અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગેરવર્તણૂંકનો મામલો ગરમાયો છે. ભાજપના જ કોર્પોરેટરો સાથે ગેરવર્તણૂંક કરી હોવાના આક્ષેપ થયા છે. સમગ્ર મામલે ભાજપ સંગઠન અને સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર મામલે મુખ્યમંત્રી રૂપાણીને અવગત કરાવવામાં આવ્યાં છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની બદલી થઇ શકે છે.
અમદાવાદ મ્યુનિ.કમિશનર અને BJP શાસકો વચ્ચે બબાલ
કોર્પોરેટરો સાથેના ગેરવર્તનની CM રૂપાણીને કરાઇ જાણ
અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર અને ભાજપ શાસકો વચ્ચે શીતયુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. નવા પશ્ચિમ ઝોનની બેઠકમાં ભારે હોબાળો થયો હતો. ભાજપના કોર્પોરેટરો અને કમિશનર વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ અને કમિશનર સહિતના અધિકારીઓ મિટીંગ છોડીને જતા રહ્યા હતો. આ પૂર્વેની બેઠકમાં પણ ઉગ્ર ચર્ચાઓ થઈ હતી. કોર્પોરેટરની ફરિયાદ છે કે નવા પશ્ચિમ ઝોનમાં કોઈ રોડ બનતા નથી.
કમિશનર વિજય નેહરા સામે રોષ
જેના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ફરિયાદો દરમિયાન કમિશ્નરે ભાજપના સભ્યને અપશબ્દ કહ્યા હોવાની પણ ચર્ચાઓ વહેતી થઈ છે. જેના કારણે ભાજપના સભ્યોમાં કમિશનર વિજય નેહરા સામે રોષ છે.
વિજય નેહરા શાસકોની રજૂઆત ન સાંભળતા હોવાની ચર્ચા
આ સાથે જ વિજય નેહરા શાસકોની કોઈ રજૂઆત સાંભળતા ન હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે. AMC કમિશ્નર વિજય નેહરા આપખુદશાહી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે જણાવ્યું કે આ સમગ્ર મામલે ભાજપના મોવડી મંડળ દ્વારા જે નિર્ણય લેવામા આવશે તે માન્ય રહેશે. તો બીજી બાજુ આ મામલે વિપક્ષના નેતા દિનેશ શર્માએ કહ્યું કે તેઓ સત્તાપક્ષ સાથે છે પણ જો ભાજપ દ્વારા અંગત હિત માટે કમિશ્નર પર દબાણ કરાયું હશે તો કોંગ્રેસ આ મામલે વિચાર કરશે.