ગુજરાત સરકારના સલાહકાર અને ICMRના સક્રિય સભ્ય ડૉ. અતુલ પટેલે VTV News સાથે એક્સક્લુઝિવ વાત કરી હતી જેમાં તેમણે કોરોના વાયરસના પ્રકાર અને તેની ક્ષમતાની સચોટ માહિતી સમજાવી હતી. તેમણે જણાવ્યું હતું કે કોરોના 3 પ્રકારના કોરોના હોય છે જેનાથી શરદી-ખાંસી થતી હોય છે. આગળના બે MERS , SARS આ બંને વાયરસ કોરોના વાયરસ જ હતા. પરંતુ 2019માં ડિસેમ્બરથી જે વાયરસ આવ્યો છે તે પણ કોરોના વાયરસ જ છે. પણ સામાન્ય વાયરસ કરતા Covid 19ની ક્ષમતા કંઈક વધારે છે.
આ સાથે ડો. અતુલ પટેલે કોરોના વાયરસની તાકાત વિશે જુદા જુદા દેશોમાં તેના સ્ટ્રેનના ટ્રેન્ડ વિશે જણાવ્યું હતું. આ ઉપરાંત આ વાયરસ કયા દર્દીઓને વધુ જોખમ ઊભું કરે છે અને તેનું મુખ્ય કારણ શું છે તેના વિશે પણ વિસ્તારથી સમજાવ્યું હતું.
શું છે L અને S સ્ટ્રેન?
કોરોના વાયરસના બે ખાસ સ્ટ્રેન છે – L અને S સ્ટ્રેન્સ. L સ્ટ્રેન ધરાવતા કોરોના વાયરસમાં સંક્રમણ કરવાની તાકાત વધારે હોય છે જ્યારે S સ્ટ્રેન સરખામણીએ નબળો હોય છે. આમાંથી, L તે છે જે મૂળ વુહાનમાં ફેલાયો છે. તે વધુ રોગકારક છે અને ખૂબ જ ગંભીર રોગ આપે છે અને મૃત્યુ પણ ઝડપી થાય છે. વુહાન પછી, L સ્ટ્રેનનું સ્પાંટેનિયસ મ્યૂટેશન થયુ, જે S સ્ટ્રેનમાં બદલાઈ ગયું. તે સહેજ હળવુ છે, ઓછો રોગકારક છે. વુહાન, ઈટાલી અને યુરોપમાં L સ્ટ્રેન ટ્રેન્ડ જોવા મળ્યો જેથી ત્યાં હાલત ગંભીર બની હતી. ભારતમાં જે સૌપ્રથમ કોરોનાનો જે કેસ જોવા મળ્યો હતો તે કેરળમાં હતો જ્યાં વુહાનથી વિદ્યાર્થીઓ આવ્યાં હતાં. જો કે ત્યાં આ સંક્રમણ આગળ વધતા અટકાવવામાં કેરળ સફળ રહ્યું હતું.
L સ્ટ્રેનને કારણે જ યુરોપ અને અમેરિકામાં હાલત ગંભીર બની
કોરોના વાયરસની L સ્ટ્રેનને કારણે ખાસ કરીને યુરોપિયન દેશોમાં વધારે હાલત ખરાબ થઈ. જેનું મુખ્ય કારણ છે યુરોપ અને ચીનના વેપારી સંબંધો ઘણાં મજબૂત છે. આ બંને દેશો વચ્ચે ડિસેમ્બર દરમ્યાન ઘણી અવર-જવર થતી રહી જેના કારણે કોરોના વાયરસ વધુ ફેલાયો. તે જ રીતે અમેરિકામાં જો વાત કરીએ તો ન્યૂ યોર્કમાં સૌથી વધુ કોરોના ફેલાયો છે કારણ કે ન્યૂ યોર્કના સીધા ટુરિઝમ અને બિઝનેસના સંબંધો યુરોપ સાથે રહ્યાં છે.
ગુજરાતમાં મિક્સ સ્ટ્રેન ટ્રેન્ડ છે
તેમણે કહ્યું હતું ગુજરાતમાં ઍરપોર્ટ પરથી અમેરિકા, યુરોપ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી પ્રવાસીઓ આવ્યાં છે. જેના કારણે શક્ય છે કે આ પ્રવાસીએ L સ્ટ્રેન લઈને આવ્યાં હશે અને તેના કારણે વધુ માત્રામાં કોરોના પોઝિટિવ દર્દીઓ વધી રહ્યાં છે. બીજી બાજુ એવું પણ છે કે દુબઈ અને અન્ય દેશોમાંથી પણ પ્રવાસીઓ આવ્યાં છે જેથી S સ્ટ્રેન પણ હોઈ શકે. જેથી હજુ તે સ્પષ્ટ નથી થઈ શક્યું કે ગુજરાતમાં ચોક્કસ કઈ સ્ટ્રેન છે. પરંતુ તેની તપાસ ચાલી રહી છે.
કોરોનામાં દર્દીના મોતની સંભાવના કેટલી?
કોરોના વાયરસમાં 100 ટકા મૃત્યુ થાય એવું નથી. 80 ટકા લોકોને આ વાયરસ થશે એમાં તો સામાન્ય વાયરસની જેમ જ આપોઆપ સાજા થઈ જશે. બાકીના જે લોકો બચ્યા તેમને 100માંથી 15 દર્દીઓ એવા હશે જેમને સારવારની જરૂર પડશે. જ્યારે 3થી 5 ટકા લોકો હોય છે જેમને ICU કેરની જરૂર પડશે. આ વાયરસ એવા લોકોને વધારે નુકસાન કરે છે જેમને પહેલેથી કોઈ ગંભીર બીમારી છે તેમના લોકોમાં મૃત્યુનું પ્રમાણ વધે છે. કારણ કે આ વાયરસ ખાસ કરીને લોહીની નળી હોય તેમાં જે પાતળી ચામડી જેને એન્ડોથિલિયમને સીધું ઈન્ફેક્શન કરીને શરીરના મોટાભાગના અવયવોને એકસાથે નિષ્ક્રિય કરી દે છે. જેમાં દર્દીના મોતની સંભાવના વધી જતી હોય છે.
કોરોનામાં નવા લક્ષણો જોવા મળ્યાં
ન્યૂયોર્કમાં જે નવું લક્ષણ બહાર આવ્યું છે તે જીભનો ટેસ્ટ જતો રહે અને સૂંઘવાની ક્ષમતા જતી રહી છે. આવા લક્ષણો લગભગ 8 ટકામાં જોવા મળે છે.
કોરી ખાંસી પણ કોરોનાનું લક્ષણ. 40 ટકામાં આ લક્ષણો દેખાય છે.
કારણ વગરનો થાક લાગે તે પણ એક મુખ્ય લક્ષણ છે.
90 ટકા લોકોમાં તાવ એ સૌથી મોટુ લક્ષણ શરીરમાં દુખાવો અને થાક લાગવો.
પ્રતિદ્રવ્યો રસી જેવું કામ કરે છે
ડૉ. પટેલે કહ્યું હતું કે આમ તો આખા વિશ્વમાં રસી શોધાવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આશા છે 6થી 7 મહિનામાં રસી શોધાઈ જશે. આ વેક્સિન આપણને એટલી જરૂરી છે કારણે આવતા વર્ષે આ વાયરસ ફરી હેરાન કરી શકે તેની સંભાવના પૂરી છે. પરંતુ બીજી બાજુ એવું પણ જાણવા મળી રહ્યું છે કે કોરોના દર્દીમાંથી અન્ય કોઈ વ્યક્તિને થોડો ચેપ લાગે છે અને તેની રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો તેનામાં પ્રતિદ્રવ્યો (એન્ટીબોડી) બનવાનું શરૂ થઈ જાય છે. આ પ્રતિદ્રવ્યો બનવાનો સમય આશરે 2 સપ્તાહ જેટલો લાગતો હોય છે.
ક્યાં સુધી કોરોના રહેશે?
તેમણે જણાવ્યું હતું કે કોરોના વાયરસ લાંબા સમય સુધી આપણી સાથે રહેવાનો છે અને તેને નાથવા માટે રસીની ચોક્કસ જરૂર પડશે. આગામી સમયમાં આ વાયરસને કન્ટ્રોલ કરવા માટે આપણે જીવનશૈલીમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ અને હાઈજિન લાઈફની આદત પાડવી પડશે અને બની શકે આ વાયરસ આપણા જીવનનો જ ભાગ બની જાય.