સોમવારે રાજકોટમાં યોજાનારા સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના સૌરાષ્ટ્રના ટોચના કહી શકાય તેવા નેતાઓના નામની નિમંત્રણ પત્રીકામાથી બાદબાકી થતા ખળભળાટ.આંતરિક જૂથબંધીની ચર્ચા
સોમવારે રાજકોટમાં ભાજપનો સ્નેહ મિલન
બે સાંસદો અને એક પૂર્વ મંત્રીના નામ જ નહિ
આંતરિક વિખવાદને મળી શિયાળાની હવા
રાજ્યભરમાં જિલ્લા સ્તરે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે સોમવારે રાજકોટમાં યોજાનારા સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના સૌરાષ્ટ્રના ટોચના કહી શકાય તેવા નેતાઓના નામની નિમંત્રણ પત્રિકામાંથી બાદબાકી થતા ખળભળાટ મચી ગયો છે. આવું થવાનું કારણ રાજકોટ ભાજપમાં ઉભી તિરાડ છે કે, આંતરિક અસંતોષ કે પછી જૂથવાદને પ્રેરતી કોઈ નવી ધરી ઉભી થઇ રહી છે તેની ચર્ચાએ જોર પકડ્યું છે.
બે સાંસદો એક પૂર્વ મંત્રીની બાદબાકી
રાજકોટ શહેર ભાજપનો સ્નેહમિલન સમારોહ 15 નવેમ્બરે યોજાવાનો છે.પરંતુ સ્નેહમિલન પહેલા આંતરિક ગજગ્રાહ હવે નિમંત્રણ પત્રીકારૂપે સામે આવ્યો છે.સ્નેહ મિલન નિમંત્રણ પત્રિકામાં ભાજપના શીર્ષસ્થ કહી શકાય તેવા નેતાઓના નામનો ઉલ્લેખ જ નથી. જેમાં બે સાંસદ અને એક પૂર્વ મંત્રી ગોવિંદ પટેલના નામોની બાદબાકી થઇ ગઈ છે
જો કે, પૂર્વ CM રૂપાણી,મંત્રી અરવિંદ રૈયાણી,પ્રશાંત કોરાટના નામોનો સમાવેશ ચોક્કસ કરવામાં આવ્યો છે. આંતરિક જૂથવાદ મામલે ભાજપના શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ નિવેદન આપતા કહ્યું કે, ભાજપમાં કોઈ જૂથવાદ નથી. અને પ્રદેશ ભાજપ દ્વારા જે નામો મોકલાયા તે જ નામો પત્રિકામાં લખવામાં આવ્યા છે. સાંસદો સાથે અન્ય બીજા પણ નેતાઓના નામ નથી લખવામાં આવ્યા. ભાજપ દ્વારા આયોજિત થતા તમામ કાર્યક્રમો પ્રદેશ ભાજપ દ્વારા જ નક્કી થતા હોય છે અને તેમના માર્ગદર્શનથી જ આખું આયોજન પાર પડતું હોય છે.
ભાજપમાં આ કોઈ પહેલી ઘટના નહિ
રાજકોટ પંથકમાં ભાજપના બે સ્નેહમિલન કાર્યક્રમ છે.જેમાં બે સાંસદના નામની બાદબાકી કરવામાં આવી છે. પ્ર્રદેશ ભાજપમાંથી જ આ સાસંદો અને એક પૂર્વ મંત્રી ગોવિંદ પટેલનાં નામો ના સૂચવ્યા હોય અને આમંત્રણ પત્રિકામાં ના છપાયા હોય તો પણ આ અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. જો કે ભાજપમાં આવું છાસવારે થતું રહે છે. અગાઉ ઘણી જગ્યાએ નાયબ મુખ્યમંત્રી હોવા છતાં નીતિન પટેલના નામનો ઉલ્લેખ આમંત્રણ પત્રિકામાં નહોતો થયો. ભાજપ સ્થિતપ્રજ્ઞ પાર્ટી છે.જેમાં કોઈનો હરખ નહિ અને નહિ કોઈનો શોક.