નવી દિલ્હી: આવકવેરા વિભાગે પગારદાર કર્મચારીઓને ઓછી આવક દર્શાવવી કે રિટર્ન ફાઇલ કરતી વખતી કપાતો ‘વધારીને’ બતાવવા જેવી ગેરકાનૂની રીત રસમ અપનાવવા સામે ચેતવણી આપી છે. તેણે કહ્યું હતું કે આ નિયમનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી થશે અને તેમના માલિકોને પણ સૂચના આપવામાં આવશે કે તેમની સામે પગલાં લે.
ઇન્કમ ટેક્સ રિટર્ન મંગાવીને અને તેના પર પ્રક્રિયા કરતાં બેંગલુરુ ખાતેના સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટે ચેતવણી જારી કરી છે કે કરદાતાઓએ અપ્રમાણિક કર સલાહકારો કે પ્લાનરની જાળમાં ન ફસાવું જોઈએ જે તેમને ટેક્સ બેનિફિટના ખોટા ફાયદા માટે તૈયાર કરવામાં મદદ કરે છે.
આવકવેરા વિભાગે ઓછી આવક બતાવતા વધારે કપાત બતાવતા તથા ખોટી રાહતો મેળવતા પગારદાર કર્મચારીઓને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે અપ્રામાણિક વચેટિયાની સહાય મેળવતા આ પ્રકારના કરદાતાઓની નોંધ લેવાઈ રહી છે. આ પ્રકારના ગુના આવકવેરા ધારાની વિવિધ સંહિતા અને કાર્યવાહીની જોગવાઈઓ હેઠળ સજાપાત્ર છે. આવકવેરા વિભાગની તપાસ શાખાએ જાન્યુઆરીમાં બેંગલુરુ સ્થિત અગ્રણી ટેક્નોલોજી કંપનીના કર્મચારીઓએ ટેક્સ એડ્વાઇઝરની સલાહકારના આધારે છેતરપિંડીવાળા ટેક્સ રિફંડ મેળવ્યા હોવાનું શોધી કાઢ્યું તેના સંદર્ભમાં આ ચેતવણી જારી કરવામાં આવી છે.
CBI એ આ સાંઠગાંઠ માટે તાજેતરમાં ફોજદારી કેસ નોંધ્યો હતો. આવકવેરા વિભાગ માટે નીતિ ઘડતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ નવું આઇટીઆર તાજેતરમાં નોટિફાઇડ કર્યા પછી પગારદાર વર્ગના કરદાતાઓની ટેક્સ ફાઇલિંગ સીઝનનો પ્રારંભ થયો છે.