લોકડાઉનના ચોથા તબક્કા દરમિયાન ડોમેસ્ટીક ફ્લાઈટ્સ ફરી શરૂ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ઘરેલું એરલાઇન્સ કંપનીઓએ મિનિસ્ટર ઓફ સિવિલ એવિએશન અને સિવિલ એવિએસનના એર સર્વિસ રેગ્યુલેટરી ડિરેક્ટર જનરલ(ડીજીસીએ)ને પોતાના વિમાનોની ફિટનેશ એટલે કે વિમાન ઉડવા માટે સંપૂર્ણ રીતે ફિટ છે કે તેમ તેનો રિપોર્ટ સુપરત કર્યો છે.
વિમાન ઉડ્ડયન માટે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા તૈયાર
એરલાઈન્સ કંપનીઓ પોતાના વિમાનના ફિટનેસ રિપોર્ટ રજુ કરી રહી છે
જલ્દી જ ડોમેસ્ટીક વિમાન સેવા શરુ કરવામાં આવશે
આ અહેવાલો પ્રોટોકોલ હેઠળ ઉભા કરવામાં આવ્યા છે જેમાં ફ્લાઇટ્સને ફરીથી શરૂ કરતા પહેલાં વિમાનની સ્થિતિનો રિવ્યૂ સબમિટ કરાવવો ફરજીયાત છે. મંત્રાલયના એક સૂત્રએ પણ એરલાઇન્સનો રિપોર્ટ આવવાની પુષ્ટિ કરી છે.
કેન્દ્ર સરકારે ડોમેસ્ટીક ફ્લાઈટ્સની કેટલીક સેવાઓ નક્કી કરેલા ધારાધોરણ અને માર્ગદર્શિકા હેઠળ ચાલુ કરવાની યોજના બનાવી છે. પરંતુ હજી સુધી આ અંગે કોઈ એરલાઇન્સને કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. અગાઉ, ઉડ્ડયન મંત્રાલયે હવાઈ સેવાથી સંબંધિત તમામ હોદ્દેદારોને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) એક ડ્રાફ્ટ રજુ કર્યો હતો. આ મુસદ્દામાં 80 વર્ષથી ઉપરના લોકો અને કેબિનમાં સામાન વહન કરતા લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમજ પેસેન્જરને 20 કિલોગ્રામથી ઓછું જ વજન ચેક-ઇન સામાનમાં રાખવા સૂચના આપવાની પણ વાત કરવામાં આવી હતી. એરક્રાફ્ટ ઓપરેટર્સ અને એરલાઇન્સ કંપનીઓએ આ મુસદ્દા પર તેમના સૂચનો આપવાના હતા.
તાજેતરમાં, નાગરિક ઉડ્ડયન મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (જીઓએમ) ને વિમાનમથકને પુનર્જીવિત કરવાની તૈયારીની વિસ્તૃત વિગતો રજૂ કરી હતી. આ પદ્ધતિઓનો ઉપયોગ વંદે ભારત મિશન અંતર્ગત સંચાલિત ફ્લાઇટ્સમાં ભારતીયોને વિદેશથી પરત લાવવા માટે કરવામાં આવી રહ્યો છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ) એ પણ તેના અધિકૃત ટ્વીટર હેન્ડલ પર કેટલાક પ્રતિબંધો સાથે સ્થાનિક એરલાઇન્સને વહેલી ચાલુ કરવાનો સંકેત આપ્યો હતો. પેસેન્જર વિમાનના સંચાલન અંગે 17 માર્ચથી જાહેર કરાયેલ લોકડાઉન હાલમાં 17 મે સુધી અમલમાં છે.
કોની પાસે કેટલા વિમાનો છે
ઈન્ડિગો પાસે 260 વિમાનનો કાફલો છે, સ્પાઇસ જેટ પર 120, એર ઇન્ડિયા દ્વારા 155 અને વિસ્ટારા દ્વારા 41 વિમાનનો કાફલો છે.