બાળ દર્દીઓ પીડિયાટ્રીક વિભાગના ડોક્ટરોની શ્રેષ્ઠ સારવાર મેળવી રહ્યા
છ માસના બાળક અદિત વિકાણીને આપ્યું નવું જીવન
કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા માટે અત્યાર સુધી પડદા પાછળ રહીને સૌથી મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલનો પિડીયાટ્રીક વિભાગ કોવિડ-19ના બાળ દર્દીઓ તથા અન્ય દર્દીઓને જરૂરી અને અગત્યની સારવાર આપીને રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અનેક બાળ દર્દીઓ પીડિયાટ્રીક વિભાગના ડોક્ટરોની શ્રેષ્ઠ સારવાર મેળવી રહ્યા છે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દેવડી ગામે રહેતા છ માસના કોરોનાગ્રસ્ત બાળક અદિત વિકાણી સાથે ઘટના બની હતી. પિડીયાટ્રીક વિભાગના ડૉ.મનાલી જાવિયાએ જણાવ્યું કે, અદિતને ચાર દિવસથી તાવ ઉધરસ, અને એક દિવસથી શ્વાસની સમસ્યા હતી. બાળકનું શરીર એકદમ ફિક્કું પડી ગયું હતું. અદિતને લીવર અને સ્પલીન (બરોડ) પર સોજો આવી ગયો હતો. સામાન્ય રીતે બાળકોમાં લોહીના ટકા 10.00થી વધુ જોવા મળે છે. પરંતું અદિતમાં તેનું પ્રમાણ 3.01 ટકા જેટલું જ હતું. ઓક્સિજનનું લેવલ 80 જેટલું થઈ ગયું હતું. મારી કરીયરમાં અત્યાર સુધીમાં જોયેલા કેસમાં સૌથી ક્રિટીકલ કેસ હતો.
છ માસના કોરોનાગ્રસ્ત બાળક અદિતની સારવાર અંગે ડો. જાવિયા જણાવે છે કે, સુપ્રિટેન્ડન્ટ આર.એસ. ત્રિવેદી તથા અમારા પીડીયાટ્રીક ડિપાર્ટમેન્ટ હેડ ડો.પંકજ બૂચના માર્ગદર્શન હેઠળ તથા પ્રોફેસર આરતી મકવાણા અને પલક હપાણીના સહકારથી અમારી ટીમ બાળકની સારવાર કરતી હતી. બાળકને સિવિલમાં લાવવામાં આવ્યો ત્યારે તેને ચાર દિવસ હાઈ-ફ્લો નોઝલ કેન્યુલા પર રાખવામાં આવ્યો હતો. સાથે સાથે તેની અન્ય સારવાર ચાલુ હતી.
આ સમય દરમિયાન તેના શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું હોવાથી ૩ બોટલ લોહી ચડાવ્યું હતું. જેથી તબીયતમાં સુધારો જણાયો હતો. પરંતુ બાળકની સ્વાસ્થયની પરિસ્થિતિ સંતોષ કારક હોવાનું પ્રતિત થતું ન હતું. આથી તેનો ડી-ડાયમર ટેસ્ટ કરાતા તેનો ડિ-ડાઈમર રેશિયો સામાન્ય કરતા 8 ગણો વધુ હતો. બાળકની પરિસ્થિતિ નાજુક હતી. આવા સંજોગોમાં તેને રેમડેસિવિર આપવામાં આવ્યું. તેના પરીણામે બાળકની તબિયતમાં વધુ સુધાર જોવા મળ્યો હતો. 4 દિવસ તેને સાદી કેન્યુલા પર રાખવામાં આવ્યો હતો. બે દિવસ ઓક્સિજન વગર રાખવામાં આવ્યો હતો. તબીયત સામાન્ય થતા અદિતને રજા આપવામાં આવી.
બાળકના પિતા દશરથભાઈ વિકાણીએ સિવિલની સારવાર અંગે જણાવતા કહ્યું કે, મારો દિકરાની તબિયત બગડતા અમે ગભરાઈ ગયા હતા. અમે ગામડેથી સીધા જ રાજકોટ સિવિલમાં સારવાર કરાવવા પહોંચી ગયા હતા. મને રાજકોટ સિવિલની સારવાર ઉપર ભરોસો છે. કારણકે મેં પણ ભૂતકાળમાં કોરોનાની સારવાર અહીં જ કરાવી છે. મારી દીકરી તથા પત્નીની સારવાર પણ અહીં જ કરાવી છે. રાજકોટ સિવિલમાં સાચી, સારી અને સુંદર સારવાર અંગે મારા વિશ્વાસને સિવીલના તમામ ડોક્ટરોએ સાચો ઠેરવ્યો, એનો મને આનંદ છે. ડોક્ટરો પણ નિયમીત અને સમયસર આવીને બાળકનું ચેક અપ કરતા. મારા દિકરાની તબિયત ખૂબ જ સારી છે. આટલી સારી સારવાર આપવા બદલ સિવિલ હોસ્પીટલના તમામ સ્ટાફને ભગવાન સુખી રાખે.
બાળકોની સારવાર અને શુશ્રૃષા કરતા સિવિલના ડોક્ટરોની કામગીરી જોઈને માતા-પિતાઓ લાખ-લાખ દુવાઓ આપે છે.