ઇન્ટરનેટની દુનિયામાં સૌથી તેજ ૪-જી નેટવર્ક બાદ હવે ૫-જી એટલે કે પાંચમા જનરેશનના નેટવર્કના પ્રસારની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દુનિયાભરમાં ઇન્ટરનેટની વધતી માગના કારણે ૪-જી નેટવર્ક હવે ઓવરલોડિંગનો શિકાર બની રહ્યાં છે. આ સમસ્યાના ઉકેલ માટે હવે ૫-જી લાવવામાં આવશે.
નિષ્ણાતોનું માનવું છે કે ૫-જી આવવાથી આપણી રહેણીકરણીની રીતમાં નાટકીય બદલાવ જોવા મળશે. આ નેટવર્કનો પ્રસાર થયા બાદ રેડિયો ફ્રીક્વન્સી વિકિરણના સંપર્કમાં આવવાથી સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર અંગે ચિંતા પણ વ્યક્ત થઇ રહી છે.
૫-જી નેટવર્ક શરૂ થશે એટલે મોબાઇલ ટાવરની સંખ્યા વધશે અને આરએફ સિગ્નલની તાકાત ખૂબ જ વધારે હોય છે. આવા સંજોગોમાં વિકિરણથી સ્વાસ્થ્ય ખરાબ થવાની આશંકા પણ છે. નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી નક્કી કરાયેલા સુરક્ષાના માપદંડનું પાલન થતું રહેશે ત્યાં સુધી આરએફથી ડરવાની જરૂર નથી.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ આરએફ સિગ્નલના સંપર્કમાં આવવાની આશંકાઓને નકારી છે. ડબ્લ્યુએચઓએ જણાવ્યું કે આરએફના પરિક્ષેત્રમાં આવવાથી શરીરનો તાપ વધે છે અને તાપમાનમાં સામાન્ય વૃદ્ધિ લોકોના સ્વાસ્થ્યને વધુ પ્રભાવિત કરતી નથી. નોઇડાના કાર્ડિયાક સર્જન વૈભવ મિશ્રાએ જણાવ્યું કે રેડિયેશન શબ્દ ભ્રમની સાથે-સાથે મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ ઊભી કરે છે. તેમણે કહ્યું કે રેડિયેશનના બે પ્રકાર હોય છે. એક પ્રકાર સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે જ્યારે બીજાથી સાવધાન રહેવાની જરૂર હોય છે, દા.ત. સૂર્ય દ્વારા ઉત્સર્જિત
કિરણો પ્રકૃતિમાં આયનીકરણનું કારણ બની શકે છે, તેનાથી આપણી કોશિકાઓને નુકસાન પહોંચે છે.
વિકિરણનો સવાલ એટલે મહત્ત્વનો છે, કેમ કે ૫-જીની ગતિ ૪-જીની સરખામણીમાં ઘણી વધુ હશે અને આ માટે તીવ્ર િવકિરણની પણ આવશ્યકતા હોય છે, પરંતુ હજુ સુધી કોઇ પણ વૈશ્વિક અભ્યાસમાં તેના કારણે માનવશરીર પર નકારાત્મક પ્રભાવનું તથ્ય સામે આવ્યું નથી, જેના આધારે એવું માનવામાં આવી રહ્યું છે કે ૫-જી લોકોના શરીર પર પ્રભાવ નહીં છોડે.
દિલ્હીની એપોલો હોસ્પિટલના તરુણ સાહનીએ જણાવ્યું કે ઇસીજી પેસમેકર, અલ્ટ્રાસાઉન્ડ જેવાં ઉપકરણોમાં અલ્ટ્રાસાઉન્ડ માટે ઉચ્ચ સ્તરના રેડિયો તરંગોનો ઉપયોગ કરાય છે. આ ઉપરાંત સ્માર્ટ ફોનમાં તેનો ઉપયોગ થાય છે, પરંતુ લોકો પાસેથી સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ પ્રભાવ અંગે હજુ સુધી પર્યાપ્ત પુરાવા મળ્યા નથી.