ઇસનપુરમાં રહેતી પરિણીતાએ લગ્ન બાદ દીકરીને જન્મ આપતાં તેનાં સાસરિયાએ કહ્યું કે હવે તેનો તમામ ખર્ચ પિયરમાંથી લેતી આવજે. સાસરિયાંઓ આમ કહીને ત્રાસ આપતાં હોવાથી કંટાળીને પરિણીતાએ તેનાં સાસરિયાં વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઇસનપુર વિસ્તારમાં રહેતી ૩૩ વર્ષીય મહિલાનાં સુરેન્દ્રનગર ખાતે વર્ષ ર૦૦૮માં લગ્ન થયાં હતાં. લગ્ન બાદ પરિણીતાએ પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો હતો. પુત્ર હાલ ૧ર વર્ષનો અને પુત્રી હાલ ૮ વર્ષની છે. પુત્રીના જન્મ પછી વર્ષ ર૦૧૧થી જ સાસરિયાંએ ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું હતું. સાસરિયાંઓ પરિણીતાને એવાં પણ મહેણાં મારતાં હતાં કે, 'દીકરીને જન્મ આપ્યો છે તો હવે તમામ ખર્ચ પિયરમાંથી લાવીને કરજે.'
2017માં બાઈક પરથી પછાડી હતી પરિણીતાને
આટલું જ નહિ, વર્ષ ર૦૧૭માં એક લગ્ન પ્રસંગમાં પરિણીતા તેના પતિ સાથે જતી હતી ત્યારે પતિએ કોઇ બાબતે ઝઘડો કરી તેને બાઇક પરથી રોડ પર પાડી દીધી હતી. પરિણીતાએ પોલીસ ફરિયાદ કરવાનું કહેતાં તે સમયે પતિએ માફી માગીને સુધરી જવાની ખાતરી આપી હતી.
આમ છતાં સાસરિયાં અને પતિએ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. વર્ષ ર૦૧૯માં સુરેન્દ્રનગર કોર્ટમાંથી તેના પતિએ એકતરફી છૂટાછેડાની નોટિસ પરિણીતાના પિયર મોકલતાં આખરે મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાં સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.