કોરોના વાયરસ મહામારીને પગલે જયારે ભારત દેશની માર્કેટ ઈકોનોમી સરકાર અને કોર્પોરેટ બંને માટે ઊંઘે માથે પછડાઈ છે ત્યારે આ અજગરસમો રોગ દેશને યાદ અપાવે છે કે સ્વંત્રતતા બાદથી ભારતે જે સમાજવાદી અર્થતંત્ર અપનાવ્યું હતું તેમાંથી આપણે આ સંકટના સમયમાં થોડી શીખ લેવાની જરૂર છે. જો એ નીતિઓની વાત કરીએ તો આયોજન પંચની પંચવર્ષીય યોજનાઓ વડે આધુનિક ભારતના મજબૂત પાયા નંખાયા છે અને તેના કારણે જ ભૂતકાળમાં આવેલી મહામારી હોય કે પછી દુષ્કાળ કે પૂર જેવા સંકટમાંથી મજબૂત રીતે દેશ ઊગરી શક્યો હતો.
આ લોકડાઉનથી દેશનો દમનકારી વર્ગ ઉઘાડો પડી ગયો
જયારે કોરોના વાયરસથી લાચાર થઇ ગયેલી સરકારે દેશભરમાં લોકડાઉનનો આદેશ આપ્યો ત્યારે સમગ્ર પ્રદેશોમાંથી લાખોની સંખ્યામાં પરપ્રાંતીય કામદારોએ તેમના પરિવાર સાથે કોઈ જ પરિવહન સેવાઓના અભાવે ચાલતા ચાલતા હજારો કિલોમીટર દૂર આવેલા તેમના વતનની વાટ પકડવા મજબૂર બન્યા. ભોજન કે રહેવાની વ્યવસ્થા વગર આ કામદારોની હિજરતે દેશમાં શાઈનિંગ ઇન્ડિયા અને વાસ્તવિક ભારત વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરી દીધી. એ સ્પષ્ટ છે કે સરકાર તરફથી યોગ્ય પ્લાનિંગના અભાવે તેમ જ કોઈ જ અગમચેતી સૂચના આપ્યા વગર અચાનક લાદી દેવાયેલા લોકડાઉનની અસર થશે તે સરકાર ગણતરીમાં લીધું જ નહોતું. શ્રમિકો હાઇવે ઉપર ભોજન કે રૂપિયા વગર આવી દયનીય સ્થિતિમાં આવી જશે તેવો દૂરંદેશી વિચાર કરવામાં ક્યાંક કાચું કપાઈ ગયું છે તે ચોક્કસ છે.
કામના અભાવે બેરોજગાર ભૂખ્યા તરસ્યા કામદારોની મુશ્કેલીઓ આટલી ઓછી હોય તેમ રસ્તામાં લોકડાઉનમાં બહાર નીકળ્યા હોવાને કારણે પોલીસના લાઠીચાર્જનો ભોગ પણ તેમને બનવું પડ્યું હતું. કેટલીક જગ્યાએ તો તેમના પર કેમિકલ સ્પ્રે નાંખીને અગ્નિપરીક્ષામાંથી પાસ થવું પડે તેવા માનવતાના ચિરહરણ થતાં દ્રશ્યો પણ નજરે પડ્યાં. આવામાં ભારત દેશ તેના નિર્બળ અને દયનિય સ્થિતિમાં જીવી રહેલા વર્ગને સુરક્ષા પૂરી પાડવામાં અસમર્થ જણાયો.
સુરત અને મુંબઈમાં પ્રરપ્રાંતિયોની વેદના રસ્તા પર ઉતરી
થોડાં દિવસ અગાઉ સુરતમાં પણ પરપ્રાંતિયો વતન પરત જવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. જ્યારે આજે ફરીથી સુરતના વરાછા વિસ્તારમાં આ જ દ્રશ્યો જોવા મળ્યાં. મુંબઈમાં બાંદ્રા સ્ટેશન પર હજારોની સંખ્યામાં વતન જવાની માગ સાથે ભેગાં થયા હતાં. જો કે પોલીસે સ્પષ્ટતા કરી હતી કે આ એક અફવાને કારણે થયું હતું. માન્યું સ્પેશ્યલ ટ્રેનનું આયોજન કરાયું હતું તેવી અફવા ઉડી હતી પરંતુ એ વાત ચોક્કસ છે કે પરપ્રાંતિય શ્રમિકો જ્યાં હાલ છે ત્યાં તેમને કોરોનાના ડર કરતા ભૂખ અને અવ્યવસ્થાનો ડર વધારે છે. જેથી તેઓ કોઈ પણ કાળે પોતાના વતન જવા માંગે છે. મહત્વનું છે કે મુંબઈના બાંદ્રાની ઘટનાને પગલે મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેએ પણ કેન્દ્ર સરકાર પર અવ્યવસ્થાને લઈને નિશાન સાધ્યું હતું.
શું સરકાર ભારતના સૌથી મોટા વર્ગની વેદના સમજવામાં નિષ્ફળ રહી?
દેશના શાસક પક્ષ અને પરંપરાવાદી જમણેરી વિચારધારાને વરેલા ભાજપ એ સમજવામાં નિષ્ફ્ળ રહ્યો કે દેશની બહુમતી વસ્તી અનઓર્ગેનાઇઝડ અને ઇન્ફોર્મલ સેક્ટરમાં કામ કરે છે અને લોક ડાઉન જાહેર થતા શાંતિથી ઘરે બેસી રહેવા જેટલી અને આટલો લાંબો સમય બેરોજગાર રહેવા જેટલી સુવિધા તેઓ ધરાવતા નથી. આ કામદારોની વેદના ભારતવાસીઓને વિચારવા માટે મજબૂર કરી દે છે કે શું દેશે ફરીથી તેની જૂની સમાજવાદી નીતિઓ તરફ પાછા ફરવું જોઈએ?
એક ભારતની બે દુનિયા
સૌથી મહત્વની વાત કરીએ તો દેશના 90% અર્થતંત્રને અસર કરતા અને દેશના ઇન્ફોર્મલ સેક્ટરમાં કામ કરીને 80% રોજગારી પેદા કરતા આ કામદારો માટે કોઈ લેબર લો દેશમાં ઉપલબ્ધ જ નથી.
2004-2005માં આરોગ્ય પાછળનો ખર્ચ GDPના 0.84% જેટલો હતો. આ 2009માં વધીને 1.41% કરવામાં આવ્યો. 2014-15માં NDA સરકારે આ ઘટાડીને 0.98% કરી દીધો અને હાલ નાણાકીય વર્ષમાં તે 1.28% છે.
એક સમય હતો જયારે ભારત એક ગરીબ દેશ ગણાતો હતો. અત્યારે વિશ્વમાં સંપત્તિ ધરાવતા દેશોમાં ભારત અગાઉ કરતા ઘણો આગળ આવ્યો છે. પરંતુ દેશની 10% વસ્તી દેશની 75% જેટલી સંપત્તિની માલિક છે. કોરોના વાયરસ મહામારી એ સરકાર દેશના નિર્બળ 90% વસ્તીને કેટલી સારી રીતે સાચવી અને સુરક્ષિત રાખી શકે છે તેની પરીક્ષા છે.
આધુનિક ભારતમાં સમાજવાદ
લોકડાઉન હટવાની સાથે જ આપણને અહેસાસ થશે કે આપણે એક ભયાનક નાણાંકીય સંકટમાં ફસાયા છીએ. આ સંકટમાં આરોગ્ય અને અર્થતંત્રની ધૂરા સાચવવા માટે રાજ્યોએ અને કેન્દ્રએ ખૂબ ઝડપી અને સચોટ પગલાં લેવા પડશે. અત્યારે સરકાર પાસે એક સારો સમય છે કે તેઓ સહાયકારી પેકેજીસ જાહેર કરે, જન કલ્યાણની યોજનાઓ અમલમાં મૂકે અને આ કમનસીબ વર્ગને બચાવવામાં મદદ કરે. સરકાર તેમની મદદ કેટલા અંશે કરશે તે તો સમય જ કહી શકે છે.
પરંતુ જો સરકાર આ લોકડાઉન લંબાવવાનું નક્કી કરે છે અને આખો દેશ જ્યારે આર્થિક આશાએ બેઠો હોય ત્યારે માત્ર સંબોધન-આશ્વાસન મળે અને કોઈ સહાય પેકેજ નથી આપતી તો આ દેશના કમનસીબ બે તૃતીયાંશથી વધુ વસ્તી માટે પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ હશે. આ પરિસ્થિતિ એમ પણ સાબિત કરી દેશે કે વાસ્તવિક ભારત અને કાલ્પનિક ભારત જેની કલ્પના દિલ્હીના લુટયન વિસ્તારમાં મોટા બંગલાઓમાં રહેતા સરકારી બાબુઓ અને નેતાઓ કરી રહ્યા છે તેમાં પર્વત અને ખીણ જેટલો તફાવત છે.