આખો દિવસ ઉનાળા જેવા તાપથી બચવા લોકો એસી ચાલુ રાખે છેઃ ઠંડા પાણી તથા બરફગોળાનું સેવન કરતા હોવાથી ગળાં પકડાયાં
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
દક્ષિણ-પૂર્વ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી
મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો
શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણ પલટાયેલું રહે છે. આજે પણ સવારથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. અચાનક ગરમીમાંથી ઠંડા પવન સાથેની ઠંડક અને બપોરે ગરમી આ મિશ્ર વાતાવરણના કારણે શહેરીજનોનાં આરોગ્ય પ્રભાવિત થઇ રહ્યાં છે. સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી અમદાવાદ શહેર સહિત મોટા ભાગનાં શહેરોમાં વાદળિયું વાતાવરણ રહેવા છતાં લઘુતમ તાપમાનમાં વધારો થતાં ગરમી વધી છે. અમદાવાદનું લઘુતમ તાપમાન છેલ્લા ચાર દિવસમાં ૮ ડિગ્રીવધતાં ગરમીની સાથે બફારો અનુભવાય છે ત્યારે આખો દિવસ ઉનાળા જેવા તાપથી બચવા લોકો એસી અને પંખા ચાલુ રાખવા મજબૂર બન્યા છે. ગરમીના કારણે ઠંડા પાણી અને બરફગોળાનું સેવન કરવાના કારણે લોકોનાં ગળાં પકડાયાં છે. કોરોનાકાળમાં લોકો આરોગ્ય પ્રત્યે સતત જાગૃત રહ્યા હતા. હવે કોરોનાની વિદાય નિશ્ચિત બનતાં કોરોનાથી હાશ થઇ ત્યાં ડબલ સીઝન લોકોને ડરાવી રહી છે. ડોક્ટર્સની ઓપીડીમાં થ્રોટ ઇન્ફેક્શનના કેસમાં વધારો નોંધાયો છે અને ઠંડા પાણી અને બરફગોળાનું સેવન કરતા લોકોની સંખ્યા વધી રહી છે.
હવામાન વિભાગની આગાહી
હજુ ચારથી પાંચ દિવસ દરમિયાન શહેરમાં ક્રમશઃ ગરમીમાં વધારો થશે, સાથોસાથ આગામી ર૪ કલાકમાં અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટાથી લઇ ઝાપટાંની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગઈ કાલે શહેરના વાદળિયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન ર ડિગ્રીવધીને ૩૬.૭ ડિગ્રીઅને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ૪ ડિગ્રીવધીને રર.૧ ડિગ્રીનોંધાયું હતું. ૬ માર્ચે અમદાવાદમાં ગરમીનો પારો ૩૭ ડિગ્રીઅને લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રી નોંધાયું હતું.
કેટલાક વિસ્તરમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર જોવા મળશે
નર્મદા, તાપી, વલસાડ, દાહોદ અને પંચમહાલ જેવા વિસ્તારમાં સામાન્ય વરસાદ આવી શકે
આવતીકાલથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો
રોકડિયા પાકને ભારે નુકસાનની નીતિ
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર તથા રાજસ્થાન સરહદે સાઈક્લોન જેવી સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠું થવાની આજે સંભાવના છે. અત્યારે રવી સિઝનના સમાપન સમયે પાક લણણીની સીઝન ચાલી રહી છે અને આંબાના બગીચામાં કેરીનો મોર ‘ખાખડી’ બેસવાનો સમય છે ત્યારે બાગાયત અને રોકિડયા પાકને ભારે નુકસાન થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.
વાતાવરણમાં પલટો: સવારથી ઠંડા પવન ફૂંકાયા
અમદાવાદ સહિત રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે અને સવારે ઠંડા પવન ફૂંકાયા બાદ દિવસે અસહ્ય ગરમી પડે છે. રાજ્યના હવામાન વિભાગે બે દિવસ પહેલાં કમોસમી વરસાદની આગાહી કરી હતી, જેને લઈ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવાં વરસાદી ઝાપટાં સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વાદળના ગડગડાટ સાથે હળવાં ઝાપટાં તો ક્યાંક છાંટા પડ્યા છે. ગારિયાધાર, પાલિતાણા, સિહોર સહિતના તાલુકામાં છાંટા પડવા સાથે આજે પણ વરસાદી માહોલ છે.