અમદાવાદના નરોડા પાટીયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચાલતા એક કા ડબલ કૌભાંડનો પર્દાફાશ થયો છે. નરોડા પોલીસે પાટીયા વિસ્તારમાં આવેલ શ્રીરામ કુટીર બિલ્ડીંગમાં દરોડા પાડ્યા હતા. પોલીસે દરોડા પાડીને 4 શખ્સોની ધરપકડ કરી છે. જોકે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર જયેશ ચૌધરી ફરાર છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતોનુસાર પાટીયા વિસ્તારમાં આવેલ શ્રીરામ બિલ્ડીંગમાં રોયલ ઈન્વેસ્ટમેન્ટના નામે કૌભાંડ ચલાવવામાં આવતુ હતુ. કંપની દ્વારા 5 દિવસમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપવામાં આવી હતી. આ કંપનીમાં મોટી સંખ્યામાં લોકો પૈસા રોકતા હતા. જેની જાણ થતા પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 50થી વધુ લોકો રૂપિયા રોકાણ કરવા માટે પહોંચ્યા હતા.
પોલીસે દરોડા પાડ્યા એ દરમિયાન 8 લાખ 50 હજાર રૂપિયા રોકડા મળી આવ્યા હતા. 50 લાખથી વધુ રૂપિયાનુ કૌભાંડ હોવાની શક્યતા છે. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથધરી છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં આ પહેલો કિસ્સો બન્યો નથી. આ પહેલા પણ અનેક આવા કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં ગ્રાહકોને આકર્ષવા એક કા ડબલ કરી આપવાની સ્કીમ આપતાં હોય છે. જ્યાં ગ્રાહકો પૈસાની લાલચમાં ગમે તેવી જગ્યાએ રોકાણ કરે છે.