દેશભરમાં ચૂંટણીની મોસમ ચાલી રહી છે. ચૂંટણીપંચ દ્વારા ઠેર-ઠેર આચારસંહિતાના ઉલ્લંઘનને લઇને કેટલાક લોકો સામે પગલા ભરવામાં આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં એક વિચિત્ર બનાવ મહારાષ્ટ્રમાં બનવા પામ્યો હતો.
મહારાષ્ટ્રના નંદુબાર શહેરમાં લોકસભા ચૂંટણીના ચોથા ચરણના મતદાન દરમિયાન સ્થાનિક પોલીસે એક કુતરાને કસ્ટડીમાં લીધો હતો. પોલીસની ઝપેટમાં આવેલ આ કુતરા પર ભારતીય જનતા પાર્ટીના સ્ટિકર લાગ્યા હતા. જો કે, ત્યારબાદ પોલીસે કુતરાના માલિકની પણ અટકાયત કરી હતી.
કુતરાના માલિકનું નામ એકનાથ મોતીરામ ચૌધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, તેમને સુચના મળી હતી કે, હોસ્પિટલ નજીક એક કુતરું અને તેનો માલિક શહેરમાં ફરી રહ્યા છે અને કુતરાના સમગ્ર શરીર પર 'મોદી લાવો, દેશ બચાવો'ના સ્ટિકર લાગેલા હતા.
પોલીસે એકનાથ મોતીરામ ચૌધરી વિરૂદ્ધ ચૂંટણી નિયમો તોડવાના આરોપમાં ભારતીય દંડ સંહિતાની ધારા 171(એ) હેઠળ મામલો નોંધ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ ઘટના અંગેના સમાચાર ચારે તરફ ફેલાઇ જતાં લોકોમાં પણ કૌતુક જોવા મળ્યું હતું. આવી ઘટનાઓ સામે આવ્યા પછી વાચકને પણ સવાલ અચૂક ઉભો થાય કે શું ખરેખર આવું થયું હશે...?