અરુણ જેટલીનાં નિધન સાથે જ સ્વચ્છ અને બેદાગ રાજનિતીના એક ચહેરાનો અસ્ત થઈ ગયો છે. પોતાની વકીલ તરીકેની કારકિર્દી હોય કે, રાજકારણની સફર હોય અરૂણ જેટલી હંમેશા બેદાગ રહ્યાં છે. તેમના પર આંગળી ચીંધનારા નેતાઓએ પણ માફી માગવી પડે તેવી સ્થિતિમાં મુકાયા હતાં. તો કયો હતો એ વિવાદ કે જે વિવાદ બાદ અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમને અરુણ જેટલીની માંગવી પડી હતી માફી. તે જોઈએ આ અહેવાલમાં.
એક રાજનેતા તરીકે અને એક નાણાંમંત્રી (finance minister) તરીકે અરુણ જેટલી (Arun Jaitley) નાં તમામ નિર્ણયો કાયમ યાદ રહેશે. અરુણ જેટલી સ્વચ્છ રાજનીતિનાં એક અગ્રીમ ચહેરો હતાં. આ સાથે જ તે તાર્કિક વિચારધારાની તાકાતથી વિરોધીઓને પરાસ્ત કરવાની પણ તાકાત ધરાવતા હતાં. તેમની ખાસિયત એ હતી કે તેઓ જે રીતે કોઈ ગૂંચમાં ફસાયેલા પોતાના પક્ષને આબાદ ઉગારી શકતા હતા તેવી જ રીતે પોતાના પર લાગતા અંગત આરોપોનો સામે પોતે નિર્દોષ હોવાની સાબિતી આપી શકતા હતાં. એટલું જ નહીં તેઓ પોતાની સામે આંગળી ચીંધનારને માફી માગવા મજબૂર કરી શકે તેવી તાકાત પણ ધરાવતા હતાં. એનું તાજુ ઉદાહરણ છે ડીડીસીએ વિવાદ.
અરુણ જેટલી 2006થી 2012નાં વર્ષ દરમ્યાન નાણાંમંત્રી હતાં. એ સાથે તેઓ 1999થી 2012 સુધી ડીડીસીએનાં અધ્યક્ષ પણ હતાં. તે વખતે ડીડીસીએ એટલે દિલ્હી જિલ્લા ક્રિકેટ એસોશિયેશન વિવાદ ઊભો થયો હતો. આ વિવાદ ઘણો ચર્ચામાં રહ્યો હતો. કારણ કે વર્ષ -2006થી 2012નાં ગાળા દરમિયાન ડીડીસીએમાં નાણાની હેરાફેરી, ટેન્ડરમાં ગોટાળા, કરની ચૂકવણીમાં વિલંબ અને ટીકિટમાં ગરબડ જેવા અનેક મુદ્દાઓમાં તેમની સામે આંગળી ચીંધાઈ હતી.
આ ગરબડને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજનીતિક સ્વરૂપ આપી દીધું હતું. અરવિંદ કેજરીવાલ અને તેમના સાથીઓએ અરુણ જેટલી પર અનેક આક્ષેપો જડી દીધાં હતાં. અરુણ જેટલને આ આરોપનો કારણે ઘણી વાર ટીકાનો ભોગ બનવું પડયું હતું. જો કે અરુણ જેટલીએ આ તમામ આરોપોનું ખંડન કર્યું હતું. પરંતુ અરવિંદ કેજરીવાલે પિછો છોડ્યો નહીં. આખરે અરુણ જેટલી અને અરવિંદ કેજરીવાલની આ લડાઈ અદાલતમાં પહોંચી.
અરુણ જેટલી ડીડીસીએનાં આ વિવાદમાં બિલકુલ બેદાગ હતાં. જ્યારે કેજરીવાલે અપર્યાપ્ત પુરાવાઓના આધારે તેમના પર આરોપો લગાવ્યાં હતાં. અનેક પ્રયાસો બાદ કેજરીવાલ ન માન્યા તો પોતાની સાફ છબી પુરવાર કરવા અરુણ જેટલીએ કેજરીવાલ અને આપ નેતા કુમાર વિશ્વાસ, આશુતોષ, સંજયસિંહ, રાઘવ ચઢ્ઢા અને દીપક વાજપેયી વિરુદ્ધ માનહાનિનો દાવો માંડ્યો.
અરુણ જેટલીએ 10 કરોડનો માનહાનિનો દાવો માંડ્યો હતો. આ લડાઈ દિલ્હીની સડકોથી છેક હાઈકોર્ટ સુધી ચાલી. પરંતુ આખરે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચેલા આ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલી સામે માફી માંગવી પડી.
અરવિંદ કેજરીવાલ આ માફીનામાં બાદ અરુણ જેટલીએ અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમને માફી બક્ષી દીધી હતી. આ કિસ્સો અરુણ જેટલીની સ્વચ્છ છબી તો દર્શાવે જ છે સાથે સાથે પોતાનાં રાજનીતિક ચારિત્ર્ય સામે શંકા કરનારને કે આંગળી ચીંધનારને જડબાતોડ જવાબ આપવાની તેમની ક્ષમતાનો પણ પરિચય આપે છે.