દેશમાં હાલ કોરોનાના નવા XE વેરિઅન્ટનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે નિષ્ણાંતોએ બાળકોમાં દેખાતા લક્ષણોને લઇને સાવધ રહેવા જણાવ્યું છે.
ભારતમાં ફરી વાર કોરોનાએ એન્ટ્રી મારી
હવે બાળકો પણ થઇ રહ્યાં છે કોરોના સંક્રમિત
નિષ્ણાંતોએ XE વેરિઅન્ટને લઇને આપી આ ચેતવણી
સમગ્ર વિશ્વમાંથી હજુ કોરોના મહામારીનો ખતરો ટળ્યો નથી. કારણ કે યુરોપ અને એશિયાના ઘણા દેશોમાં કોરોનાની ચોથી લહેર દસ્તક દઇ ચૂકી છે. ત્યારે હવે કોરોનાની ચિનગારી છેક ભારત સુધી પણ પહોંચી ગઈ છે. એમાંય આ વખતે તો કોરોના મોટા ભાગના બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. ત્યારે નિષ્ણાંતોએ XE વેરિઅન્ટના લક્ષણોને હળવાશમાં ના લેવા કહ્યું છે. જો બાળકોમાં તાવ આવવો, નાક વહેવું એટલે કે શરદી થવી, ગળામાં દુખાવો થવો, શરીરમાં દુખાવો થવો અને લુખ્ખી ઉધરસ જેવાં લક્ષણો દેખાય તો તુરંત ડૉક્ટરને દેખાડવાની સલાહ અપાઇ છે.
UPના ગૌતમ બુદ્ધ નગરમાં 107 કેસમાંથી 30% થી વધુ તો બાળકો જ સામેલ
કોરોનાની ત્રીજી લહેર બાદ શાળાઓ ફરી ખુલ્યા બાદ ઘણાં બાળકો અને શિક્ષકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. જેના કારણે પરિવારજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. એક ચિંતાજનક અહેવાલ મુજબ, ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં 107 નવા કોરોનાના કેસમાંથી 30% થી વધુ તો બાળકો જ સામેલ છે. માત્ર યુપીમાં જ નહીં પરંતુ દિલ્હી અને તેની આસપાસના શહેરોમાં પણ બાળકોમાં કોરોનાના કેસ જોવા મળી રહ્યાં છે.
જો કે, નિષ્ણાંતોએ એવી સલાહ આપી છે કે ગભરાવવાની જરૂર નથી પરંતુ સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે. આ વખતે કોરોનાનું XE વેરિઅન્ટ વધારે હેરાન કરી રહ્યો છે કારણ કે તે અગાઉના તમામ વેરિઅન્ટ કરતાં વધારે ઝડપથી ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. નિષ્ણાંતો એવું સૂચવે છે કે તેના લક્ષણો હળવા છે અને તેની પર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
XE વેરિઅન્ટથી બાળકો માટે શું જોખમ છે?
ચિંતાની બાબત એ છે કે XE વેરિઅન્ટ કોરોનાના અત્યાર સુધી જોવા મળતા વેરિઅન્ટ કરતાં સૌથી વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે. હવે ઓમિક્રોન BA.1 અને BA.2 ને સૌથી વધારે ઝડપી ફેલાતા વેરિઅન્ટ તરીકે માનવામાં આવે છે. જો કે, બાળકોનો મોટો વર્ગ હજુ પણ અસંક્રમિત છે, ત્યારે તેઓ પણ આ વાયરસની ઝપેટમાં જલ્દી આવી શકે તેમ છે.
બાળકોમાં XE વેરિઅન્ટના લક્ષણો
દિલ્હી સ્થિત ફોર્ટિસ એસ્કોર્ટ્સના પલ્મોનોલોજીના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. અવી કુમારે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે, બાળકોમાં લક્ષણો સામાન્ય રીતે હળવા હોય છે અને તેમાં તાવ આવવો, નાક વહેવું એટલે કે શરદી થવી, ગળામાં દુખાવો થવો, શરીરમાં દુખાવો થવો અને લુખ્ખી ઉધરસ જેવાં ઉપલા શ્વસન માર્ગના લક્ષણોનો સમાવેશ થાય છે.
બાળકોને કોરોનાથી બચાવવાનાં આ છે ઉપાય
નિષ્ણાંતોએ આ બાબતે જણાવ્યું કે, માતા-પિતા માટે એ બાબત ખાસ મહત્વની છે કે, તેઓ તેમના બાળકોનું તંદુરસ્ત જીવનશૈલી જાળવી રાખે, તેઓ સારી રીતે ખાવા-પીવાનું રાખે અને પૂરતા પ્રમાણમાં ઊંઘ પણ લે, સ્વચ્છતા સાથે જોડાયેલી આદતોનું પાલન કરે અને જે બાળકો રસીકરણ માટે લાયક હોય તેઓ શક્ય તેટલી વહેલી તકે રસી મેળવી લે તેની ખાતરી કરવી અત્યંત જરૂરી છે.
બાળકોના આહારનું વિશેષ ધ્યાન રાખો
નિષ્ણાંતોનું એમ માનવું છે કે, માતા-પિતાએ પોતાના બાળકોના આહારનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેમના આહારમાં વિટામિન સી અને અન્ય તમામ જરૂરી પોષક તત્વોથી ભરપૂર ખોરાકનો સમાવેશ થવો જોઈએ. તે તેમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.