ગુજરાતની સૌથી મોટી APMC અને સ્થાનિક રાજકારણ હવે વિવાદોના ઘેરામાં સંપડાયું છે. ગુજરાત સહિત વિશ્વમાં કરોડોનું ટર્ન ઓવર કરતા આ APMCની ચૂંટણીને લઈ સત્તાધારી પક્ષમાં પણ બે જુથ હવે સામસામે આવી ગયા છે. APMCની ચૂંટણી અને તેની પાછળ ગરમાયેલા રાજકારણની શું છે વરવી વાસ્તવિક્તા જુઓ મહેસાણામાં મહાસંગ્રામમાં...
ટીવી સ્ક્રીન પર આપે જે આક્રોશ અને વિરોધ જોયો તે મહેસાણા જિલ્લાથી હવે સામે આવ્યો છે. મહેસાણાના વિસનગર ખાતે ભાજપની વિસ્તારક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઊંઝા APMCની મતદારયાદી અને તેના વિવાદનો મુદ્દો વધુ ઉગ્ર બન્યો હતો. ગઈકાલે પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીમાં નારાયણ પટેલના પુત્ર અને ઊંઝા APMCના ચેરમેન ગૌરાંગ પટેલનું નામ પણ કપાયું હતું. જે બાદ વેવાઈ પ્રથા બંધ કરોના સુત્રોચાર કરવામાં આવ્યા હતા.
એશિયામાં મસાલાનું સૌથી મોટું માર્કેટ
ઊંઝા APMC ચૂંટણી અને વિવાદ પર હવે એક નજર કરીએ તો ઊંઝા APMC ગુજરાતની સૌથી મોટી APMC છે. અહીં એશિયામાં મસાલાનું સૌથી મોટું માર્કેટ છે. ઊંઝા APMCમાં હાલમાં 17 સભ્યો છે જેમાં 8 ખેડૂત પ્રતિનિધીઓ 4 વેપારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સહકારી ક્ષેત્રના 2 પ્રતિનિધિઓનો પણ અહીં સમાવેશ થાય છે જેમાં 2 પ્રતિનિધી સરકારના 1 નગરપાલિકાના પ્રતિનિધિ છે. અહીં 2011થી નારાયણ પટેલના પુત્ર ગૌરાંગ પટેલ APMCના પ્રમુખ છે. તેથી નારાયણ પટેલ અને શીવમ રાવલનું જૂથ આમને-સામને હવે પડ્યું છે.
રોજનું 500 કરોડથી વધુનું ટર્નઓવર
શિવમ રાવલને આશાબેન પટેલનું સમર્થન છે પ્રજોલિત દિવા જેવી વાત એ છે કે ઊંઝા APMC આવક અને ધંધાની દ્રષ્ટીએ સોનાની લગડી ગણાય છે. રોજની 50 હજારથી વધુ બોરીનો ધંધો ઊંઝા APMC ધરાવે છે. અહીં રોજનું 500 કરોડથી વધુનું ટર્નઓવર થાય છે. તો વર્ષે 20 લાખથી વધુ બોરીઓ વિદેશમાં મસાલાની નિકાસ થાય છે. આમ ઊંઝા APMCની વાર્ષિક સેસની આવક રૂ.7.42 કરોડ થાય છે. ઊંઝા APMCમાં લાયસન્સ મેળવવા રૂ.20 લાખની ડિપોઝીટ જમા કરાવવી પડે છે.
APMCમાં ગૌરાંગ પટેલનું પત્તુ કપાઈ શકે છે
ઊંઝામાં છેલ્લા 35 વર્ષથી રાજકીય અને સહકારી ક્ષેત્રે નારાયણ પટેલનો દબદબો રહ્યો હતો. પરંતુ આશાબેન પટેલના નજીક ગણાતા દિનેશ પટેલને ઊંઝા APMCના ચેરમેન બનાવવાના ભાગરૂપે ખેડાયેલી રાજનીતિએ નારાયણ પટેલના દબદબા સામે સવાલ ઉભા કરી દીધા છે. તો ગઈકાલે પ્રસિદ્ધ થયેલી ઊંઝા APMCની મતદાર યાદીએ એ સ્પષ્ટ કરી દીધું છે કે આ વખતે ઊંઝા APMCમાં ગૌરાંગ પટેલનું પત્તુ કપાઈ શકે છે. આમ દિનેશ પટેલ પ્રદેશ ભાજપના મહામંત્રી કે.સી. પટેલના વેવાઈ થાય છે. જેને લઈને હાલ ઊંઝા APMC અને સ્થાનિક રાજકારણમાં થઈ રહેલા ઘટનાક્રમ માટે કે.સી. પટેલને જવાબદાર ગણવામાં આવે છે.
તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ...
મહત્વનું છે કે ઊંઝા APMCની ચૂંટણીના રાજકારણને લઈને મહેસાણા ભાજપના કાર્યકરોમાં પણ ભારે નારાજગીના સુર હવે વહેતા થયા છે. મોટા ભાગના કાર્યકરોએ નારાયણ પટેલ સાથે ઘટી રહેલ ઘટના ક્રમ યોગ્ય નહીં હોવાનો મત વ્યક્ત કર્યો છે. જો કે શિસ્તના નામે ભાજપના કાર્યકરો અને કેટલાક હોદ્દેદારો તેરી ભી ચૂપ મેરી ભી ચૂપની નીતિ અપનાવી રહ્યા છે.