મનપાની કમાન ભાજપ કોને સોંપશે તેણે લઈને ચર્ચાઑએ જોર પકડયું, મેયર અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનના નામોની સંભાવનાઓ તેજ
ગાંધીનગર મનપામાં ભાજપનો ભવ્ય વિજય
હિતેશ મકવાણાનું નામ મેયર પદની રેસમાં
મહેન્દ્ર પટેલને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન બનાવાય તેવી સંભાવના
ગાંધીનગર મનપામાં ભાજપને હાથે જતાંની સાથે જ હવે મનપાની કમાન ભાજપ કોને સોંપશે તેણે લઈને ચર્ચાઑએ જોર પકડયું છે. ભાજપના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગાંધીનગર મનપામાં મેયર તરીકે હાલ એક ચહેરાને જોવાઈ રહ્યો છે અને તે છે હિતેશ મકવાણા.
બે નામો હાલ ચર્ચામાં
હવે ગાંધીનગરના મેયર પદના નામોની મોટી ચર્ચા થઈ રહી છે. સી આર પાટીલ આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી ગત મહાનગરપાલિકા અને પંચાયતના પ્રમુખના નામો ચોંકાવનારા હતા. અચાનક જ સામાન્ય કાર્યકર્તાઑને પણ મેયર પદે બેસાડી દેવામાં આવ્યા હતા જેમાં અમદાવાદના મેયર કિરીટ પરમારનું નામ લઈ શકાય, પણ રાજનીતિમાં કઈ અચાનક નથી હોતું બધાય સમજી વિચારીને નિર્ણય લેવામાં આવે છે. ત્યારે ગાંધીનગરના મેયરના નામ અંગે પણ ચર્ચા થઈ હોવાનું મનાઈ રહ્યું છે. જેમાં હાલ તો ગાંધીનગર મનપા વોર્ડ 8ના હિતેશ મકવાણાનું નામ આગળ ચાલી રહ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન તરીકે વોર્ડ-10માંથી જીતીને આવેલા મહેન્દ્ર પટેલ બેસાડાઈ શકે છે. ત્યારે આવનાર સમયમાં વધુ ચિત્ર સ્પષ્ટ થતાં રહેશે અનુમાન મુજબ બે દિવસમાં નવરાત્રીના શુભ અવસરે જ ગાંધીનગરને નવા મેયર મળી શકે છે.
ભાજપે 10 વર્ષમાં પહેલીવાર બહુમતી હાંસલ કરી
ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે 10 વર્ષમાં પહેલીવાર બહુમતી હાંસલ કરી છે. મનપાના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપે 41 બેઠક પર વિજય હાંસલ કર્યો છે, જ્યારે કોંગ્રેસને બે અને આપના ફાળે એક બેઠક આવી છે.ત્યારે ગાંધીનગરમાં ભાજપની જીતનો ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.નવા કોર્પોરેટર્સ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કોંગ્રેસ આપને 410 વૉલ્ટ ઝટકો
ભાજપને 46% મત મળ્યા જ્યારે કોંગ્રેસને 28% અને AAPને 21% મત મળ્યા છે. કોંગ્રેસ અને AAPને બન્નેના મતની ટકાવારી ભેગી થાય તો ભાજપથી વધુ મત હાંસલ કરી શકત પણ એવું બન્યું નથી, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મતોમાં મોટું ગાબડું પાડ્યુંહોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે. ગાંધીનગરમાં જીત બાદ ભાજપનો મેગા વિજયોત્સવ સી આર પાટીલે કહ્યું, ચૂંટણીનું પરિણામ કેટલાક લોકો માટે અનપેક્ષિત હતું, આપણો જન્મ જીતવા માટે જ થયો છે. ગાંધીનગર ચૂંટણીનું પરિણામ કેટલાક લોકો માટે અનપેક્ષિત હતું, આપણો જન્મ જીતવા માટે જ થયો છે.ભાજપના દરેક કાર્યકરે નક્કી કર્યું છે કે જે ટિકિટ ન મળે તો પણ કોઈ મનદૂખ વગર જેને ટિકિટ મળી છે તેને વિજય બનાવીશું અને એ ગાંધીનગર અને ગુજરાતની અન્ય ચૂંટણીઑમાં જોવા મળ્યું. ચૂંટણી પહેલા કેટલાક લોકોને ગલગલિયાં થતાં હતા, તેમના સપના તૂટી ગયા, દિલ્હીથી કોઈ ભાઈ આવેલા કહેતા હતા કે ગાંધીનગરમાં સત્તા મેળવીશું, પણ તેમના સપના સપના જ રહ્યા.આપ પાર્ટીનું નામ લેતા મને તો શરમ આવે છે. માંડ એક સીટ મળે છે ને સત્તા હાંસલ કરવાના સપના જોતાં હતા