શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. બેફામ રીતે પસાર થતા વાહનચાલકોના કારણે રાહદારીઓ તેમજ અન્ય વાહનચાલકોનાં મોત થયાં છે. ટ્રાફિક નિયમભંગ બદલ આકરા દંડની જોગવાઈ સાથેના નવા મોટર વિહિકલ એક્ટનો અમલ પણ થઇ ગયો છે, છતાંય વાહનચાલકોમાં જોઇએ તેવી જાગૃતિ આવી નથી. ટ્રાફિક પોલીસના ડર વગર વાહનચાલકો બિનધાસ્ત પોતાની મરજીથી વાહન ચલાવી રહ્યા છે.
ખીચોખીચ મુસાફરો ભરેલું વાહન ચલાવવું નહીં કે તેમાં બેસવું નહીં
શરાબ પીકર ગાડી ચલાયેગા તો મૌત કી ગેરન્ટી મુફ્તમાં પાયેંગે.
શોખ સંદેશ મેં ના બદલ જાયે ઇસસે પહલે હેલ્મેટ લગાયેં
ટ્રાફિક અંગે જાગૃતિ આવે તે માટે વેજલપુર પોલીસ સ્ટેશનના ગેટ પર વાહનચાલકોને દેખાય તેવી રીતે ટ્રાફિકના નિયમોના પાલન કરવાની સૂચનાઓ લગાવીને એક નવી પહેલ શરૂ કરી છે. ખીચોખીચ મુસાફરો ભરેલું વાહન ચલાવવું નહીં કે તેમાં બેસવું નહીં....શરાબ પીકર ગાડી ચલાયેગા તો મૌત કી ગેરન્ટી મુફ્તમાં પાયેંગે....બેથી વધુ માણસો બેસાડવાથી વાહનના સંતુલનને અસર થતાં અકસ્માતની શક્યતા વધે છે....શોખ સંદેશ મેં ના બદલ જાયે ઇસસે પહલે હેલ્મેટ લગાયેં આગવી અનેક સૂચનાનાં બોર્ડ વેજલપુર પોલીસે તેમના પોલીસ સ્ટેશનના ગેટ પર લગાવેલાં છે.
શહેરમાં 48 પોલીસ સ્ટેશન
નવો મોટર વિહિકલ એક્ટ લાગુ થઇ ગયો છે ત્યારે વાહનચાલકો હજુ પણ પોતાની રીતે વાહનો ચલાવે છે. જુહાપુરાથી વાસણા જવાના રોડ પર ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન છે ત્યારે નાના-મોટા અકસ્માતના બનાવ પણ આ રોડ પર અનેક બની રહ્યા છે. અકસ્માતની ઘટનાઓ ઘટે અને લોકોમાં ટ્રાફિકની જાગૃતિ આવે તે માટે પોલીસે આ પહેલ શરૂ કરી છે. શહેરમાં 48 પોલીસ સ્ટેશન આવેલાં છે, જેમાં વેજલપુર એકમાત્ર પોલીસ સ્ટેશન છે, જેણે ટ્રાફિકની જાગૃતિ માટે આ રીતે બોર્ડ લગાવેલાં છે.