ભારત સરકારે રાષ્ટ્રધ્વજને લઈને ઘણાં નિયમો બનાવ્યા છે જેનું ઉલ્લંઘન કરવાથી તમને સજા પણ મળી શકે છે.
નેશનલ ફ્લેગ ડે 2022માં 20 જુલાઈ એ સુધારો કરવામાં આવ્યો હતો
રાષ્ટ્રધ્વજનું ભૂલથી પણ અપમાન ન કરવું
અમદાવાદમાં રાષ્ટ્ર ધ્વજનું સન્માન જાળવવા AMC દ્વારા સરાહનીય નિર્ણય કરવામાં આવ્યો
ગઇકાલે એટલે કે 15 ઓગસ્ટ 2022ના રોજ ભારત દેશના લોકોએ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાએ એ મોકાને ઉત્સવ તરીકે ઉજવ્યો હતો. દરેક લોકોએ આઝાદી કા અમૃત મહોત્સવનાં અભિયાન હર ઘર તિરંગામાં ભાગ લીધો હતો અને દેશના દરેક ખૂણે તિરંગો ફરકાવ્યો હતો. આ અભિયાન 13-15 ઓગસ્ટ સુધી ચાલ્યું હતું. પણ આજે 16 ઓગસ્ટ છે અને દેશમાં ઘણી જગ્યાએ તિરંગો રસ્તા પર આમતેમ પડ્યો નજર આવી રહ્યો છે એવામાં અમે તમને જણાવી દઈએ કે જો તમે પણ આ ભૂલ કરો છો તો ચેતી જાઓ. ભારત સરકારે રાષ્ટ્ર ધ્વજને લઈને ઘણાં નિયમો બનાવ્યા છે જેનું ઉલ્લંઘન કરવાથી તમને સજા પણ મળી શકે છે.
ક્યારે અને ક્યાં ફરકાવી શકાય તિરંગો
તિરંગો ફરકાવવાનાં નિયમો પહેલેથી જ નક્કી છે. ભારતીય ધ્વજ સંહિતા 2022 એટલે કે નેશનલ ફ્લેગ ડે 2022માં 20 જુલાઈ એ સુધારો કરવામાં આવ્યો હતો કે તિરંગા એટલે કે દેશના રાષ્ટ્રધ્વજને કોઈ પણ નાગરિક તેના ઘરે દિવસ રાત કોઈ પણ સમયે ફરકાવી શકાય છે. પહેલાં સૂર્યોદયથી લઈને સુર્યાસ્ત સુધી જ તિરંગો ફરકાવવાની અનુમતિ હતી.
ભૂલથી પણ ન કરતા અપમાન
કાગળનાં ત્રિરંગાને લોકો ફેંકી દે છે અને તેને કારણે તે કોઈના પગ નીચે ભૂલથી કચડાઈ જાય છે અથવા તો લોકો તેને કચરામાં ફેંકી દે છે. એમ ન કરવું જોઈએ. તેને રાષ્ટ્ર ધ્વજનું અપમાન કર્યું કહેવાય છે.
આ વાતોનું રાખો ધ્યાન
ત્રિરંગાનો ઉપયોગ કર્યા પછી તેને માર્યાદિત સમય સુધી એકાંતમાં રાખો
ફ્લેગ કોડ અનુસાર દેશના કોઈ પણ પ્રકારનાં તિરંગાને જમીન કે પાણીનાં સંપર્કમાં ન આવવા દેવો જોઈએ
જો ક્યારેય ત્રિરંગો કોઈ કારણોસર ખરાબ થઇ જાય તો તેને એકાંતમાં બાળીને નષ્ટ કરવો જોઈએ.
સજા પણ મળી શકે છે
ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા 2022માં તિરંગાને લઈને ઘણાં નિયમો બનાવવામાં આવ્યા છે અને તેનું ઉલંઘન કરનારા લોકોને મળનારી સજા વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્રિરંગાના અપમાન સંબંધિત કાર્યવાહી રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ, 1971 એક્ટ હેઠળ કરવામાં આવે છે.
દંડથી લઈને જેલ સુધી
રાષ્ટ્રધ્વજનું ભૂલથી પણ અપમાન ન કરવું જોઈએ. જો તમે આવું કરો છો તો તમે દંડથી લઈને જેલ સુધીની સજાનાં પાત્ર બનો છો. જો કોઈ વ્યક્તિ જાહેરમાં રાષ્ટ્રધ્વજને બાળે છે કે દુષિત કરે છે તો તેને ત્રણ વર્ષની જેલ થઇ શકે છે.
અમદાવાદ મહાનગરપાલિકાનું સરાહનીય પગલું
હર ઘર તિરંગા અભિયાનને વધાવી લઇ મોટા ભાગના લોકોએ પોતાના ઘર પર તિરંગો ફરકાવ્યો હતો. તેવામાં હવે જ્યારે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્ણ થઇ છે ત્યારે અમદાવાદમાં રાષ્ટ્ર ધ્વજનું સન્માન જાળવવા માટે AMC દ્વારા સરાહનીય નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં લોકો AMCને રાષ્ટ્રધ્વજ પરત કરી શકશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જણાવાયા અનુસાર કોઈને રાષ્ટ્રધ્વજ પરત કરવો હોય તો AMC સન્માન સાથે રાષ્ટ્ર ધ્વજ પરત લશે. આ ઉપરાંત કોઈ પણ શહેરીજનો ઘરે રાખવા માગે તો તેને સાચવી અને રાષ્ટ્રધ્વજની ગરિમાં જળવાઈ તે રીતે રાખવો પડશે તેમ સૂચના આપવામાં આવી છે. રાષ્ટ્રધ્વજ પરત કરવા માંગતા લોકોએ નજીકના સીવિક સેન્ટર, વોર્ડ ઓફિસનો સંપર્ક કરીને રાષ્ટ્રધ્વજ પરત કરી શકશે. ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયાના નિયમનો ભંગ ન થાય તે માટે નિર્ણય કરાયો છે. નોંધનીય છે કે, દર વર્ષે રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજનું સન્માન ન જળવાતું હોવાના કિસ્સાઑ સામે આવતા હોવાથી તમામ શહેરોમાં આ નિર્ણય લેવામાં આવે તે આવકારદાયક બાબત છે.