સુરતની સિવિલ હોસ્પિટલ બાદ ભરુચની આમોદ રેફરલ હોસ્પિટલની લાપરવાહી આવી સામે, સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોએ દર્દીઓની સુરક્ષા સામે ઉભા કર્યા સવાલ
ભરૂચની રેફરલ હોસ્પિટલની ઘોર લાપરવાહી
દર્દીના ખાટલામાં શ્વાને ફરમાવ્યો આરામ
સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ
એક તરફ એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દુર્લભ બીમારીઓની પણ સારવાર કરવામાં આવે છે ત્યારે રાજ્યની ઘણી એવી સરકારી હોસ્પિટલ છે જ્યાં દર્દીઓને સામાન્ય રોગની સારવાર પણ પ્રાપ્ત થતી નથી. એક તરફ સરકાર દ્વારા સરકારી હોસ્પિટલો દ્વારા ઉત્તમ સુવિધાઓ આપવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ હોસ્પિટલના સંચાલકો પોતાની ફરજને લઇને ઘોર બેદરકારી દાખવતા હોવાનું અવારનવાર સામે આવે છે. ત્યારે આજે ભરુચની એક હોસ્પિટલની ઘોર લાપરવાહી સામે આવી.
દર્દીઓના ખાટલામાં શ્વાને ફરમાવ્યો આરામ
ભરૂચની આમોદ રેફરલ હોસ્પિટલમાં બેદરકારીની પરાકાષ્ઠા જોવા મળી. અહીં દર્દીઓ માટેના ખાટલામાં દર્દી નહી પરંતુ શ્વાન આરામ ફરમાવતા જોવા મળ્યા. જી, હા ભરૂચની આમોદ રેફરલ હોસ્પિટલનો એક વીડિયો વાયરલ થયો છે જે હોસ્પિટલ તંત્રની લાપરવાહીની ચાડી ખાય છે. અહીં દર્દીઓના ખાટલામાં જ શ્વાન મજાની નીંદર માણે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પુરવેગે વાયરલ થઇ રહ્યો છે. આ હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે. અનેક દર્દીઓની ટ્રીટમેન્ટ ચાલી રહી હોય છે તેવામાં આ પ્રકારે રખડતા શ્વાન હોસ્પિટલમાં ટહેલતા જોવા મળે એ કેટલા અંશે યોગ્ય કહેવાય ?
હોસ્પિટલમાં દર્દીઓ કેટલા સુરક્ષિત ?
વીડિયો વાયરલ થતા દર્દીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે જોવા જઇએ તો વોર્ડની બહાર સિક્યુરિટી ગાર્ડ હોય જ. ચલો દરેક વોર્ડ દીઠ ગાર્ડ ન હોય પરંતુ મુખ્ય દરવાજા પાસે તો સિક્યુરિટી હોય કે નહી..? શ્વાન આ રીતે છેક દર્દીના પલંગ સુધી પહોંચી જાય અને કોઇને ખબર પણ ન પડે..? શ્વાનને જોઇને સારવાર લઇ રહેલા દર્દીઓએ અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે પરંતુ હોસ્પિટલના સત્તાધીશોને તો જાણે દર્દીઓની કશી પડી હોય તેમ લાગતુ જ નથી. આમોદ વહીવટી તંત્ર અહીં ઘોર નિંદ્રામાં હોવાનું સાબિત થયુ છે.
આમોદની રેફરલ હોસ્પિટલનું તંત્ર શું કરી રહ્યું છે ?
હોસ્પિટલમાં શ્વાન આવે જ ક્યાંથી ? સિક્યુરીટી કરે છે શું ?
શું હોસ્પિટલમાં દર્દીઓની કોઇ કાળજી લેવામાં આવતી નથી ?
શ્વાન દર્દીને ફાડી ખાશે તો તેની જવાબદારી કોની રહેશે ?
પથારીવશ દર્દી પોતાનું શ્વાન સામે રક્ષણ કેવી રીતે મેળવશે ?
આમોદ રેફરલ હોસ્પિટલમાં દર્દીઓની સલામતીની ગેરંટી કોણ આપશે ?