જો તમે લાંબા સમયથી તમારું બેંક એકાઉન્ટ ઓપરેટ નથી કર્યું તો તે ડોરમેટ એકાઉન્ટ (Dormant Account) બની જશે, એટલે કે તમારું ખાતું નિષ્ક્રિય થઈ ગયું છે. જો તમારી સાથે પણ આવું જ થયું છે તો ચિંતા કરવાની વાત નથી. તમે તમારા બંધ પડેલાં ખાતામાંથી પણ પૈસા ઉપાડી શકો છો. તેના માટે તમારે સરળ પ્રોસેસ ફોલો કરવી પડશે. બેંકો પાસે આવા એકાઉન્ટમાં અનક્લેમ્ડ પૈસા સતત વધતા જઈ રહ્યાં છે. બેંકો અનક્લેમ્ડ રકમમાં સેવિંગ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ એફડી, આરડી વગેરેમાં જમા રકમ હોઈ શકે છે.
તમારું ખાતું નિષ્ક્રિય થઈ ગયું હોય તો ચિંતા ન કરતાં
આ સરળ પ્રોસેસથી તમારું ખાતું કરો સક્રિય
તમે તમારા બંધ પડેલાં ખાતામાંથી પૈસા પણ ઉપાડી શકો છો
બેંકોમાં સતત વધતી જઈ રહી છે અનક્લેમ્ડ રકમ
ભારતીય રિઝર્વ બેંક અનુસાર, જો કોઈ ગ્રાહક પોતાના બેંક એકાઉન્ટમાં સતત 10 વર્ષ સુધી કોઈ ટ્રાન્ઝેક્શન કરતો નથી તો તેના એકાઉન્ટમાં જમા રકમ અનક્લેમ્ડ થઈ જાય છે. બેંકો પાસે દર વર્ષ આ પ્રકારની રકમ વધતી જઈ રહી છે. નાણાકીય વર્ષ 2019ના અંત સુધીમાં બેંકોમાં આવી કુલ રકમ લગભગ 18,380 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે તેના પહેલાંના નાણાકીય વર્ષમાં આ રકમ 14,307 કરોડ હતી.
બેંકની આ વેબસાઈટ પર મળી જશે જાણકારી
આવા તમામ પૈસા દર મહિને આરબીઆઈના ડિપોઝિટરી એજ્યુકેશન અને અવેરનેસ ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. નિયમો અનુસાર, દરેક બેંકે તેની વેબસાઇટ પર અનક્લેમ્ડ રકમની વિગતો આપવાની હોય છે. તમારા નિષ્ક્રિય એકાઉન્ટ વિશેની માહિતી બેંકની વેબસાઇટની મુલાકાત લઈને મેળવી શકાય છે. આ માટે જન્મ તારીખ, નામ, પાન નંબર, પાસપોર્ટ નંબર, પિનકોડ અને ટેલિફોન નંબર વગેરેની મદદથી સર્ચ કરી શકો છો.
બેંકિંગ નિષ્ણાંતોનું કહેવું છે કે, કોરોના વાયરસ મહામારી અને લોકડાઉનને કારણે, બેંકોએ ગ્રાહકોને ઘણી સુવિધાઓ આપવાની શરૂઆત કરી છે. બેંકોએ આ પગલું એટલે ભર્યું છે જેથી આવી મુશ્કેલ પરિસ્થિતિમાં લોકોને બેન્કિંગ સેવાઓ સરળતાથી મળી રહે. બેંકો હવે ગ્રાહકોના નિષ્ક્રિય ખાતાઓને રિવાઈવ કરવાની તક આપી રહી છે. આ માટે તમારી નજીકની બેંક શાખાનો સંપર્ક કરી શકાય છે.
આ છે પ્રોસેસ
આના માટે પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તમારે જે તે સંબંધિત બેંક શાખાને એક મેલ મોકલવાનો છે. આ મેલમાં બેંકને વિનંતી કરવી કે તમારું નિષ્ક્રિય બેંક એકાઉન્ટ ફરીથી સક્રિય કરવામાં આવે. આ માટે તમારે તમારું ઓળખ પત્ર, સરનામું વગેરેનો પુરાવો મોકલવો પડશે. બેંક તમારી અરજી મોકલવાના થોડા દિવસોમાં તમારું ખાતું ફરી સક્રિય કરાશે. જોકે, અત્યારે સાયબર ક્રાઇમના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને ઘણી બેંકો રિમોટલી કેવાયસીને અપડેટ કરવાનો ઇન્કાર કરી શકે છે.
આવી સ્થિતિમાં બેન્કો ઇચ્છે છે કે ખાતાધારકો બેંક શાખામાં જાય અને તેમનું નિષ્ક્રિય ખાતું સક્રિય કરે. વરિષ્ઠ નાગરિકોએ તેમના એરિયાની બેંક શાખામાં જવું પડશે. ડોરસ્ટેપ સર્વિસ પણ ઉપલબ્ધ છે. ડોરસ્ટેપ સેવામાં સંબંધિત અધિકારીઓ ક્લાયંટના ઘરે જઈને કેવાયસીને અપડેટ કરે છે. જો ખાતાધારક બીજા શહેરમાં રહે છે, તો પણ તે તેના વર્તમાન વિસ્તારમાં નજીકની શાખામાં જઈ શકે છે અને કેવાયસીને અપડેટ કરી શકે છે.