દેશમાં વેક્સિનેશન અભિયાન જોરોશોરોથી ચાલી રહ્યું છે. એવામાં વેક્સિનને લઈને ઉભા થતા અમુક પ્રશ્નોના જવાબ નિષ્ણાંતોએ આપ્યા
વેક્સિન લેવાના કારણે પુરુષોમાં ફેલાય છે નપુંસકતા?
વેક્સિન અને પિરિયડ્સને કોઈ સંબંધ છે?
ભારતમાં ચાલી રહ્યું છે વેક્સિનેશન અભિયાન
ભારતમાં કોરોનાને આંતક મચાવ્યા બાદ હવે વેક્સિનેશનની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. યુદ્ધના ધોરણે ચાલી રહેલી આ કામગીરીમાં અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ લોકો વેક્સિનના બન્ને ડોઝ લઈ ચુક્યા છે, જ્યારે 14 કરોડથી વધુ લોકો પહેલો ડોઝ લઈ ચુક્યા છે. સરકાર વારંવાર લોકોને વેક્સિન લેવા અપીલ કરી રહી છે. ત્યારે વેક્સિનને લઈને લોકોમાં અલગ અલગ પ્રકારની મૂંઝવણ અને ગેરમાન્યતા પણ છે. લોકો વેક્સિન લેતા હજુ પણ ડરી રહ્યા છે અને તેનું મુખ્ય કારણ તેના પાછળ જોડાઈ ચુકેલી અફવાઓ છે.
શું વેક્સિન લેવાથી નપુંસકતા આવી શકે?
સોશિયલ મીડિયા પર ફરતા ફોરવર્ડમાં ઘણી બધી એવી માહિતીઓ ફોરવર્ડ થતી હોય છે જે લોકોને વેક્સિનને લઈને ગેરમાર્ગે દોરે છે. ઘણા ફોરવર્ડ મેસેજ વાંચીને લોકો મનમાં અમુક ધારણા બાંધી લે છે. આવી જ એક ધારણા એ પણ છે કે વેક્સિન લેવાના કારણે નપુંસકતા આવી જાય છે. વેક્સિનેશન અભિયાન શરૂ થયું ત્યારે આવા મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. લોકો આ ફોરવર્ડ મેસેજને સાચા માનીને વેક્સિન લેવાનું ટાળી રહ્યા હતા. પરંતુ આ વાત પાયા વિહોણી છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના વી.જી. સોમાણીએ આ વાત પર સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે આ વાત સંપૂર્ણપણે બકવાસ છે. સુરક્ષા અને સલામતી બાબતે ચિંતા ઉભી કરે તેવી કોઈ પણ બાબતને અમે ક્યારેય મંજૂરી નહીં આપીએ. આ વેક્સિન 110 ટકા સલામત છે. સામાન્ય તાવ, દુખાવો અને એલર્જી જેવી આડ અસર દરેક વેક્સિનમાં જોવા મળે છે. વેક્સિન લેવાના કારણે નપુંસકતા આવે છે તેવી વાત અફવા છે અને સંપૂર્ણ પણે બકવાસ છે.
પિરિયડ્સમાં લઈ શકાય વેક્સિન?
સોશિયલ મીડિયા પર એવા પણ મેસેજ વાયરલ થયા હતા જેમાં જણાવવામાં આવ્યું હતું કે પિરિયડ્સમાં મહિલાઓએ વેક્સીન ન લેવી જોઈએ. મહિલાઓને આવા દિવસોમાં પ્રતિરોધક ક્ષમતા ઘટી જાય છે જેના કારણે પિરિયડ્સના પાંચ દિવસ પહેલા અને પાંચ દિવસ પડી વેક્સીન ન લેવી જોઈએ. તમને જણાવી દઈએ કે આવા ફોરવર્ડ મેસેજ પણ નાણાવટી હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ગાયત્રી દેશપાંડેએ જણાવ્યું કે, પિરિયડ એક નેચરલ પ્રક્રિયા છે. માટે તેને અને વેક્સીનને કોઈ લેવાદેવા નથી. મહિલાઓને પિરિયડ્સમાં વેક્સિન ન લઈ શકાય તે વાત તદ્દન પાયા વિહોણી છે.