વેક્સિન લીધા બાદ કોરોના નહીં થાય તેવું માની ઘણા લોકો રહે છે વહેમમાં
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આપ્યો છે બંગાળનો રિપોર્ટ
બંગાળમાં વધી રહ્યા છે કોરોનાનાં સાઇલેન્ટ સ્પ્રેડર
તજજ્ઞોએ પણ આપી છે તકેદારી રાખવાની સલાહ
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આપ્યો છે બંગાળનો રિપોર્ટ
જો તમે વેક્સિન લઈ લીધી હોય અને તમે વિચારતા હોવ કે તમે એકદમ સુરક્ષિત થઈ ગયા છો તેથી હવે કોઈ નિયમોનું પાલન નહીં કરીએ તો ચાલશે, તો તમે સાવ ખોટું વિચારી રહ્યા છો. આવું વિચારીને જ લોકો પોતાના જીવનું જોખમ વધારી રહ્યા છે. અને આવું વિચારવા વાળા લોકો બીજાને પણ બીમાર કરી શકે છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળમાં રસીનો પહેલો ડોઝ વાળા લોકો કોરોનાનાં સાઇલેન્ટ સ્પ્રેડર બની રહ્યા છે. આ રિપોર્ટ પર ડોકટરોએ અને વૈજ્ઞાનિકોએ પણ ચિંતા વ્યકત કરી હતી.
બંગાળમાં વધી રહ્યા છે કોરોનાનાં સાઇલેન્ટ સ્પ્રેડર
સાઇલેન્ટ સ્પ્રેડર એ લોકો છે જે પોતે તો સંક્રમિત છે પણ બીજાને પણ સંક્રમણ ફેલાવે છે. આ લોકોમાં બીમારીનાં કોઈ પણ લક્ષણ દેખાતા નથી તેથી તેઓ નથી જાણતા કે તે પોતે કોરોના સ્પ્રેડર છે. આવા લોકો બીજાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. બંગાળમાં આવા ઘણા બધા કેસો સામે આવ્યા છે. આ કેસોમાં રસી લીધા બાદ તેઓ બીમાર પડ્યા અને રિપોર્ટ કરાવતા તેઓ પોઝિટિવ પણ આવ્યા. તેમના શરીરમાં એન્ટિબોડી હોવાથી તે લોકો તો બચી જાય છે પણ જેમણે રસી નથી લીધી તે માટે તેઓ યમરાજ સાબિત થાય છે. ડોકટરોને ચિંતા આ વાત ની જે કે જેમણે રસી નથી લીધી તેવા લોકોના સંપર્ક માં આવવાનું તેઓ ટાળે.
ઇઝરાયલના એક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે વેક્સિન લીધા બાદ પણ લોકો કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત થઈ રહ્યા છે. તેના પાછળનું મુખ્ય કારણ એ જ છે કે વેક્સિન લીધેલ વ્યક્તિ માસ્ક પહેરવાનું અને કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવાનું બંધ કરી દે છે. અને એવું પણ બની શકે છે તેઓ વેક્સિન લેવા ગયા હોય ત્યાં કોઈ સંક્રમિત વ્યક્તિનાં સંપર્કમાં આવ્યા હોય અને પોતે પણ સંક્રમિત થઈ ગયા હોય ! રિપોર્ટ મુજબ અત્યારે હોસ્પિટલમાં સૌથી વધુ દર્દી એવા છે કે જેમણે વેક્સિન લીધી જ નથી. ડોક્ટર્સ પણ કહે છે આ દર્દીઓ સંક્રમિત પોતાના જ ઘરનાં બીજા સભ્યો દ્વારા થયા છે જેમણે વેક્સિન લીધા બાદ બેદરકારી રાખવાનું શરૂ કર્યું છે.
તજજ્ઞોએ પણ આપી છે તકેદારી રાખવાની સલાહ
તજજ્ઞોનું કહેવું છે કે રસીનો પહેલો ડોઝ લીધા બાદ 6-8 અઠવાડિયા પછી એન્ટિબોડી બને છે. આ દરમ્યાન જો કોઈને કોરોના થઈ જાય છે તો તે લોકોમાં લક્ષણો સાવ ઓછા દેખાય છે. તેમને પોતાને ખબર નથી હોતી કે તેઓ સંક્રમિત છે કે નહીં. પણ તેઓ કોરોના કેરિયર બની જાય છે. સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિનમાં ક્લિનિકલ ટ્રાયલના સ્પેશિયાલિસ્ટ શાંતનુ ત્રિપાઠી કહે છે કે "વેક્સિનનો અર્થ એ નથી કે સંક્રમણ અટકી જશે, પણ વેક્સિન લીધા બાદ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે. એટલે વેક્સિન લીધેલ વ્યક્તિ સુરક્ષિત થઈ જાય છે પણ જેણે વેક્સિન નથી લીધી તે અસુરક્ષિત રહે છે. તેથી વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી છે. કારણકે એક ડોઝ લીધા પછી જો બીજો ડોઝ લેવામાં ન્ આવે તો એન્ટિબોડી ઘટે છે. બંને ડોઝ લીધા પછી પણ કોરોનાનાં બધા જ નિયમોનું પાલન કરવું જરૂરી છે.