ભારતીય મેડિકલ એસોસિયેશન દ્વારા આજે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી છે. જેને લઇને દેશભરમાં 3 લાખથી વધારે ડોકટરો ઓપીડીમાં સેવા આપશે નહીં. ડોકટર મેડિકલ એસોસિયેશન દ્વારા નેશનલ મેડિકલ કાઉન્સિલ બિલ 2019ના વિરોધમાં હડતાલનું એલાન કરવામાં આવ્યું છે.
ડોકટરોએ જણાવ્યું છે કે આ બિલ મેડિકલ ક્ષેત્ર માટે યોગ્ય નથી અને તેમાં ઘણા પ્રકારના પડકારો સામે આવશે. તબીબોએ જણાવ્યું હતું કે સરકારને બિલમાં રહેલી ક્ષતિઓ અંગે જણાવવા હડતાળ પાડવામાં આવી છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા આજે દેશભરમાં હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. જેને લઇને દેશભરના અંદાજે 3 લાખ ડોકટરો હોસ્પિટલમાં આજે ઓપીડી સેવા આપશે નહીં. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.
આઇએમએ દ્વારા આ હડતાળ નેશનલ મેડિકલ કાઉન્સિલ બિલ 2019 વિરુધ્ધ પાડવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 44 હજાર ડોકટરો આજે પોતાની સેવા આપશે નહીં. જો કે ડોકટરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવશે.
આ હડતાળ સાંજે 6 વાગ્યા સુધી ચલાવામાં આવશે. ઉલ્લેખનીય છે કે લોકસભામાં સોમવારે રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગ વિધેયક-2019ને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીમંડળમાં આ વિધેયકને 17 જૂલાઇના રોજ મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી જણાવામાં આવ્યું છે કે આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI)ના સ્થાન પર એક ચિકિત્સા આયોગ સ્થાપિત કરવાનો છે.
શું છે બિલ...
ભારતમાં અત્યાર સુધી મેડિકલ શિક્ષા, મેડિકલ સંસ્થાનો અને ડોકટરોના રજિસ્ટ્રેશન સંબંધિત કામ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જવાબદારી છે. બિલ પસાર થયા બાદ હવે MBBS પાસ કર્યા બાદ પ્રેકટિસ માટે ટેસ્ટ આપવી પડશે.
જો કે અત્યાર સુધી આ ટેસ્ટ વિદેશમાંથી મેડિકલ ભણીને આવતા વિદ્યાર્થીઓ આપતા હતા. જ્યારે બિલના સેકશન 32માં 3.5 લાખ નોન મેડિકલ શખ્સને લાયસન્સ આપીને દરેક પ્રકારની દવા લખવા તેમજ ઇલાજ કરવા કાનૂની અધિકાર આપવામાં આવી રહ્યો છે, જેનો ડોકટરો વિરોધ કરી રહ્યાં છે.