રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જ્યારે લોકોને હજુ પણ વધારે ગરમીમાં શેકાવુ પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ સુધી ગરમીનો પારો વધી જશે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, કચ્છ અને અમરેલીમા હિટવેવની આગાહી કરાઈ છે.
રાજ્યમાં દિવસે દિવસે ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. આગામી 3 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. 26થી 28 એપ્રિલ સુધી અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, કચ્છ અને અમરેલીમા હિટવેવની આગાહી કરાઈ છે. આગાહીને લઈને અમદાવાદમાં તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સાથે જ કામ વગર ઘરથી બહાર ન નિકળવા માટે લોકોને સૂચના પણ આપવામાં આવી છે.
તમને જણાવીએ કે, અમદાવાદમાં તાપમાન 43.5 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. મંગળવારે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર હતું. તો રાજકોટમાં પણ તાપમાન 42.5 ડિગ્રીએ પહોચી રહ્યું છે. તો આ તરફ વડોદરામાં પણ 42 ડિગ્રી સુધી ગરમીનો પારો ચડી રહ્યો છે. ગરમીનું પ્રમાણ વધતાં લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો શહેરોમાં માર્ગો સૂમસામ દેખાઈ રહ્યા છે. જ્યારે ઠંડીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાની પણ મદદ લઈ રહ્યા છે
ઉલ્લેખનીય છે કે બપોરના સમયે અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. જ્યારે ખાસ કરીને બિલ્ડીંગની કન્સ્ટ્રક્શન લાઈનમાં કામ કરતા શ્રમિકોને બપોરના સમયે કામ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે જ ગરમીને પગલે પાણી અને અન્ય સુવિધાઓ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવતું હોવાનું જણાવ્યું છે.
મહત્વનું છે કે અમદાવાદમાં સામાન્ય રીતે ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચતો હોય છે, જેને રેડ એલર્ટમાં ગણવામાં આવે છે. 43 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચતા જ લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ પડી જાય છે. ત્યારે લોકો પણ ગરમીથી બચવા માટે ઠંડા પીણા અને જ્યુસ,ગોળાનો સહારો લઈ રહ્યા છે.