સ્થાનિકોનો સવાલ કે, રાજસ્થાનની યોજના ગુજરાતની હદમાં?
હદમાં રહેવાની ચેતવણી આપી ગામ લોકોએ નોંધાવ્યો વિરોધ
રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠાના વાછોલ ગામની હદમાં રાજસ્થાન સરકાર પાણીની પાઈપ નાખતા વિવાદ સર્જાયો છે. વાત એમ છે કે, રાજસ્થાન સરકાર દ્વારા નળ સે જળ યોજના અંતર્ગત અહીં પાણીની પાઇપ લાઈન નાખવા કેટલાક કારીગરો આવ્યા હતા. પરંતુ ગામલોકોએ તેમને હદમાં રહેવાની ચીમકી આપતા મામલો ગરમાયો છે.
'રાજસ્થાન સરકાર પાઈપલાઈન ભલે નાખે પરંતુ પોતાની હદમાં નાખે'
ઉત્તર ગુજરાતમાં આવેલો બનાસકાંઠા જિલ્લોએ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે, ત્યારે રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠાના વાછોલ ગામની હદમાં રાજસ્થાન સરકાર પાણીની પાઈપ નાખતા વિવાદ સર્જાયો છે. રાજસ્થાન સરકાર દ્વારા નળ સે જળ યોજના અંતર્ગત અહીં પાણીની પાઇપ લાઈન નાખવા માટે કેટલાક કારીગરો આવ્યા હતા, જેનો ગામ લોકોએ વિરોધ કર્યો હતો. ગામ લોકોનું કહેવું હતું કે રાજસ્થાન સરકાર પાઈપલાઈન ભલે નાખે પરંતુ પોતાની સરહદમાં નાખે.
સ્થાનિકો આકારા પાણીએ
મહત્વની વાત છે કે, આજથી 6 માસ આગાઉ રાજસ્થાન સરકારે વાછોલ ગામની હદમાં રાજસ્થાન સરકારના હદના નિશાન સૂચક ખૂંટા લગાવી દીધા હતા. ત્યારે પણ વિવાદ સર્જાયો હતો, એ વિવાદનો હજુ અંત નહોતો આવ્યો ત્યાં વધુ એક વખત વાછોલ ગામની હદમાં રાજસ્થાન સરકાર દ્વારા નખાયેલી પાણીની પાઇપ લાઈન નાખતા ગામના સરપંચે પણ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
સરહદનો કરવો પડશે સરવે
આમ, ગુજરાતની હદમાં રાજસ્થાન સરકાર દ્વારા પાણીની પાઇપ લાઈન નખાતી હોવાની વાત પ્રસરતા સ્થાનિક લોકોમાં ઉશ્કેરાટ જોવા મળી રહ્યો છે. જો કે ગઈકાલે વાછોલ ગામના સરપંચ સહીત ગ્રામજનોને એકઠા થઇ કામગીરી રોકવી હતી. અને ત્યાર બાદ સમગ્ર ઘટનાની જાણ બનાસકાંઠાના વહીવટી તંત્રને કરાઈ હતી. જો કે સરપંચ દ્વારા વહીવટી તંત્રને જાણ કરવા છતાં બે દિવસ સુધી વહીવટી તંત્રના કોઈ જ અધિકારી સ્થળ પર પહોંચ્યા ન હતા. પરંતુ મીડિયાએ આ સમગ્ર મામલો ઉજાગર કરતા આખરે વહીવટી તંત્ર દોડતું થયું છે. ધાનેરા ટીડીઓ પોતાના અધિકારીઓ સાથે વાછોલ ગામે આવ્યા હતા. અને સમગ્ર ઘટનાનો તાગ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વહીવટી તંત્ર દોડતું થયું
જો કે, હાલ તો ટીડીઓ સહિતના અધિકારીઓની ટીમે હદબાણ વાળી જગ્યાનું નિરીક્ષણ કરીને આગામી દિવસોમાં ડીએલઆર દ્વારા જમીન માપણી કરાવી કાર્યવાહી કરવાની બાહેધારી આપી છે જેના કારણે મામલો થાળે પડ્યો છે. ત્યારે જોવાનું એ રહે કે, આ બાબતમાં સર્વેમાં કેવી વિગત બહાર આવે છે.