ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણીનો 17 ઓગસ્ટે જન્મદિવસ છે. દિશા વાકાણી 5 વર્ષથી શોથી દૂર છે અને ફેન્સ હજુ પણ એ જાણવા માટે ઉત્સુક છે કે દિશાએ શો કેમ છોડ્યો?
આજે છે દિશા વાકાણીનો બર્થ ડે
5 વર્ષથી તારક મહેતા શોથી છે દૂર
ફેન્સ ઉત્સુક્તાથી જોઈ રહ્યા છે રાહ
ટીવીની સૌથી હિટ અને પોપ્યુલર સિટકોમ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનું પાત્ર ભજવીને ઘર-ઘર ફેમસ થયેલી દિશા વાકાણીનો 17મી ઓગસ્ટે 44મો જન્મદિવસ છે. દિશા વાકાણીએ ગુજરાતી થિયેટર અને હિન્દી ફિલ્મોમાં નાની ભૂમિકાઓથી અભિનયની શરૂઆત કરી હતી. પરંતુ દયાબેનની ભૂમિકાથી તેને તેની કારકિર્દીમાં મોટો બ્રેક મળ્યો હતો.
આજે પણ ફેન્સ દયાબેનને કરી રહ્યા છે મિસ
દયાબેનના પાત્રે દિશા વાકાણીને ઘર-ઘરમાં એટલી પ્રખ્યાત કરી કે આજે પણ લોકો તેને મિસ કરે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડે દિશા વાકાણીને પાંચ વર્ષ થઈ ગયા છે. પરંતુ લોકો હજુ પણ તેના શોમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. મેકર્સ પણ દિશા વાકાણીની જગ્યાએ નવી દયાબેનને શોમાં લાવી શક્યા નથી.
આખરે દિશાએ કેમ છોડ્યો શો?
ફેન્સ મેકર્સ પાસે દયાબેન તરીકે દિશા વાકાણીને પરત લાવવાની વિનંતી કરી રહ્યા છે અને ઘણી વખત ગુસ્સો વ્યક્ત કરી ચૂક્યા છે. પરંતુ દિશા વાકાણી ક્યારેય 'તારક મહેતા' કે દયાબેનના રોલમાં પરત નહીં ફરે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આખરે એવું તો શું થયું કે દિશા વાકાણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી દીધો?
દિશાના પતિના કારણે ઉભી થઈ ગેરસમજ
વર્ષ 2019માં એવી ખબર આવી હતી કે નિર્માતા અસિત મોદી દિશા વાકાણીને શોમાં પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેણે આ અંગે દિશા વાકાણી અને તેના પતિ સાથે પણ વાત કરી હતી. પરંતુ અસિત મોદી અને દિશા વાકાણી વચ્ચે ઘણી ગેરસમજ હતી જેના કારણે ફરી શોમાં પરત ફરવું વધુ મુશ્કેલ બન્યું હતું.
એક રિપોર્ટ અનુસાર અસિત મોદી અને દિશા વાકાણી વચ્ચે ગેરસમજની દિવાલ અભિનેત્રીના પતિ મયુર પડિયાએ ઊભી કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે દિશા વાકાણી વતી, મયુરે તેની કારકિર્દીને લગતા તમામ નિર્ણયો લેવાનું શરૂ કર્યું. તે દિશા વાકાણીને બદલે 'તારક મહેતા'ના નિર્માતાઓ સાથે વાત કરતા હતા.
આ બે કારણોથી બગડી અસિત મોદી અને દિશા વાકાણી વચ્ચે વાત?
રિપોર્ટ અનુસાર, દિશા વાકાણીના પતિ મયુરે દાવો કર્યો હતો કે અસિત મોદી પાસે તેની પત્નીના કેટલાક પૈસા બાકી છે. સંપૂર્ણ સમાધાન હજુ બાકી છે. સાથે જ આસિત મોદીએ કહ્યું કે બધુ ક્લિયર છે. આ બાબતે દિશા વાકાણીના પતિ અને અસિત મોદી વચ્ચે મતભેદો સર્જાયા હતા.
બીજી સમસ્યા ત્યારે સર્જાઈ જ્યારે મયુર પડિયાએ આગ્રહ કર્યો કે પત્ની દિશા વાકાણી મહિનામાં માત્ર 15 દિવસ જ કામ કરશે અને તે પણ માત્ર 4 કલાક. પરંતુ અસિત મોદી આ માટે તૈયાર ન હતા. આ દખલગીરીને કારણે અસિત મોદી અને દિશા વાકાણી વચ્ચે મામલો બગડ્યો અને પછી શોમાં પાછા ફરવાનો રસ્તો બંધ થઈ ગયો.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે દિશા વાકાણીના પતિ
દિશા વાકાણીએ 2015માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા. બે વર્ષ પછી એટલે કે 2017માં તેણે દીકરીને જન્મ આપ્યો. લગ્ન પછી દિશા વાકાણીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં થોડો સમય કામ કર્યું હતું, પરંતુ ડિલિવરી પછી તે મેટરનિટી લીવ પર ગઈ હતી.
બાદમાં અસિત મોદીએ દિશા વાકાણીને શોમાં પરત લાવવા માટે ઘણી વખત પ્રયાસ કર્યા હતા. દરમિયાન, કોવિડ ફેલાયો અને દિશા વાકાણીએ તેની પુત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શૂટિંગમાં પાછા ફરવાનો ઇનકાર કર્યો હતો.