કોરોના કાળમાં માસ્ક પહેરવું ફરજીયાત છે અને નહીં પહેરનારે 1000 રૂપિયાનો દંડ ભોગવવો પડશે તેવી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યારે ગુજરાત પોલીસે લોક જાગૃતિ માટે અનોખું કામ કર્યું હતું.
અમદાવાદ પોલીસની સરાહનીય કામગીરી
પોલીસે દંડની જગ્યાએ માસ્ક આપ્યા
કોરોનાથી બચવા જાગૃતિ અભિયાન
અમદાવાદમાં કોરોનાના કહેરની વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. પોલીસ દ્વારા ફરી એકવાર અમદાવાદમાં માસ્ક પહેર્યા વિના ફરતા લોકોને રૂપિયા 1000નો દંડ કરવાની જગ્યાએ માસ્ક આપવામાં આવ્યા હતા.
દંડને બદલે અપાયા માસ્ક
ઉલ્લેખનીય છે કે, ઝોન 2 વિસ્તારમાં આવતા છ જેટલા પોલીસ સ્ટેશનમાં સવા લાખથી વધુ માસ્કનું વિતરણ કરાયું હતું અને લોકોને વેક્સિન લેવા અપીલ કરી હતી. આ સાથે જ કોમર્શિયલ વિસ્તારમાં વેપારીઓને સૂચના દર્શાવતા બેનરો પણ પોલીસે આપ્યા હતા. શહેરમાં અત્યાર સુધીમાં પોલીસે 5 લાખથી વધુ લોકોને માસ્કનું વિતરણ કર્યું છે.
વડોદરા પોલીસે પણ કર્યું હતું માસ્ક વિતરણ
સુરતમાં માસ્કના નિયમોના વિરોધાભાસ વચ્ચે વડોદરા પોલીસે પહેલ કરી છે. વડોદરામાં માસ્ક ન પહેરવા પર દંડ કરવાને બદલે માસ્ક આપવામાં આવી રહ્યા છે. સુરત પોલીસે હાથ ધરેલા અભિયાનમાંથી પ્રેરણા લેવામાં આવી છે. વડોદરા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 1 લાખથી વધુ નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. સયાજીગંજ પોલીસ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન દ્વારા થ્રી લેયર સર્જીકલ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવાની કરાઇ અપીલ
માત્ર બે કલાકમાં જ 1 હજાર લોકોને માસ્કનું વિતરણ કરાયું હતું. સાથે જ કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવા અપીલ કરી હતી. જો કે વડોદરા પોલીસે માસ્ક ન પહેરવાને લઇ સ્પષ્ટતા કરી છે. પહેલી વખત માસ્ક વગર લોકો પકડાશે તો માસ્ક આપશે અને બીજી વખત પકડાશે તો દંડ ફટકારવાનું નક્કી કર્યું છે.બીજી વખત માસ્ક ન પહેરનારા પાસેથી 1 હજારનો દંડ વસૂલ કરવામાં આવશે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 13,804 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 142 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 5,618 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,61,493 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 142 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 142 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 6019 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 384 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,00,128 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5411 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 59 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 2176 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 641 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 546 કેસ, જ્યારે ગ્રામ્યમાં 170 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 626 કેસ અને ગ્રામ્યમાં 93 કેસ નોંધાયા છે.