છેલ્લા 2 મહિનાથી ઘરકામ કરનારા કામવાળાઓની મદદ વિના જાતે જ ઘરકામ અને સાફસફાઈ કરીને થાકેલા અમદાવાદીઓ માટે સારા સમાચાર છે. શહેરમાં હવે કામવાળાઓને ફરીથી કામ કરવાની મંજૂરી મળી ગઈ છે. જો કે એ માટે તેમણે સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરવું જરૂરી છે.
કામવાળાઓ શહેરમાં ફક્ત સવારે ૮ થી સાંજે ૪ દરમિયાન જ કામ કરી શકશે. લોકડાઉનના ચોથા તબક્કામાં સરકારે રાહતો આપી છે જે અંતર્ગત હવે લોકો ધ્યાન રાખીને પોતે ૮ થી ૪ દરમિયાન કામ પર જઈ શકશે. એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ આ મુદ્દે ટિપ્પણી કરી હતી કે ઘરકામ કરતા કામદારો, રસોઈ કરનાર કામદારો, બેબી સીટર વગેરે જેવા હેલ્પર્સ હવે પોતાનું કામ ફરીથી સાંભળી શકશે.
કામદારોએ પરિવહન માટે પોતાની વ્યવસ્થા જાતે શોધવી પડશે
અત્યારે શહેરમાં જાહેર પરિવહન ઉપર પ્રતિબંધ છે તેથી આ કામદારોએ પરિવહન માટે પોતાની વ્યવસ્થા જાતે શોધવી પડશે. તેઓ જો મકાનની નજીક રહેતા હોય તો ચાલીને જઈ શકે છે અથવા તો પોતાના વાહન ઉપર પહોંચી શકે છે. જો કે આ માટે પણ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે ફરજિયાત છે જેમાં 2 વ્હીલર ઉપર એક જ વ્યક્તિને પરવાનગી મળેલી છે.
તમામ પ્રકારના રીપેરીંગને છૂટ
નોંધનીય છે કે શહેરમાં મોટાભાગે આ પ્રકારના કામદારો મકાન સુધી પહોંચવા માટે શટલ કે ઓટોરીક્ષા વાપરે છે. જો કે અત્યારે આ પ્રકારની સગવડો ઉપર કોરોના સંક્રમણના ભયને કારણે પ્રતિબંધ મુકાયેલો છે. આ પ્રકારના કામદારો ઉપરાંત શહેરમાં તમામ પ્રકારના રીપેરીંગ જેમ કે AC, RO, ફ્રીઝ વગેરેને સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે પરવાનગી આપવામાં આવી છે.
એપ્રિલ મહિનાનો પગાર ચૂકવવો ફરજિયાત
એ પણ ઉલ્લેખનીય છે કે ઘરના માલિકોએ તેમના હેલ્પર્સને એપ્રિલ મહિનાનો પગાર આખો ચૂકવવો પડશે. આ જાહેરાત રાજ્ય સરકારના લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી વિપુલ મિત્રાએ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે મે મહિનાઓ પગાર ચુકવવો કે નહીં તેનો નિર્ણય નામદાર અદાલત કરશે પરંતુ જે કામદારોને તેમનો એપ્રિલનો પગાર નથી મળ્યો તેઓ કલેકટરનો સંપર્ક કરી શકે છે.