રૂપિયાના જોરે અને રાજકીય પ્રભાવના બળે એન્જીનિશરગ કોલેજોની હારમાળા ખડકી દીધી. અને ફી ઊઘરાવવામાં એટલા તો વ્યસ્ત થઈ ગયા કે એન્જીનીયરીંગના પાઠ ભણાવવાનું જ ભૂલી ગયા. નિષ્ણાતો અને પ્રેક્ટીકલ ટ્રેનિંગના અભાવે વિદ્યાર્થીઓ મહાકાય કંપનીઓની ખરી કસોટીમાં પાર ઉતરી ન શક્યા અને બજારમાં એન્જીનીયરીંગના નામે બેકારોની ફૌજ ઊભી થઈ ગઈ. પ્રભાવના જોરે કોલેજોએ બેઠકો તો વધારી દીધી પરંતુ કોલેજો બેઠકો પર બેસનારાઓનો વિશ્વાસ ખોઈ બેઠી. રાજ્યમાં આજે અડધુ યુવાધન એન્જીનીયરીંગ કરવા તૈયાર નથી.
એક સમય હતો કે જયારે ધોરણ 12 બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એન્જીનીયરીંગ શાખામાં પ્રવેશ મેળવવા માટે પડાપડી થતી હતી. અને માર્કેટમાં એન્જીનીયરોની માંગ રહેતી હતી. જો કે હવે સમય બદલાયો છે. હવે એન્જીનીયરીંગ કરવા માટે વિદ્યાર્થીઓ તૈયાર નથી. ગુજરાતમાં હાલ કુલ 140 એન્જીનીયરીંગ કોલેજો આવેલી છે જેમાં વિવિધ બ્રાંચમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોની 55 હજાર સીટો માટે યોજાયેલ પ્રવેશ પ્રક્રીયામાં બીજા રાઉન્ડનાં અંતે 28 હજાર સીટો ખાલી રહેતાં કોલેજો બંધ થવાને આરે પહોંચી છે.
કોલેજોમાં તજ્ઞ અધ્યાપકોની અછત અને અસુવિધાઓને કારણે વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોમાં એડમિશન લેતાં ખચકાઇ રહ્યાં છે જેને લઇને રાજ્યની ચાર કોલેજોને એક પણ વિદ્યાર્થી મળ્યો નથી. પંચમહાલની ઓમ ઈન્સ્ટીટયૂટ ઓફ ટેક્નોલોજી બોટાદની જે.એમ.સાબવા ઈન્સ્ટીટયૂટ વઢવાણની પંડિત નાથુલાલ વ્યાસ ટેકનિકલ કેમ્પસ અને અમરેલીની અરુણ મુન્છાલાલ એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન લેવા એકપણ વિદ્યાર્થીએ રસ દાખવ્યો નથી. તો આ તરફ 50 ટકા કરતા ઓછી બેઠકો ભરાઈ હોય તેવી કોલેજોની સંખ્યા પણ ઘણી મોટી છે. 1% થી ઓછી બેઠકો ભરાઈ હોઈ તેવી 23 કોલેજો છે. 10 થી 20 % બેઠકો ભરાઈ હોય તેવી 14 કોલેજો છે. તો 20 થી 50 % બેઠકો ભરાઈ હોય તેવી કોલેજોની સંખ્યા 29 છે.
20 ટકા થી પણ ઓછી બેઠકો ભરાઈ હોય તેવી રાજ્યની અંદાજિત 50 એન્જીનીયરીગ કોલેજો છે એના પર થી જ સ્પષ્ટ થાય છે કે હાલમાં એન્જીનીયરીંગ કોલેજોની સ્થિતિ શું છે. કોલેજો પાસે બેઠકો ઉપલબ્ધ છે. પરંતુ ગુણવત્તા સભર શિક્ષણ પીરસનારા તજજ્ઞોનો અભાવ છે. એટલું નહીં આજે જાણે ભૌતિક પ્રોડક્ટનું ઉત્પાદન કરતાં કારખાનાની જેમ ઠેર ઠેર ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના રાફડા ફાટયા છે. વિદ્યાર્થીઓની સંખ્યાની સરખામણીમાં એન્જીનીયરીંગ કોલેજોની સંખ્યા વધી ગઈ છે. ગત એકાદ બે વર્ષના સમયગાળા પર નજર ફેરવશો તો ખ્યાલ આવશે કે દરવર્ષે રાજ્યમાં કેટલી ખાનગી કોલેજો ઊભી થઈ રહી હતી.
તગડી ફીની લાલચે અને પૈસાના પ્રભાવના જોરે કોલેજો તો ઊભી કરી નાખી પરંતુ તજજ્ઞ શિક્ષકો અને એન્જીનીયરીંગ કોલેજોને છાજે તેવી વર્લ્ડક્લાસ સુવિધાઓ ઊભી કરવામાં ન આવી. જેના કારણે એન્જીનીયરીંગના અભ્યાસ બાદ પણ વિદ્યાર્થીઓ મોટી કંપનીઓને સંતોષ આપી શકે તેવી સ્કીલ વિકસાવી ના શક્યા. અને નવા-નવા એન્જીનીયરીંગને પ્લેસમેન્ટ મળવાનો દર ઘટી ગયો જેના લીઘે બેકારોની એક ફૌજ ઊભી થઈ.
વળી એન્જીનીયરીંગ કરવા માગતા વિદ્યાર્થીઓને એવું પણ લાગી રહ્યું હતું કે પ્રવેશ મેળવ્યા બાદ અપૂરતા વિદ્યાર્થીઓના કારણે અડધા શૈક્ષણિક સત્રથી કોલેજની માન્યતા રદ થઈ જશે તો! આ પ્રકારના ભયના કારણે પણ ઘણા વિદ્યાર્થીઓએ એન્જીનીયરીંગ શાખામાં પ્રવેશ લેવાનું ટાળ્યું. કોલેજોમાં બૌદ્ધિક સ્ટાફની અછત સુવિધાનો અભાવ અને પ્લેસમેન્ટમાં નોંધાયેલો ઘટાડો જેવા અનેક કારણોને લીધે વિદ્યાર્થીઓએ આ વર્ષે એન્જીનીયરીંગ શાખામાં પ્રવેશ લેવામાં નીરસતા દાખવી છે.
આ સિવાય ધોરણ 12માં વિદ્યાર્થીઓનો ઝુકાવ હવે A- ગ્રુપ કરતાં B- ગ્રુપ તરફ વધી રહ્યો છે. જેના કારણે પણ એન્જીનીયરીંગ કોલેજોને વિદ્યાર્થીઓ મળી રહ્યા નથી. જેના કારણે એન્જીનીયરીંગ કોલેજો બંધ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.