ગુજરાતમાં તબીબોની હડતાળ યથાવત, સિવિલ હોસ્પિટલ્સમાં અટકી પડી છે અનેક સર્જરી, દર્દીઓને ભારે હાલાકી
સરકારી તબીબોની પડતર માંગણીઓને લઇને હડતાળ
સતત ચોથા દિવસથી તબીબોની હડતાળ યથાવત
10 હજાર કરતા વધુ તબીબો હડતાળ પર
કોરોનાના કપરાકાળમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવનાર તબીબો હડતાળ પર ઉતરતા રાજ્યની આરોગ્ય સેવા ઇમરજન્સીમાં આવી ગઇ છે.રાજ્યભરમાં સરકારી મેડિકલ કોલેજના 10 હજાર જેટલા સિનિયર તબીબોની અચોક્કસ મુદ્દતની હડતાળને પગલે રાજ્યની આરોગ્ય સેવા ખોરવાઇ ગઇ છે.તબીબો દ્વારા અત્યારસુધીમાં ચાર વખત પડતર મુદ્દાઓને લઈને હડતાળ કરવામાં આવી હતી,પરંતુ સરકારે માત્ર મૌખિક બાંયધરી આપતાં તેમણે હડતાળ પરત ખેંચી લીધી હતી .ત્યારે હવે ફરી એકવાર તબીબોએ હડતાળ પાડતા રાજ્યની આરોગ્ય સેવાઓ ઈમરજન્સીમાં આવી ગઈ છે.
તબીબોની હડતાળનો ચોથો દિવસ
અંદાજે 10 હજાર તબીબો કામકાજથી દૂર રહેતા અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની મેડિકલ સેવાઓ પર ગંભીર અસર પહોંચી છે. ચોથા દિવસે પણ તબીબોની હડતાળ યથાવત જોવા મળી છે. સરકારી તબીબો પડતર માંગણીઓને લઇને હડતાળ પર ઉતર્યા છે. સિવિલ હોસ્પિટલ્સમાં અનેક સર્જરીઓ અટકી પડી છે. તંત્ર કોન્ટ્રાક્ટ અને રેસિડેન્ટ ડોક્ટર્સથી કામ ચલાવી રહ્યા છે. સરકારી દવાખાનાઓમાં દર્દીઓ લાઇનમાં ઉભા જોવા મળી રહ્યા છે. ડોક્ટર હડતાળ પર ઉતર્યા હોવાથી દર્દીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સર્જરીઓ સહિત અનેક કામો અટકી પડ્યા છે.
રાજકોટમાં ચક્ષુદાન-અંગદાનના સંકલ્પ પત્ર ભર્યા
રાજકોટમાં તબીબોની હળતાળ યથાવત જોવા મળી હતી. હડતાળના ત્રીજા દિવસે તબીબોએ ચક્ષુદાન અને અંગદાનના સંકલ્પ પત્ર ભરીને વિરોધ નોંધાવ્યો. તેમજ અગાઉ તબીબોએ સરકારને જગાડવા રામધૂન બોલાવી હતી. તબીબોની હડતાળને પગલે 70 આયોજિત સર્જરી થઇ શકી ન હતી. મહત્વનું છે કે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા વિડીયો મેડિકલ કોલેજના પટાંગણમાં સિનિયર ડોકટરો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમજ પોતાની જૂની માંગણીઓ દર્શાવતા પોસ્ટરો દર્શાવી વિરોધ પણ પ્રગટ કરવામાં આવ્યો હતો.
વડોદરામાં કોન્ટ્રાક્ટ તબીબોથી કામ ચલાવાયું
તો આ તરફ વડોદરામાં સરકારી તબીબોના હડતાળ પર ઉતર્યા છે. પરિણામે કોન્ટ્રાક્ટ પરના તબીબો દર્દીઓની કરી સારવાર કરી રહ્યા છે. SSG હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પરના તબીબોને કારણે રાબેતા મુજબ OPD ચાલી રહી છે. કોન્ટ્રાક્ટ તબીબો દ્વારા ઈમરજન્સી ઓપરેશન પણ કરવામાં આવી રહ્યા છે. સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓ હવે રામભરોસે મુકાયા છે. શહેરની બંન્ને સરકારી હોસ્પિટલોમાં 150 સર્જરી ઠપ્પ થઈ છે. જો કે ઈમરજન્સી સારવારને અસર ન થાય તે માટે તંત્રએ આયોજન કર્યું છે.