પંચમહાલમાં મોટી સંખ્યામાં તબીબો એકમંચ પર જોવા મળ્યા અને તેઓએ ભાજપને ખુલ્લુ સમર્થન આપ્યું. એટલું જ નહીં ભાજપ તરફી મતદાન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી પ્રધાનમંત્રી બનાવવાની પણ વાત કરી.
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ સમીકરણો પણ સામે આવી રહ્યા છે. જેમાં પંચમહાલમાં મોટી સંખ્યામાં તબીબો એકમંચ પર જોવા મળ્યા અને તેઓએ ભાજપને ખુલ્લુ સમર્થન આપ્યું. એટલું જ નહીં ભાજપ તરફી મતદાન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી પ્રધાનમંત્રી બનાવવાની પણ વાત કરી.
પંચમહાલ, ખેડા અને મહીસાગરના ચારસોથી પણ વધુ તબીબો ગોધરા ખાતે એકત્ર થયા હતા. મોટી સંખ્યામાં એકત્ર થયેલા તબીબોએ જાહેરાત કરી કે, પોતે ભાજપને મત આપશે અને પોતાના દર્દીઓને પણ મત આપવા માટે જણાવશે. તબીબોએ જરૂર પડે ચૂંટણી પ્રચાર કરવાની પણ તૈયારીઓ દર્શાવી હતી. આમ તબીબોનું સમર્થન મળતા ભાજપ માટે પણ મહદ અંશે માર્ગ મોકળો બન્યો છે.
પંચમહાલ લોકસભા સીટ પર ભાજપના રતનસિંહ રાઠોડ અને કોંગેસના વી.કે.ખાંટ વચ્ચે સીધી ટક્કર છે. તબીબોએ એક કાર્યક્રમ યોજીને ભાજપના સંગઠનના હોદ્દેદારો તેમજ ધારાસભ્યની હાજરીમાં પોતે ભાજપને જીતાડવા માટે કામે લાગશે એવી બાંહેધરી પણ આપી. તબીબોનું કહેવું છે કે, ભાજપની રાષ્ટ્રવાદની નીતિ, ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાન, વિકાસ, તબીબી ક્ષેત્રે હરણફાળ જેવા મુદ્દાઓથી આકર્ષાઈને ભાજપને સમર્થન આપ્યું છે.