મહાસરસ્વતી ત્રિદેવીમાંનાં એક ગણાય છે. મા મહાલક્ષ્મી, મા મહાસરસ્વતી તથા મા મહાકાળી આ ત્રણ દેવી ત્રિદેવી તરીકે સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છે. ખ્યાત છે. કહેવાય છે કે મા સરસ્વતીનો જ્યાં વાસ હોય ત્યાં લક્ષ્મીજી ટકતાં નથી. છતાં કોઇક કોઇક જગ્યાએ સરસ્વતીજી તથા લક્ષ્મીજીનો અદ્ભુત સમન્વય હોય છે. આ વસ્તુ દર્શાવે છે કે જે તે વ્યક્તિએ પૂર્વ જન્મમાં કોઇ સુકર્મ સહિત પુણ્ય કર્યાં હોય ત્યાં આવી સુખદ પરિસ્થિતિ સર્જાય છે.
વસંત પંચમીએ કરો મહાસરસ્વતીની પૂજા
આ છે મા સરસ્વતી શબ્દનો અર્થ
પુરાણોમાં વિષ્ણુ પત્ની તરીકે આલેખાયા છે
મા મહાસરસ્વતી એ વિદ્યા તથા જ્ઞાનનાં અધિષ્ઠાત્રાં દેવી છે. તેમનું પૂજન અર્ચન કરનાર મનુષ્યજગતમાં વિદ્યાવાન બને છે. મા મહાસરસ્વતીનો કેટલાંક પુરાણમાં બ્રહ્મદેવનાં પુત્રી તરીકે પણ ઉલ્લેખ જોવા મળે છે. કેટલાંક પુરાણ તેમને બ્રહ્મદેવનાં પત્ની તરીકે લેખે છે. ખરેખર તો મા મહાસરસ્વતી રહસ્યમય તથા સર્વપૂજ્ય છે. વસંત પંચમી અર્થાત્ મહા સુદ પાંચમે તેમનું પૂજન અર્ચન કરવાથી આપણી તમામ જડતા નાશ પામે છે. આપણી દુર્બુદ્ધિનો પણ નાશ થતાં આપણને સદ્બુદ્ધિ પ્રાપ્ત થાય છે. મહાકવિ કાલિદાસ મા મહાસરસ્વતીની અપાર કૃપા પામીને ધન્ય થઇ ગયા. મૂર્ખ કાલિદાસમાંથી મહાકવિ બની રાજા ભોજના દરબારમાં ખૂબ પ્રસ્તુત તથા મોભાનું સ્થાન પામ્યા.
વસંત પંચમીએ કરો મહાસરસ્વતીની પૂજા
વસંત પંચમીના દિવસને આપણાં શાસ્ત્રો તથા પંચાંગમાં વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. જેમ દરેક શુભ કાર્યમાં ગણેશ પૂજન અગ્રસ્થાન પામ્યું છે તેમ વિદ્યા અધ્યયન તથા વિદ્યા, કળાને લગતાં તમામ કાર્યમાં મા મહાસરસ્વતી અદ્ભુત સ્થાન પામ્યાં છે. જે પણ ઉંમરનો વિદ્યાર્થી મા મહાસરસ્વતીનું પૂજન અર્ચન કરે છે અને વિદ્યારંભ કરે છે તે વિદ્યાર્થીનું સદા સર્વત્ર હિત થાય છે. તે લગભગ ક્યાંયથી પણ પાછો પડતો નથી. તેના સર્વત્ર ગુણગાન ગવાય છે. તેનું સર્વત્ર પૂજન થતાં તે આદર પામે છે.
આ છે મા સરસ્વતી શબ્દનો અર્થ
મા સરસ્વતી શબ્દનો અર્થ ગતિમતિ અર્થાત્ વેગવાન બુદ્ધિ સાથે કરવામાં આવે છે. આદ્યાત્મિક દૃષ્ટિથી નિષ્ક્રિય બ્રહ્મનું સક્રિય સ્વરૂપ મા મહાસરસ્વતી છે. તેથી જ ત્રિદેવ તેમની ગતિ મતિ માને છે. સદૈવ પૂજે છે.
પુરાણોમાં વિષ્ણુ પત્ની તરીકે આલેખાયા છે
સ્કંદપુરાણમાં મહાસરસ્વતીનું વર્ણન શિવની શક્તિના રૂપમાં હોવાથી તેમનું શિવસ્વરૂપ મનાય છે. ઘણાં શિલ્પોમાં (જુઓ શિલ્પરત્ન) તેમને દશ ભુજાવાળાં માનવામાં આવ્યાં છે. ઘણાં શિલ્પોમાં તેમને દ્વિભૂજ કે ચતુર્ભૂજ માનવામાં પણ તથા દર્શાવવામાં પણ આવ્યાં છે. તેમને ઘણાં પુરાણોમાં વિષ્ણુપત્ની તરીકે પણ આલેખાયાં છે. તેમના હાથમાં જે પુસ્તક છે તે સ્થૂળરૂપની જ્ઞાનપ્રાપ્તિનું સાધન માનવામાં આવ્યું છે.
આ રીતે કરો મા સરસ્વતીનું પૂજન
આદ્યાત્મિક દૃષ્ટિથી સર્વજ્ઞાનરૂપી વેદનાં પ્રતીક તરીકે તેમને અનેરું માન આપવામાં આવ્યું છે. મા મહાસરસ્વતીની આદ્યાત્મિક દૃષ્ટિથી માતૃકાવર્ણ શક્તિ તરીકેનું અદ્ભુત સ્થાન પામ્યાં છે. વીણા સ્થૂળ સ્વરૂપે જીવન સંગીતનું સ્થાન પામેલી છે. તો આદ્યાત્મિક દૃષ્ટિએ વીણા સાધકોને સિદ્ધિ અને નિર્વાણ પ્રદાન કરે છે. શ્વેત હંસ એ મા સરસ્વતીનું વાહન છે. તેમનું એક વાહન મયૂર પણ માનવામાં આવે છે. જ્યારે તેમને શીઘ્ર કોઇ ભક્ત પાસે પહોંચવું હોય ત્યારે તે મયૂર ઉપર બિરાજે છે. વસંત પંચમીએ મા સરસ્વતીનું નાહી ધોઇ ઘટઃસ્થાપન કરી પૂજન કરવું. તેમને સફેદ કે પીળાં પુષ્પ ચડાવવાં. ખીર, દૂધ, માખણ પ્રસાદ તરીકે ધરાવવા. પુસ્તકનું પૂજન કરવું.