તબીબી વિજ્ઞાનમાં હજુ સુધી એવી કોઈ વ્યવસ્થા કે પદ્ધતિ નથી કે જેની મદદથી દર્દી કૉમામાંથી ક્યારે બહાર આવશે તે કહી શકાય. ગણેશ શંકર વિદ્યાર્થી મેમોરિયલ (જીએસવીએમ) મેડિકલ કૉલેજના ન્યુરો સર્જરી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રાઘવેન્દ્ર ગુપ્તાએ સંશોધન દ્વારા તેનું અનુમાન લગાવવામાં 60% સફળતા મેળવી છે.
તબીબી વિજ્ઞાન ક્ષેત્રે મોટી સફળતા
દર્દી કૉમામાંથી ક્યારે બહાર આવશે તેનું લગાવી શકાય અનુમાન
ડૉ. રાઘવેન્દ્ર ગુપ્તાએ કર્યું મોટું સંશોધન
મોટાભાગે માર્ગ અકસ્માત અથવા અન્ય કારણોસર માથામાં ગંભીર ઈજા થવાને કારણે દર્દીઓ કૉમામાં ચાલ્યા જાય છે. ક્યારેક સીટી સ્કેન રિપોર્ટમાં પણ ઈજાની ગંભીરતા જાણી શકાતી નથી. આવી સ્થિતિમાં ડૉ. રાઘવેન્દ્ર ગુપ્તાએ ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ, દિલ્હી) અને ગ્વાલિયર મેડિકલ કૉલેજ (જીએમસી)ના નિષ્ણાતો સાથે બે વર્ષ સુધી કૉમામાં ગયેલા 200 દર્દીઓનો ઊંડો અભ્યાસ કર્યો હતો.
દર્દી કૉમામાંથી ક્યારે બહાર આવશે તેનું લગાવી શકાય અનુમાન
જેમાં એમઆરઆઈ કરીને ગ્રેડિંગ નક્કી કરવામાં આવ્યા અને દર્દી કૉમામાંથી ક્યારે બહાર આવશે તેનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. 60 ટકા કેસોમાં તેમનું અનુમાન બિલકુલ સાચા સાબિત થયા છે. ડૉ. રાઘવેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે, પહેલાં તમામ દર્દીઓની સીટી સ્કેન તપાસ કરવામાં આવી હતી. તેમાં બધું સામાન્ય હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ જ્યારે એમઆરઆઈ તપાસ કરવામાં આવી ત્યારે સામે આવ્યું હતું કે, 40 ટકા દર્દીઓના મગજમાં ગંભીર ઈજા થઈ હતી.
વિવિધ દર્દીઓ પર હાથ ધરવામાં આવ્યું સંશોધન
બીજી તરફ, 60 ટકા દર્દીઓના આંતરિક ભાગોમાં ઇજાઓ થયેલી જોવા મળી હતી. ઘણા દર્દીઓના તો સૉફ્ટ ટિશ્યુ પણ પ્રભાવિત થયા હતા, નાના ભાગોમાં લોહી ગંઠાઈને જામી ગયું હતું.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓને ગ્રેડ-1 કેટેગરીમાં મૂકવામાં આવ્યા હતા. ગ્રેડ-2માં મગજના કૉરપસ કેલોશમમાં લોહી ગંઠાયેલા અને ઈજાઓ પામેલા દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગ્રેડ-3 કેટેગરીમાં નાજુક દર્દીઓને રાખવામાં આવ્યા હતા, જેમના બ્રેન સ્ટેમમાં ઈજાઓ હતી.
નિષ્ણાતોએ કર્યો દાવો
નિષ્ણાતોએ એવો દાવો કર્યો હતો કે, ગ્રેડ-1ના દર્દીઓ એક મહિનામાં કૉમામાંથી બહાર આવશે, જ્યારે ગ્રેડ-2ના દર્દીઓ ત્રણ મહિનામાં અને ગ્રેડ-3ના દર્દીઓ છ મહિનામાં કૉમામાંથી બહાર આવી જશે. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, ગ્રેડ-2ના દર્દીઓમાં છ મહિના સુધી યાદશક્તિ (મેમરી) સંબંધિત અને ગ્રેડ-3ના દર્દીઓમાં એક વર્ષ સુધી ચાલવાની-ફરવાની સમસ્યા રહેશે.
બે વર્ષના અભ્યાસ દરમિયાન, દર્દીઓને મગજમાં થયેલી ઈજાઓ અનુસાર વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. એ પ્રમાણે જ દર્દીઓનો કૉમામાંથી બહાર આવવાનો સમય પણ નક્કી કરવામાં આવ્યો હતો. 60 ટકા દર્દીઓ પર તેમનું અનુમાન સચોટ સાબિત થયું હતું.