બન્યા છે. શૈક્ષણિક વર્ષ પૂરું થવા આવ્યું છે અને પરીક્ષા યોજાવાની તૈયારી છે પરંતુ વિદ્યાર્થીઓનાં હાથમાં જે તે વિષયની ટેક્સ્ટ બુક જ આવી નથી. ત્યારે વિદ્યાર્થીઓને મુંઝવતો સવાલ એ છે કે, ટેક્સ્ટ બુક વગર પરીક્ષાની તૈયારી કરવી કઈ રીતે? તો આ તરફ યુનિવર્સિટીનાં અધિકારીઓ ટેક્સ્ટબુકનાં દુકાળ અંગે કોઈ તર્કપૂર્ણ જવાબ આપતા નથી. ત્યારે જોઈએ કે આ દૂરવર્તી શિક્ષણ આપતી યુનિવર્સિટીનાં દૂર દૂર સુધી નહીં દેખાતા પાઠયપુસ્તકનો અહેવાલ.
હાથમાં એક વર્ષ જૂની પ્રવેશપત્રિકા લઈને ઊભેલા આ વિદ્યાર્થીઓ ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં છે. આમ તો હાલ તેમને હાથમાં આ રીતે એક વર્ષ જૂની પ્રવેશપત્રિકા લઈને યુનિવર્સિટીનાં પરિસરમાં આવવું પડે તેવો કોઈ નિયમ નથી પરંતુ આ ઓપન યુનિવર્સિટીમાં ચાલતી લાલિયાવાડીનાં કારણે તેઓ જે રીતે પરેશાન થઈ ગયા છે તેને જાહેર કરવા તેમને આ રીત અજમાવી પડી છે.
આપણે વાત કરી રહ્યાં છીએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં મહેસાણા સ્થિત કાર્યાલયની. મહેસાણા ખાતેનાં બીઓયુ કાર્યાલયથી ગત વર્ષે જૂન મહિનામાં અનેક વિદ્યાર્થીઓએ વિવિધ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ આઘાત પમાડે તેવી વાત એ છે કે, પ્રવેશનાં એક વર્ષ બાદ પણ S.Y.B.COMનાં વિદ્યાર્થીઓને 3 વિષયનાં પુસ્તકો જ મળ્યાં નથી. હવે આગામી 8 જુલાઈએ એસવાયબીકોમની વાર્ષિક પરીક્ષા યોજાવાની છે. ત્યારે વિદ્યાર્થીઓને એ સવાલ મુંજવી રહ્યો છે કે, પાઠ્યપુસ્તક વાંચ્યા વગર પરીક્ષા આપવી કઈ રીતે?
આમ તો કોઈ પણ વિદ્યાશાખામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીનો પહેલા દિવસથી જ અભ્યાસ ક્રમ એટલે કે સિલેબસ નક્કી હોય છે અને એ સિલેબસ મુજબ જ તૈયારી કરીને વિદ્યાર્થીએ વિષયની પરીક્ષા આપવાની હોય છે, પરંતુ આખું વર્ષ પૂર્ણ થઈ જાય અને પુસ્તક જ ન મળે તો વિદ્યાર્થી કેવી રીતે પરીક્ષા આપે તે એક સવાલ છે. યુનિવર્સિટીની લાલીયાવાડીને કારણે પ્રતિ વર્ષ કોઈને કોઈ કારણ વિવાદમાં સપડાય છે. ગત વર્ષે પણ FYBCOMનાં પુસ્તકો છેલ્લી ઘડીએ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યાં હતાં. પરંતુ આ વખતે તો યુનિવર્સિટીએ હદ કરી નાખી છે. કોમર્સ શાખામાં અભ્યાસ કરતા 2000 વિદ્યાર્થીઓનું એક વર્ષ પાઠ્યપુસ્તકનાં અભાવે બગડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
આને યુનિવર્સિટીનાં તંત્રવાહકોની બેદરકારી કહો કે ઈરાદાપૂર્વકની લાલિયાવાડી કહો કે અધિકારીઓનું ઘોર અજ્ઞાન કહો. પરીક્ષાનો કાર્યક્રમ ઘડી કાઢવામાં શૂરા અને સજ્જતંત્રને આખા વર્ષ દરમ્યાન પાઠ્યપુસ્તક છપાવવાનું યાદ આવ્યું જ નથી. હવે આગામી 8 જુલાઈથી વાર્ષિક પરીક્ષા શરૂ થઈ રહી છે. પણ યુનિવર્સિટી SYBCOMનાં બે વિષયનાં પુસ્તકો જ છાપવાનું ભૂલી ગઈ છે. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં SYBCOMમાં અભ્યાસક્રમ માટે નિયત કરાયેલા માઈક્રો ઇકોનોમિક્સ અને ઇ-કોમર્સ તેમજ કોમર્શિયલ કોમ્યુનિકેશન વિષયની ટેસ્ટ બુક હજુ પણ વિદ્યાર્થીનાં હાથમાં આવ્યાં નથી.
ટેક્સ્ટ બુક ન હોવાનાં કારણે પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થીઓને અસાઈમેન્ડ પણ આપવામાં આવ્યાં નથી. આ કારણે હવે 2000 વિદ્યાર્થીને કેવી રીતે પરીક્ષા આપવી તે એક સવાલ છે અને આ તરફ યુનિવસિટીનાં કેન્દ્ર સંચાલકને આ પ્રોબ્લેમ બહુ મોટો લાગતો નથી. તેઓ આ સમસ્યા માત્ર કોમર્સનાં વિદ્યાર્થીઓ પૂરતી જ સીમિત હોવાનું કહીને સમગ્ર ટોપલો યુનિવર્સિટીનાં ઉચ્ચ અધિકારીઓ પર ઢોળી રહ્યાં છે.
ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના નોકરી કરતા કે અભ્યાસથી વંચિત રહી ગયેલા લોકોને ઉચ્ચ શિક્ષણની તક આપવા માટે કરવામાં આવી છે. દૂરવર્તી શિક્ષણપદ્ધતિ દ્વારા વધુને વધુ લોકો શિક્ષણનો લાભ ઊઠાવી શકે તે માટે સરકાર પણ પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે તંત્રની લાલિયાવાડીનાં કારણે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક વગર જ આખું વર્ષ પસાર કરવું પડે તે વહીવટીતંત્ર માટે શરમજનક વાત છે. પાઠ્યપુસ્તક કે સંદર્ભગ્રંથ વગર થિયરીકલ શિક્ષણની કલ્પના જ કઈ રીતે થઈ શકે?