ગુજરાતમાં રખડતાં ઢોરની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. હવે સુરતમાં 2 લાખ જેટલા રખડતાં કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે ત્યારે મનપા દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં શેરીઓમાં રખડતાં કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે. રસ્તાઓ રોકીને બેસી રહેતાં કૂતરાઓના કારણે ટ્રાફિકની સમસ્યા પણ વધતી હોય છે. રાજ્યમાં મોટા પાયે રેબિઝ વેક્સિન મુકાવવા આવતા દર્દીઓ એ બાબતનો પુરાવો આપે છે કે રાજ્યમાં કુતરા કરડવાની ઘટનાઓ પણ વધી ગઈ છે.
સુરતમાં 2 લાખ રખડતાં કુતરાઓ
સુરત જિલ્લામાં છેલ્લા બે વર્ષથી કૂતરાઓના ખસીકરણની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ તેના કારણે હવે નવી સમસ્યા ઊભી થઈ ગઈ છે. સુરતમાં 2 લાખ જેટલા રખડતાં કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે. સુરતના રસ્તાઓ પર બે લાખ જેટલા કુતરાઓ રખડતાં હોવાનો અંદાજ છે જેના પગલે સ્થાનિક પ્રજા પરેશાન થઈ ગઈ છે.
ખસીકરણ પાછળ 29 કરોડનો ખર્ચ
કૂતરાઓના ખસીકરણનો ખર્ચ મહાનગર પાલિકાઓને મોંઘો પડતો હોય છે. સુરત મહાનગર પાલિકાએ છેલ્લા બે વર્ષથી કૂતરાઓના ખસીકરણની કામગીરી બંધ કરી દીધી હતી જે હવે ફ્રી શરૂ કરવી પડે એટલી સમસ્યા વધી ગઈ છે. દરેક કુતરાના ખસીકરણ પાછળ 14,450 રૂપિયાનો ખર્ચ થાય તેવી સંભાવના છે. જેના કારણે કુલ 28.9 કરોડ રૂપિયાનો ખર્ચ મનપાને ભોગવવો પડે તેવી સંભાવના છે.
જો કે વધતી જતી સમસ્યાને કારણે મનપા દ્વારા આ નિર્ણય લેવાની ફરજ પડી શકે છે. આ માટે કોન્ટ્રેક્ટ માટે મનપાની અધિકૃત જાહેરાત જો કે હજુ બાકી છે. પરંતુ આગામી સમયમાં કોન્ટ્રેક્ટ પણ જાહેર કરવામાં આવશે.