કારતક માસના શુક્લ પક્ષની એકાદશીને દેવઉઠી એકાદશી પણ કહેવામાં આવે છે. આ વર્ષે દેવઉઠી એકાદશી 8 નવેમ્બરના રોજ છે. દેવઉઠી એકાદશીને હરિપ્રબોધિની એકાદશી અને દેવોત્થાન એકાદશી પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અષાઢ માસની એકાદશીથી ચાર માસ માટે ગાઢ નિંદ્રામાં પોઢી જાય છે અને કારતક માસમાં જાગે છે. એટલા માટે આ દિવસને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે.
આવતીકાલે ઉજવાશે દેવઉઠી અગિયારશ
ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા કરો આ કામ
થશે દરેક પ્રકારના માંગલિક કાર્યોની શરૂઆત
દેવઉઠી એકાદશીના દિવસે હિંદુ પરંપરા મુજબ ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામના લગ્ન તુલસીજી સાથે કરવામાં આવે છે. દેવઉઠી એકાદશી બાદ દેવોત્થાન થાય છે અને ત્યારબાદ માંગલિક કાર્યો શરૂ થાય છે. આ દિવસે લોકો ઉપવાસ પણ રાખે છે. કહેવાય છે કે આ દિવસે ઉપવાસ કરનારને મોક્ષ પ્રાપ્ત થાય છે.
આ રીતે કરો વ્રત
- નિર્જળા અથવા પ્રવાહી ગ્રહણ કરી ઉપવાસ કરવો.
- વૃદ્ધ, રોગી , બાળકોએ એક સમય જમી અને વ્રત કરવું.
- ભગવાન વિષ્ણુ કે ઈષ્ટદેવની ઉપાસના કરવી.
- ડુંગળી, લસણ, વાસી ભોજન ગ્રહણ કરવું નહીં.
- આ દિવસ ॐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો જાપ કરવો.
- જેમનો ચંદ્ર નબળો હોય અને માનસિક સમસ્યા હોય તેમણે ફળાહાર કરી અથવા નિર્જળ ઉપવાસ કરી વ્રત કરવું.
- શેરડીનો મંડપ બનાવો અને તેની વચ્ચે ચોક બનાવી તેમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર રાખવું અને ભગવાનના ચરણ ચિન્હ બનાવવા.
- ભગવાનને શેરડી, સિંઘાડા તેમજ ફળ, મીઠાઈ સમર્પિત કરવા.
- ઘીનો દીવો કરવો અને ધ્યાન રાખવું કે તે રાત્રે પણ ચાલતો રહે.
- સવારે ભગવાન વિષ્ણુના ચરણની પૂજા કરવી અને તેમને જાગૃત કરવા.
- ભગવાનને જાગૃત કરવા માટે શંખ, ઘંટ અને કીર્તનની ધ્વનિ કરવી. ત્યારબાદ એકાદશીની કથા કરવી.
ભૂલથી પણ ન કરશો આ કામ
- આ દિવસે ભાત ન ખાવા જોઈએ. તેના સેવનથી મન ચંચળ રહે છે. તેના કારણે પ્રભુભક્તિમાં મન લાગતું નથી.
- આ દિવસે સવારે દાતણ ન કરવું કારણ કે આ દિવસે ઝાડના ફૂલ કે પાન તોડવા વર્જિત ગણાય છે.
- ઉપવાસ કરો કે ન કરો પરંતુ બ્રહ્મચર્યનું પાલન જરૂરી છે. આ દિવસે સંયમ રાખવો જરૂરી છે.
- આ દિવસે પથારી પર સૂવું નહીં. જમીન પર જ સૂઓ.
- એકાદશી અને બારશના દિવસે તુલસીના પાન તોડવા નહીં.
- આ દિવસે ખોટું બોલવું નહીં અને કોઈ નકારાત્મક વિચાર સાથે પૂજા કરવી નહીં. આ દિવસે ક્રોધ કરવાથી પણ દૂર રહેવું.
- અનાજ, દાળ અને કઠોળનો ઉપયોગ ટાળવો. જો તમે પાણી પીને ઉપવાસ કરો તો ઉત્તમ માનવામાં આવે છે. ફળ, દૂધનો ઉપયોગ કરી શકાય છે.