ઝારખંડ હાઈકોર્ટના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટે દહેજ હત્યા પર ટિપ્પણી કરતાં કહ્યું દહેજ હત્યાના ગુનેગાર સાથે કડક કાર્યવાહી થવી જોઈએ
દેશના સર્વોચ્ચ અદાલતની દહેજ મૃત્યુના વિષય પર ટિપ્પણી
દહેજ મૃત્યુ એ સમાજ વિરુદ્ધ ગુનો છે: સુપ્રીમ કોર્ટ
દહેજ હત્યાના ગુનેગાર સાથે કડક કાર્યવાહી થવી જોઈએ: સુપ્રીમ કોર્ટ
દેશના સર્વોચ્ચ અદાલતે દહેજ મૃત્યુના વિષય પર ટિપ્પણી કરી છે. ઝારખંડ હાઈકોર્ટના આદેશને પડકારતા મામલા પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દહેજ મૃત્યુ એ સમાજ વિરુદ્ધ ગુનો છે. આ અંગે કડક સંદેશ આપવો જોઈએ કે જે વ્યક્તિ આ પ્રકારનો ગુનો કરે છે તેની સાથે કડક કાર્યવાહી થવી જોઈએ.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ બી.વી.નાગરત્નાની બેન્ચે અવલોકન કર્યું કે, ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 304બી દાખલ કરવાનો કાયદાકીય હેતુ દહેજના મૃત્યુના ગુના સાથે સખત રીતે વ્યવહાર કરવાનો હતો. બેન્ચે કહ્યું આ પાસાઓને ધ્યાનમાં રાખીને દહેજ માટે મૃત્યુની સજા પર વિચાર કરવાની જરૂર છે.
શું હતો સમગ્ર મામલો ?
સુપ્રીમ કોર્ટમાં એક દહેજ મૃત્યુનો વિષય સામે આવ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે સમાજને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે દહેજ નિષેધ કાયદા હેઠળ ગુના કરનારા ગુનેગારો સાથે કડક કાર્યવાહી કરવાની ટીપ્પણી કરી છે. મહિલાના મૃત્યુના મામલામાં સાસુ-સસરાની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ વાત કહી છે. હાઈકોર્ટે મહિલાની સાસુને દોષિત ઠેરવ્યા હતા. લગ્નના એક વર્ષમાં જ મહિલાનું અવસાન થયું. તેનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, સમાજમાં આ સંદેશ સ્પષ્ટ થવો જોઈએ કે, દહેજ પ્રતિબંધ કાયદા હેઠળ દહેજ મૃત્યુના ગુનામાં સંડોવાયેલા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ તરફ સુપ્રીમ કોર્ટે સાસુ-સસરાની અરજી પર આરોપીની વાર્તાને ખોટી ગણાવી હતી. જણાવ્યું હતું કે, બચાવપક્ષ તેની વાર્તા સાબિત કરી શક્યું નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું, 'મહિલા લગ્નના એક વર્ષમાં મૃત્યુ પામી હતી. આરોપીઓએ ખોટી વાર્તા બનાવી છે કે, તે (ડાયેરિયા) ઝાડાથી મૃત્યુ પામી હતી. જોકે બચાવ પક્ષ તે પણ સાબિત કરી શક્યો નથી.