ભારતમાં કોરોના વાયરસના વધતાં કેસ અને હવે તો બ્રિટનના નવા સ્ટ્રેનની ચર્ચા વચ્ચે કેટલાક રાજ્યો જ્યાં નાઈટ કર્ફ્યૂ લગાવી રહ્યા છે ત્યારે આ નિર્ણય પર નિષ્ણાતોનો મત જુદો છે.
ભારતમાં કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો પણ સંક્રમણ રોકાતું નથી
નવા આવેલા સ્ટ્રેન વિશે વિશ્વભરમાં વધી રહી છે ચિંતા
ગુજરાત સહીત ઢગલાબંધ રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ છે પણ નિષ્ણાતોનો મત જુદો
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ હજુ રોકાયું નથી જોકે દૈનિક નવા કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે પણ વર્ષ પૂરૂ થાય તે પહેલા જ બ્રિટનનાકોરોના વાયરસના સ્ટ્રેનથી ફરીથી ચિંતામાં વધારો થયો છે. કોરોના વાયરસને રોકવા માટે હવે રાજ્યો નાઈટ કર્ફ્યૂ તરફ ભણી છે અને કેટલાય રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ કરવામાં આવી રહ્યું છે. એવામાં સવાલ થાય છે કે આ નાઈટ કર્ફ્યૂનો કોઈ લાભ છે ખરો ?
અમદાવાદમાં કેસ વધતા લેવાયો હતો નિર્ણય
ગુજરાતના અમદાવાદમાં ઘણા દિવસોથી નાઈટ કર્ફ્યૂ છે જેમાં રાત્રીના 9 વાગ્યા બાદ કર્ફ્યૂ કરી દેવામાં આવે છે, અમદાવાદમાં સતત વધતા કેસને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે બાદ કહેવામાં આવ્યું કે વર્ષના છેલ્લા દિવસે પણ રાત્રીના સમયે લોકોને એકઠા થવાની મંજૂરી રહેશે નહીં. હવે ગુજરાત બાદ અન્ય રાજ્યોમાં પણ આવો જ નિર્ણય લેવાઈ રહ્યો છે.
મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં રાત્રી બાદ તાળાબંધી
દેશમાં કોરોના વાયરસથી સૌથી વધારે સંક્રમણ મહારાષ્ટ્રમાં થયું છે અને વાયરસ રોકવાનું નામ લેતો નથી ત્યારે સરકારે હવે રાજ્યમાં સાત કલાક માટે નાઈટ કર્ફ્યૂ લગાવ્યું છે. પાંચમી જાન્યુઆરી સુધી રાત્રીનાં 11થી સવારનાં 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ રહેશે. રાજસ્થાનમાં પણ સરકાર કોરોના વાયરસના સંક્રમણથી ભયભીત છે અને તેના કારણે આઠ જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. આ સિવાયના રાજ્યના અડધા જિલ્લાઓમાં ધારા 144 લાગુ કરી દેવાઈ છે.
આજે કર્ણાટકે પણ લીધો નિર્ણય
આજે કર્ણાટકમાં નાઈટ કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર બાદ કર્ણાટકમાં જ સૌથી વધારે સંક્રમણ છે ત્યારે બીજી જાન્યુઆરી સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે જે રાત્રીના 10થી સવારના 6 સુધી લાગુ રહેશે. પંજાબમાં પહેલેથી જ નાઈટ કર્ફ્યૂ હતું જ જેને સરકાર હવે પહેલી જાન્યુઆરી સુધી લંબાવી દીધું છે. પંજાબમાં રાતના 10થી સવારના 5 સુધી કર્ફ્યૂ રહે છે.
શું આ નિર્ણયની કોઈ ઉપયોગીતા છે ખરી ?
આટલા બધા રાજ્યો જ્યાં નાઈટ કર્ફ્યૂ લગાવી રહી છે ત્યારે તેના પર ઘણા બધા નિષ્ણાતો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ નાઈટ કર્ફ્યૂ પાછળ તર્ક શું છે ? નિષ્ણાતો માને છે કે ભલે સરકારો સંક્રમણને રોકવા માટે આ પગલાં ભરી રહી હોય પણ નાઈટ કર્ફ્યુંના ઉપયોગ પર આશંકા છે કારણ કે વિકેન્ડ લોકડાઉન હોય કે નાઈટ કર્ફ્યૂ તે કોરોના વાયરસની કડીને તોડવામાં નાકામ છે. વિશેષજ્ઞો કહે છે કે મોટા ભાગના કામ તો દિવસમાં જ કરવામાં આવે છે અને ભીડ પણ દિવસમાં ભેગી થાય છે એવામાં નાઈટ કર્ફ્યૂની ઉપયોગીતા ઘટી જાય છે.