ગુજરાત મેરીટાઈમ બોર્ડ ફરીવાર વિવાદમાં આવ્યું છે. અવાર નવાર ભ્રષ્ટાચારના આરોપો બાદ હવે હઝીરા સ્ટીલ ફેક્ટરી નજીક જેટ્ટીના લાયસન્સ મુદ્દે ગુજરાત સરકાર, એસ્સાર બલ્ક લિમિટેડ અને આર્સેલર મિત્તલની સ્ટીલ કંપની વચ્ચેનો વિવાદ સામે આવ્યો છે અને આ મામલો હવે હાઈકોર્ટ સુધી પહોંચી રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બંને કંપનીઓ અને સરકાર દ્વારા આ કેસ માટે દેશના ટોપ વકીલોને મેદાને ઉતારવામાં આવ્યાં છે.
ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને એસ્સાર કંપની વચ્ચે થયેલ કરાર વિવાદમાં
AMNSIL કંપનીએ હઝીરા પોર્ટનું લાયસન્સ પોતાના નામે કરવા કરી અરજી
હઝીરા પોર્ટના લાયસન્સ માટે હાઈકોર્ટમાં સરકાર સામે અરજી
AMNSIL ( ArcelorMittal Nippon Steel India Ltd ) દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત સરકાર અને Essar Bulk Terminal Ltd કંપની વિરુદ્ધ કરવામાં આવેલ અરજી વિરુદ્ધ સરકારે ટોપ વકીલોને ઉતારવાનો નિર્ણય લીધો છે જેમાં ભારતના સોલિસિટર જનરલ તુષાર મેહતા પણ સામેલ છે. AMNSIL કંપનીએ હઝીરા પોર્ટનું લાઈસન્સ પોતાના નામે ટ્રાન્સફર કરવા માટે આ અરજી કરી છે.
ગુજરાત સરકાર તરફથી કમલ ત્રિવેદી જ્યારે GMB તરફથી તુષાર મહેતા લડશે કેસ
સરકારના સૂત્રો મુજબ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી ગુજરાત સરકાર તરફથી જ્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતા ગુજરાત મેરીટાઈમ બોર્ડ તરફથી કોર્ટમાં ઉપસ્થિત થશે. સરકારના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે 'આ કેસ ખૂબ ગંભીર છે અને કોર્ટમાં અમારા કેસને ખૂબ મજબુત રીતે પ્રસ્તુત કરવામાં આવશે.'
મિત્તલ કંપની તરફથી હરીશ સાલ્વે લડશે કેસ : સૂત્ર
આટલું જ નહીં સૂત્રો અનુસાર બંને કંપનીઓ પણ દેશના ટોપ વકીલોને કેસ લડવા માટે ઉતારવા જઈ રહી છે. મિત્તલ ગ્રુપ દ્વારા પ્રસિદ્ધ વકીલ હરીશ સાલ્વે જયારે એસ્સાર કંપની ભૂતપૂર્વ અટોર્ની જનરલ મુકુલ રોહતગીને આ કેસ પાર પાડવા માટે કોર્ટમાં ઉતારશે.
આ પહેલા પણ પોર્ટ નીતિ પર ઉઠ્યા છે સવાલ
નોંધનીય છે કે ArcelorMittal કંપનીએ અગાઉ પણ ગુજરાત સરકારની નવી પોર્ટ નીતિ હેઠળ એસ્સાર કંપનીની પસંદગી કરવાનો વિરોધ કર્યો હતો. ArcelorMittal કંપનીના વાંધાના કારણે ગુજરાત સરકારને નવી પોર્ટ નીતિ જે જાહેર કરી દીધી હતી અને વાંધો હોવા છતાં પણ અટકાવી ન હતી તેને હવે વ્યાપક ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિના વારંવાર આરોપોને પગલે અટકાવી દેવાઈ છે.
ખાસ વાત એ છે કે આ પહેલા પણ ઘણીવાર ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા લેવામાં આવેલ નિર્ણયો ભ્રષ્ટાચારના આરોપ અને અમુક લોકોની તરફેણના વિવાદના કારણે લાગુ થઇ શક્યા નથી.
એસ્સાર ગ્રુપને જેટ્ટી આપવાનો હતો પ્લાન
આ પહેલા ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા એસ્સાર ગ્રુપ સાથે કરાર કરવામાં આવ્યો હતો જેમાં જેટ્ટીને સંપૂર્ણ રીતે કમર્શિયલ પોર્ટમાં પરિવર્તિત કરવાનો પ્લાન હતો. જોકે બાદમાં તે આખો કરાર અભરાઈએ ચડાઈ દેવો પડ્યો કારણ કે હકીકતમાં જેટ્ટી હઝીરા સ્ટીલ ફેક્ટરી માટેની હતી.
ઉલ્લેખનીય છે કે ઈન્સોલ્વન્સી પ્રક્રિયા હેઠળ એસ્સાર સ્ટીલને હસ્તગત કર્યાના ગણતરીના દિવસોમાં જ AMNSILએ ગુજરાત મેરીટાઈમ બોર્ડને અરજી કરી હતી જેમાં વિનંતી કરાઈ હતી કે હઝીરા સ્ટીલ ફેક્ટરીના પરિસરમાં આવેલી જેટ્ટીનું લાયસન્સ મિત્તલ જૂથને ટ્રાન્સફર કરી દેવામાં આવે. મહત્વનું છે કે મિત્તલ ગ્રુપે નાદારી પ્રક્રિયા દ્વારા સ્ટીલ ફેક્ટરી હસ્તગત કરી હતી.