ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડોટ)એ આરકોમ-જિઓ સ્પેક્ટ્રોમ ડીલ નામંજૂર કરી દીધી છે. ટેલિકોમ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) અને રિલાયન્સ જિઓ ઇન્ફોકોમને જણાવ્યું છે કે સ્પેક્ટ્રમને લઇને તેમની ડીલ સરકારની સ્પેક્ટ્રમ ટ્રેડિંગ ગાઇડલાઇન્સની પૂર્તતા કરતી નથી.
આમ અનિલ અંબાણીની આરકોમને મોટો ફટકો પડ્યો છે. આ ડીલ નહીં થવાથી ક્રેડિટર્સને પેમેન્ટ કરવું અને ઇન્સોલવન્સી પ્રોસિડિંગ (નાદારી)થી બચવું હવે મુશ્કેલ થઇ જશે. આ ડીલ ફગાવી દેવાતાં આરકોમના શેરમાં ૧૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
રિલાયન્સ જિઓએ ડોટને પત્ર લખીને એવી ખાતરી માગી હતી કે આરકોમની સ્પેક્ટ્રમ સાથે સંકળાયેલી ભૂતકાળની બાકી રકમ માટે તેને જવાબદાર માનવામાં નહીં આવે. ત્યાર બાદ ડોટે આ ડીલ ગાઇડલાઇન્સ મુજબ નહીં હોવાની જાણકારી આપી છે.
મૂકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ જિઓએ શુક્રવારે મોકલેલા એક પત્રમાં જણાવ્યું હતું કે સ્પેક્ટ્રમ ટ્રેડિંગ એગ્રીમેન્ટમાં એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આરકોમ તમામ વિવાદી ક્લેમ માટે ડોટને બેન્ક ગેરંટી ઉપલબ્ધ કરાવશે અને આ સંદર્ભમાં રિલાયન્સ કોમની સબસિડિયરી રિલાયન્સ રિયલ્ટીએ પણ હાઇકોર્ટના આદેશ અનુસાર ટેલિકોમ વિભાગને રૂ. ૧ ૪૦૦ કરોડની ગેરંટી પણ સોંપી હતી.
રિલાયન્સ જિઓએ પત્રમાં જણાવ્યું હતું કે તેને માત્ર સ્પેક્ટ્રમનું વેચાણ થયા બાદ થનારા ક્લેમ માટે જવાબદાર માનવામાં આવે. સરકારની સ્પેક્ટ્રમ ગાઇડલાઇન્સમાં જણાવાયું છે કે સ્પેક્ટ્રમ ખરીદનાર કંપની એ લેણી રકમ માટે જવાબદાર થશે જેની સ્પેક્ટ્રમ વેચનાર કંપની પાસેથી વસૂલાત કરવામાં આવી નથી.