કોરોના વાયરસ જેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે તેટલી જ ઝડપથી કોરોના વાયરસ મુદ્દે ભ્રમણાઓ પણ દેશમાં ફેલાઈ રહી છે. એવામાં મહારાષ્ટ્રનાં એક ડોકટરનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો જેમાં તે દાવો કરતા દેખાય છે કે ગરમીનાં કારણે ઉનાળામાં કોરોના વાયરસનો અંત આવી જશે જેની મહારાષ્ટ્ર સરકારે નોંધ લીધી છે અને ડોકટરને નોટીસ ફટકારી આ દાવા મુદ્દે સ્પષ્ટીકરણ માંગ્યું છે.
કોરોના વાયરસનાં સંક્રમણ પર ખોટી-ખોટી સૂચનાઓ ફેલાવતા લોકો પર મહારાષ્ટ્ર મેડીકલ કાઉન્સિલે કાર્યવાહી શરુ કરી છે. મુંબઈમાં જે ડોકટરે દાવો કર્યો હતો કે ઉનાળામાં કોરોના વાયરસ ખતમ થઇ જશે જે બાદ એમએમસી આ ડોકટરને નોટીસ ફટકારી છે. નોટીસથી આ ડોકટર પાસે તેમના આ દાવા પર સ્પષ્ટિકરણ માંગવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રનાં ડોકટરે એક ઇન્ટરવ્યુમાં દાવાઓ કર્યા હતા કે ગરમીનાં કારણે કોરોના વાયરસ ખતમ થઇ જશે. દેશમાં આ ભ્રમણાઓ ફેલાવવામાં આવી રહી છે જે બાદ MMCનાં અધ્યક્ષ ડૉ. શિવકુમાર ઉટેકરે મંગળવારે ડૉ. અનીલ પાટીલને નોટીસ પાઠવી અને પૂછ્યું કે તેમની પાસે આ દાવા માટે કોઈ અધ્યયન કે ડેટાબેસ છે કે નહીં.
અધ્યક્ષ ડૉ. શિવકુમારે કહ્યું કે 'કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિરુદ્ધ જઈને કોરોના વાયરસના પ્રકોપ પર બોલવું યોગ્ય નથી. કોરોના વાયરસની ગંભીરતાને જોતા આ દાવાની સ્પષ્ટતા કરવી ખૂબ જરૂરી હતી.' નોંધનીય છે કે ડૉ. પાટીલે કહ્યું હતું કે કોરોના વાયરસથી ડરવાની જરૂર નથી કારણ કે ઉનાળામાં કોરોના વાયરસ નહીં બચે.'
આટલું જ નહીં ડૉ. પાટીલે એવો દાવો પણ કર્યો હતો કે આ માત્ર ચીનની એક ચાલ છે જેથી માસ્ક બનાવતી કંપનીઓને લાભ પહોંચી શકે. સાથે જ આ વાયરસની દેશમાં કોઈ અસર નહીં થાય તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો. આ ડૉકટરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મહારાષ્ટ્ર સરકારે તેની નોંધ લીધી છે અને ડોક્ટરને તેમનો દાવો સાબિત કરવા કહેવામાં આવ્યું છે.