દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે ડોરસ્ટોપ રેશન યોજનામાંથી મુખ્યમંત્રી શબ્દ પડતો મૂકવાની જાહેરાત કરી
દિલ્હીમાં 25 માર્ચથી ડોરસ્ટેપ રેશન યોજના શરુ થવાની હતી
પણ કેન્દ્ર સરકારે મૂકી દીધો હતો પ્રતિબંધ
કેજરીવાલે કહ્યું કેન્દ્ર સરકારની દરેક શરત માનવા તૈયાર
રાજધાની દિલ્હીમાં રેશનની ડોર સ્ટેપ ડિલિવરી મામલે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના વિવાદનો અંત આવ્યો છે.
મુખ્યમંત્રી ઘર ઘર રેશન યોજના પર કેન્દ્રના પ્રતિબંધ બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ યોજનામાંથી મુખ્યમંત્રી શબ્દ પડતો મૂકવાની જાહેરાત કરી છે એટલે કે આ યોજના નામ વગર ચાલશે. કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે અમારે નામ સાથે કોઈ મતલબ નથી. લોકોને ઘેર બેઠા રેશન મળી રહે તે અમારો ઉદ્દેશ છે.
કેજરીવાલે કહ્યું કે તેઓ કેન્દ્ર સરકારની દરેક શરત માનવા તૈયાર છે. લોકો સુધી રેશન પહોંચાડવાનું અમારુ લક્ષ્ય છે. આ યોજના યશ લેવા માટે લવાઈ નથી. ગરીબોને સરળતાથી અને સ્વચ્છ રેશન મળે તે મારુ 20 વર્ષનું સપનું હતું. જ્યારે સત્તામાં નહોતા ત્યારે આ સપનું જોયું હતું. રેશનની ચોરી થતી હતી. રેશન માફિયા હાવી હતા. વિરોધ કરવા પર રેશન માફિયા દ્વારા હુમલાઓ કરાતા હતા. પરંતુ જ્યારે દિલ્હીમાં સરકાર બની ત્યારે નિર્ણય લેવાનો અધિકાર મળી ગયો હતો. ત્યાર બાદ આ યોજના પર વ્યક્તિગત કામ શરુ કર્યું. ગરીબોને રેશન પહોંચાડવાની યોજના બનાવાઈ. ચાર વર્ષ પહેલા આ યોજના પર કામ શરુ કર્યું. ઘણી બધી તકલીફો આવી.
શક્તિશાળી રેશન માફિયાને ધ્યાનમાં લેતા ડોરસ્ટેપ ડિલિવરી ઓફ રેશન ક્રાંતિકારી યોજના હતી અને આશા છે કે નામ વગરની યોજનાથી કેન્દ્ર સરકાર રાજી રહેશે અને હવે કોઈ વાંધો નહીં ઉઠાવે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં 25 માર્ચથી ગરીબોને ઘેર બેઠા સસ્તા ભાવની જીવન જરુરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવાની યોજના શરુ થવાની હતી પરંતુ કેન્દ્ર સરકારે આ યોજનાને અટકાવી દીધી હતી. જોકે કેન્દ્ર સરકારે સાથે એવું પણ કહ્યું હતું કે જો દિલ્હી સરકાર બીજી કોઈ યોજના લઈને આવે તો કંઈ વાંધો નથી.