ગુજરાતના જ નહીં પણ આખા દેશના હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરને કોરોના વાયરસે બાનમાં લીધું છે. આ કહેરમાંથી લોકોના મસિહા બનેલા શહેરના ડોકટરો દિવસ રાત પોતાનો જીવ જોખમમાં મૂકીને દર્દીઓની સેવામાં લાગ્યા છે. જો કે એવા દુઃખદ સમાચાર બહાર આવી રહ્યા છે ડોકટરોને પોતાને જેમને કોરોના પોઝિટિવ હોય તેમને પૂરતી સુવિધાઓ મળતી નથી. AMCના ડોક્ટર રૂપલ મેઘાણીનો કાંઈક આવો જ કિસ્સો છે.
ડો મેઘાણી છેલ્લા 20 વર્ષથી AMCમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે
6 એપ્રિલે ડોક્ટર મેઘાણીને સૂકી ઉધરસ અને ગળામાં ખારાશના લક્ષણો શરુ થયા
તેઓ જણાવે છે કે ડોકટરોએ અત્યારે કારકુનની જેમ ડેટા એન્ટ્રી જેવા કામો પણ કરવા પડે છે
ડો મેઘાણી AMCના મેડિકલ ઓફિસર તરીકે શહેરના હોટસ્પોટ વિસ્તાર જમાલપુરમાં કાર્યરત હતા. તેઓ 22મી એપ્રિલે આ ઘાતક વાયરસના ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા. તેઓ કહે છે કે તેમને પૂરતી સગવડો અને સમય ઉપર ખાવાપીવાનું અને દવાઓ મળતી નથી.
ડોક્ટર બનવું એ તેમનું પહેલેથી જ એક સપનું હતું
ડો મેઘાણી કહે છે કે ડોક્ટર બનવું એ તેમનું પહેલેથી જ એક સપનું હતું. તેમના પિતાના ડોક્ટર માટે તેમને નાનપણથી ખૂબ માન હતું અને આર્થિક સંકડામણની વચ્ચે રહીને પણ 1995માં તેમણે MBBS પૂરું કર્યું અને 2000ની સાલથી AMC સાથે મેડિકલ ઓફિસર તરીકે જોડાયા. તેમને આ લોકસેવાનું કાર્ય ખૂબ ગમતું. તેઓએ શરૂઆતના 18 વર્ષ શહેરના નોર્થ ઝોનમાં કામ કર્યું અને હવે તેઓ 2 વર્ષથી સેન્ટ્રલ ઝોનમાં જોડાયા છે. જયારે તેમને જમાલપુર મેડિકલ વાન ટીમમાં મુકવામાં આવ્યા ત્યારે તેમણે નિર્ભિકતાથી પોતાની ફરજ બજાવી.
જમાલપુર જેવા હોટસ્પોટમાં PPE ખૂબ ઓછા
મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની 10-10 12-12 કલાકની ડ્યુટીમાં જમાલપુર જેવા હોટસ્પોટમાં તેમની પાસે PPE (પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ) પણ 5 કે 6 જ હતા. આમ PPEના અભાવે ત્યાં સૌએ કોરોનાના શંકાસ્પદ દર્દીઓની સારવાર પણ સાદા માસ્ક અને હેન્ડ ગ્લવ્સમાં કરવી પડતી. તેઓ જાણતા હતા કે તેઓ મોટું જોખમ લઇ રહ્યા છે પણ કોઈ વિકલ્પ નહોતો. ડોક્ટર મેઘાણી જણાવે છે કે અત્યારે શહેરના ડોકટરો અને મેડિકલ સ્ટાફના માનસિક સ્વાસ્થ્ય ઉપર અવળી અસરો પડી રહી છે. વધુ પડતા તણાવને કારણે ડોક્ટર મેઘાણીને પોતે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા આ સમયે ઉભી થઇ. તેઓ જણાવે છે કે ડોકટરોએ અત્યારે કારકુનની જેમ ડેટા એન્ટ્રી જેવા કામો પણ કરવા પડે છે.
બે વખત ટેસ્ટ નેગેટિવ આવ્યો
6 એપ્રિલે ડોક્ટર મેઘાણીને પોતાને સૂકી ઉધરસ અને ગળામાં ખારાશના લક્ષણો શરુ થયા. તેમનો કોવિડ 19 નો ટેસ્ટ નેગેટિવ આવ્યો. થોડા સમયમાં તેમને ઝાડા અને પેટના દુખાવાની શરૂઆત થઇ. તેમનો બીજી વખત ટેસ્ટ નેગેટિવ આવ્યો. આ સમયે તેમની બદલી વસ્ત્રાલ કરવામાં આવી. તેમણે તેમના અધિકારીને જાણ કરી કે તેમની તબિયત ખરાબ છે અને આવી સ્થિતિમાં બીજા લોકોને પણ સંક્રમણનું જોખમ રહી શકે છે. જો કે આમ કહેવા છતાં તેમને વસ્ત્રાલ મુકવામાં આવ્યા જ્યાં તેમની તબિયત વધુ કથળતા તેમણે SVP માં ત્રીજી વાર કોરોના ટેસ્ટ કરાવ્યો જે પોઝિટિવ આવ્યો.
કમિશનર વિજય નહેરાએ મેડિકલ સ્ટાફને કોરોના થઇ જાય ત્યારે તેમની કઈ રીતે સારવાર કરવી એ માટે એક વ્યવસ્થિત પ્લાન કરવાની જરૂર હતી: ડો મેઘાણી
ડો મેઘાણી કહે છે કે SVPના 7માં માળે આઇસોલેશન વોર્ડમાં તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. તેમને ડાયેરિયા થયેલા હોવાથી વારંવાર ટોયલેટ જવું પડતું જયારે હોસ્પિટલના ટોયલેટની સ્ટોપર તૂટી ગયેલી હતી. મેડિકલ સ્ટાફને ખાવાનું આપવા માટે અને દવા માટે વારંવાર યાદ કરાવવું પડે છે. તેઓ કહે છે કે આગળના બંને ટેસ્ટ જે નેગેટિવ આવ્યા તે માટે ખરાબ ગુણવત્તાની ટેસ્ટ કિટ જવાબદાર હોઈ શકે છે. તેમણે AMC ના કમિશનર વિજય નહેરા ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે શહેરના મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફને કોરોના થઇ જાય ત્યારે તેમને ક્યાં રાખવા અને તેમની કઈ રીતે સારવાર કરવી એ માટે એક વ્યવસ્થિત પ્લાન કરવાની જરૂર હતી.
કમિશનર વિજય નહેરાએ કર્યો બચાવ
નોંધનીય છે કે આ મુદ્દે ડો મેઘાણીએ એક વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયો બહાર આવતા હોબાળો મચી ગયો હતો અને આખરે ચીફ મેડિકલ ઓફિસર ભાવિન સોલંકીએ ડો મેઘાણી સાથે વાત કરીને તેમની સમસ્યાઓ દૂર કરી હતી. બીજી બાજુ નહેરાસાહેબનું કહેવું છે કે વીડિયો જોતા પહેલા એમ ચકાસો કે ક્યાંક નાની વાતને તો મોટ સ્વરૂપ નથી આપી દેવાયું ને? તેઓ કહે છે કે ડો મેઘાણીને વ્યવસ્થિત સારવાર મળી રહી છે પણ તેમને એક ડર પેસી ગયો છે અને આ માટે તેમને કાઉન્સેલિંગ આપવામાં આવી રહ્યું છે.
કમલેશ મેઘાણી, ડો મેઘાણીના પતિ તેમની પત્ની ઉપર ગૌરવ અનુભવે છે. તેઓ કહે છે કે 12-12 કલાકની ડ્યુટીમાં ક્યારેક તેઓ જમવાનું પણ ભૂલી જાય છે. અત્યારે તેમના પત્નીને પડી રહેલી મુશ્કેલીઓ માટે તેઓને ખૂબ દુઃખ થાય છે.