મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આજની કેબિનેટની બેઠકમાં ચીનમાં સતત વધી રહેલા કોરોના મામલે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાતમાં કોરોના અંગેની સ્થિતિ બગડે નહીં તે માટે અટકાયતી પગલાઓ મુદ્દે સૂચના અપાઈ હતી.
ચીનમાં કોરોનાની ભયાનક સ્થિતિને જોતાં ભારત પહેલાથી જ સતર્ક થઈ ગયું છે. PM મોદી કોરોનાને લઈ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે આજે બપોરે રાજ્યો સાથે બેઠકનું આયોજન કર્યું છે. તો આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટની બેઠકમાં પણ કોરોના પર ચર્ચા કરવામાં આવી હતી.
કેબિનેટ બેઠકમાં કોરોના અંગે કરાઈ ચર્ચા
આજની કેબિનેટ બેઠકમાં કોરોના અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હાલ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. આજની આ બેઠકમાં કોરોના અંગેની સ્થિતિ બગડે નહીં તે માટે અટકાયતી પગલાઓ મુદ્દે સૂચના આપવામાં આવી હતી.
આરોગ્ય મંત્રીએ યોજી બેઠક
કેબિનેટની બેઠક બાદ આરોગ્ય મંત્રીએ આરોગ્ય વિભાગની બેઠક બોલાવી હતી. જેમાં આરોગ્ય મંત્રીએ ઓક્સિજન, બેડ, દવાઓની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરી હતી. આપને જણાવી દઈએ કે, ચીન સહિત દુનિયાના કેટલાક દેશોમાં હવે કોરોના ફરીથી માથુ ઉચકી રહ્યો છે ત્યારે હવે ભારત સરકાર સહિત ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. ગઈકાલે ગાંધીનગર ખાતે કોવિડની સ્થિતિને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. આ તરફ બેઠક બાદ આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, વિદેશી પ્રવાસીઓનુ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારાશે, દવાઓનો પર્યાપ્ત જથ્થો પહોચાડાશે. આ સાથે તમામ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા અને કેન્દ્રની અડવાઈઝરીનુ ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
કોરોનાની વધતી ચિંતાને લઈને ગાંધીનગરમાં મળી બેઠક
કોરોનાની વધતી ચિંતાને લઈને ગઈકાલે ગાંધીનગરમાં બેઠક મળી હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં હાલ કોવિડની સ્થિતિ, વેક્સિનેશન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઇ હતી. વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે ભારત સરકારે પણ કોરોના અંગે સમીક્ષા બેઠક બોલાવી હતી.