વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળની એનડીએ સરકારે શનિવારે રજૂ કરેલ પોતાની બીજી ટર્મના બીજા બજેટમાં જાહેરાત કરી છે કે જો કોઇ બેન્ક ડૂબી જશે કે નાદારી નોંધાવશે તો બેન્કનાં ખાતાધારકોના એકાઉન્ટ્સ માટે બેન્ક એકાઉન્ટ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ પેટે રૂ. 5 લાખ સુધીની રકમ આપવામાં આવશે. આમ, બેન્ક ડૂબે તો પણ ખાતાધારકોને રૂ.5 લાખ સુધીની રકમ પરત મળી જશે.
PM નરેન્દ્ર મોદીની એનડીએ સરકારે પોતાની બીજી ટર્મના બીજા બજેટમાં મોટી જાહેરાત કરી
બેન્ક ડૂબવા કે નાદારી નોંધાવે તો બેન્કનાં ખાતાધારકોને ડિપોઝિટ ઇન્સ્યોરન્સ પેટે રૂ. 5 લાખની રકમ અપાશે
તમામ ખાતામાં જમા રકમ-વ્યાજ જોડાશે, માત્ર રૂ. 5 લાખ સુધીની જ રકમને સુરક્ષિત મનાશે
નાણા પ્રધાન દ્વારા બજેટ ભાષણમાં આ જાહેરાત બાદ હવે લોકો એ જાણવા માગે છે કે ધારો કે કોઇ ખાતાધારક એક કરતાં વધુ બેન્કમાં અથવા એક કરતાં વધુ શાખામાં ખાતાં ધરાવતા હોય અને બેન્ક ડૂબે તેવા કિસ્સામાં તેમને ખાતાવાર ગણતરી કરીને કેટલી રકમ મળી શકે એટલે કે એક જ બેન્કની એકથી વધુ શાખામાં ખાતાં હોય તો શું બેન્ક ડૂબવાના કિસ્સામાં ખાતા ધારકને રૂ.5 લાખ કરતાં વધુ રકમ મળી શકે?
આ અંગે ડીઆઇસીજીસી એક્ટ 1961ની કલમ 16(1)ની જોગવાઇ હેઠળ જો કોઇ બેન્ક ડૂબી જાય કે નાદાર બને તો ડીઆઇસીજીસી પ્રત્યેક ખાતાધારકને પેમેન્ટ કરવા જવાબદાર હોય છે, પરંતુ એક જ બેન્કની એકથી વધુ શાખામાં ખાતાં હોય તો તમામ ખાતામાં જમા રકમ અને વ્યાજ જોડવામાં આવશે અને માત્ર રૂ. 5 લાખ સુધીની જ રકમને સુરક્ષિત માનવામાં આવશે.
આમ, એક કરતાં વધુ શાખામાં બેન્ક ખાતાં ધરાવતા ખાતેદારની જમા રકમ તમામ ખાતાંને જોડીને રૂ. 5 લાખ કરતાં વધુ થતી હોય તો પણ ખાતાધારકને માત્ર 5 લાખ રૂપિયા જ આપવામાં આવશે અને રૂ. 5 લાખ સુધીની જ રકમ સુરક્ષિત માનવામાં આવશે.
દરમિયાન 2018-19માં સરકારી બેન્કો સહિત તમામ કોમર્શિયલ બેન્કોએ ડીઆઇસીજીસી પાસે રૂ. 11,190 કરોડ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ તરીકે જમા કરાવ્યા છે, પરંતુ સહકારી બેન્કોએ માત્ર
રૂ. 850 કરોડ જ જમા કરાવ્યા છે.