કર્ણાટકમાં પૂરની સ્થિતિ સર્જાયા બાદ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ નવો કિમીયો અજમાવ્યો છે. પૂર બાદ પુનર્વસન માટે યેદીયુરપ્પાએ અલગ જ પ્રકારની જાહેરાત કરી છે. તેમણે 60થી વધુ મોટી કંપનીઓ સાથે મુલાકાત કર્યા બાદ જાહેરાત કરી છે કે, જે પણ કોઈ કંપની પૂર અસરગ્રસ્ત ગામોના પુનર્વસન માટે 10 કરોડ કે તેથી વધુ ફંડ આપશે તે કંપનીઓના નામ પરથી ગામનું નામ રાખવામાં આવશે.
પૂર પીડિતોની રાહત માટે ફંડ ઉઘરાવવા માટે રાજ્ય સરકારે આ તરકીબ અપનાવી છે. ત્યારે યેદિયુરપ્પાનો આ નિર્ણય માધ્યમોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આપને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા જ કર્ણાટકમાં અતિવૃષ્ટિને કારણે ભયંકર સ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં ઓછામાં ઓછા 22 જિલ્લાઓમાં ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. જેમાં 61 લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પૂરના કારણે 200 ગામડાઓને બીજી જગ્યા પર વસવાટ કરવો પડશે. ત્યારે સરકાર હવે પીડિતોના પુનર્વસન માટે પ્રયાસ કરી રહી છે. યેદિયુરપ્પાએ ઓછામાં ઓછા 60 ઉદ્યોગપતિઓ સાથે બેંગલુરૂમાં મુલાકાત કરી હતી.
હવે ગામડાઓના નામ 'અંબાણી', 'અદાણી' અને 'ટાટા' હશે!
મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાહત અને પુનર્વસન કાર્ય ચલાવવા માટે જે ગામમાં જે કંપની પૈસા આપશે તે ગામને તે કંપની દ્વારા દત્તક લેવામાં આવેલું માનવામાં આવશે. જણાવાય રહ્યું છે કે, અલગ અલગ સ્ત્રોતોથી અત્યાર સુધી મુખ્યમંત્રીને અંદાજિત 4 કરોડ રૂપિયા ડોનેશન મળ્યું છે. ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયની સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા થઇ રહી છે. કેટલાક લોકો ટ્વીટ કરીને કહી રહ્યા છે કે હવે કર્ણાટકમાં ગામોના નામ અંબાણી, અદાણી અને ટાટા હશે.
56 હજારથી વધુ ઘરોને નુકસાન
રાજ્યમાં 1,160 રાહત શિબિર બનાવવામાં આવી છે, જ્યાં અંદાજિત ચાર લાખ લોકોને શુદ્ધ પીવાનું પાણી, ભોજન અને અન્ય સામગ્રીઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. સરકારના જણાવ્યા અનુસાર, 22 જિલ્લા પુર અને ધોધમાર વરસાદની અસરગ્રસ્ત થયા છે. જેમાં 4.58 લાખ હેક્ટર વિસ્તારમાં કૃષિ અને બાગાયતી પાકોને નુકસાન થયું અને 56,381 ઘર ક્ષતિગ્રસ્ત થયા છે.