અમદાવાદમાં ઇસનપુરના બનારસી સમોસા હાઉસમાં દાઝીયા તેલનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવતા તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી.
ઇસનપુરનું બનારસી સમોસા હાઉસ સીલ કરવામાં આવ્યુ
એક જ તેલમાં વારંવાર વાનગી બનાવતા TPCની માત્રા વધુ મળી
બનારસી સમોસા હાઉસને અચોક્કસ મુદ્દત સુધી સીલ કરાયું
શ્રાવણ માસ અને તહેવારોની સીઝનને લઇને અમદાવાદમાં આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે. જન્માષ્ટમી સહીતનાના તહેવારોમાં હોટેલ અને નાસ્તા હાઉસનો ચટલો લોકોને આરોગ્યની દ્રષ્ટિએ મોંઘો ન પડે તે માટે આરોગ્ય વિભાગે ચેકિંગ ઝુંબેશ તેજ બનાવી છે. જેંને પગલે આજે ઇસનપુરના બનારસી સમોસા હાઉસમાં આરોગ્ય તંત્રની ટીમ ચકાસણી અર્થે ત્રાટકી હતી. જેમાં એક જ તેલમાં વારંવાર વાનગી બનાવતા હોવાનો તપાસમાં ખુલાસો થયો હતો. તપાસ દરમિયાન એક જ તેલમાં વારંવાર વાનગી બનાવતા TPCની માત્રા વધુ જોવા મળી હતી. જેંને લઇને આરોગ્ય તંત્રના અધિકારીઑ ચોંકી ઉઠયા હતા અને બનારસી સમોસા હાઉસને અચોક્કસ મુદ્દત સુધી સીલ કરવામાં આવ્યું હતું.
તહેવારોને પગલે આરોગ્ય અને ફૂડ વિભાગ એક્શનમાં
તહેવારોને પગલે આરોગ્ય અને ફૂડ વિભાગ એક્શનમાં જોવા મળી રહ્યું છે. અને શહેરમાં ફરસાણની દુકાનો પર તવાઈ બોલાવી રહી છે. ત્યારે હવે ફૂડ વિભાગની ઝપટે ચઢી છે શહેરની પ્રખ્યાત દાસ ખમણની બે બ્રાંચ, AMCના અધિકારીઓએ બોડકદેવ વિસ્તારમાં આવેલી દાસ ખમણની બ્રાંચમાં તપાસ હાથ ધરી. જાણવા મળ્યું કે જે તેલ તળવામાં વપરાઈ રહ્યું છે તેનું ટોટલ પોલાર કાઉન્ટ 60થી 70 ટકા છે. જે માત્ર 25 ટકા હોવું જોઈએ. જેથી તંત્રએ અચોક્કસ મુદ્દત માટે બોડકદેવ બ્રાંચને સીલ મારી દીધું હતું.
શ્રાવણ માસમાં આરોગ્ય વિભાગે ફરી હાથધર્યુ ચેકિંગ
ગાંઠીયા, ભજીયા, ફાફડા કે અન્ય કોઇ ફરસાણમાં દુકાનદારો કયા તેલનો તળવા માટે ઉપયોગ કરી રહ્યા છે તેની સીધી રીતે ખબર પડતી નથી. કેટલીક મોટી અને બ્રાન્ડેડ દુકાનદારો તો દાવો કરે છે કે તેઓ શુધ્ધ તેલનો ઉપયોગ કરે છે. જો કે મોટાભાગનાં આ તેલ આખો દિવસ વાપરે છે અને તેઓ તેલ બદલતા નથી. જેના કારણે તે કેન્સર જેવી બિમારીઓ થવાનો ભય રહે છે. વળી તહેવારોમાં ફરસાણની ડિમાન્ડમાં ઉછાળો થતાં વેપારીઓ નફાની લ્હાયમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા જરા પણ ખચકાતા નથી. એક જ તેલને 3 વખતથી વધુ ગરમ કરવામાં આવે તો તે ઝેર બની જતું હોય છે એટલે કે એ તેલ લોકોના સ્વાસ્થ્ય માટે નુકસાન કારક સાબિત થાય છે.
વપરાયેલા તેલમાં ટ્રાન્સ ફેટ હોવાથી શરીર માટે જીવલેણ નીવડે છે
વપરાયેલા તેલમાં ટ્રાન્સ ફેટ હોય છે જે શરીર માટે તદ્દન જીવલેણ હોય છે. તેને ખાવાથી શરીરમાં સારુ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. અને ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે. જેના કારણે હાઈ બ્લડપ્રેશર, હૃદય રોગનું જોખમ વધી જાય છે. અનેકવાર વપરાયેલું તેલ એલ્ડીહાઈડ્સ જેવા ઝેર મુક્ત કરે છે જે હૃદય માટે હાનિકારક છે. જેનાથી અલ્ઝાઈમર, સ્ટ્રોક, કેન્સર, પાર્કિન્સન અને લીવરની સમસ્યાનું જોખમ વધે છે. પેટમાં ગેસ થવો, પેટમાં બળતરા થવાની સમસ્યા રહે છે. તહેવારોને પગલે હાલ તો આરોગ્ય વિભાગ સ્ટ્રીક થયું છે અને અનેક ફરસાણની દુકાનો પર દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી રહી છે. તો બીજી તરફ લોકોએ પણ બ્રાન્ડના નામ જોઈને ભરમાવાની જરૂર નથી અને આંખ બંધ કરીને ફરસાણ ખાતા હોય તો ચેતી જજો કેમ કે આ ફરસાણ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે..