મહારાષ્ટ્રમાં 80 કલાકની સરકાર ચલાવનાર પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણલીસ અને NCP નેતા અજિત પવાર ફરી એક વખત રવિવારે વાતચીત કરતા નજરે પડ્યા. આ વાતચીતને લઇને જ્યારે અજિત પવારને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ ફડણવીસ સાથે મીટિંગ દરમિયાન હવામાનના વિષય પર ચર્ચા કરતા હતા.
ગત સરકાર તૂટ્યા બાદ પ્રથમ વખત એક સાથે દેખાયા ફડણવીસ અને અજિત પવાર
આ બન્ને નેતા અંદાજિત 20 મિનિટ સુધી એકબીજા સાથે વાત કરી
કહ્યું- અમે હવામાન અને વરસાદને લઇને ચર્ચા કરી
રવિવારે વર્તમાનમાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાની મહારાષ્ટ્ર સરકારમાં નાયબ મુખ્યમંત્રીના પદ માટે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવી રહેલ અજિત પવાર ગત સરકાર તૂટ્યા બાદ પ્રથમ વખત એક સાથે દેખાયા.
મહારાષ્ટ્રના સોલાપુરમાં અપક્ષ ધારાસભ્ય સંજય શિંદેની દીકરીના લગ્નમાં બન્ને એક સાથે હાજર રહ્યા. આ બન્ને નેતા અંદાજિત 20 મિનિટ સુધી એકબીજા સાથે વાત કરતા રહ્યા.
સોમવારે પુણેના બારામતીમાં ફડણવીસની સાથે મુલાકાતને લઇને પૂછવામાં આવેલ સવાલોના જવાબમાં અજિત પવારે કહ્યું કે, અમે સાથે બેઠા હતા, એનો મતલબ એવો નથી કે અમારી વચ્ચે કંઇક પાકી રહ્યું છે. અમે હવામાન અને વરસાદને લઇને ચર્ચા કરી.
તેમણે કહ્યું કે લગ્નમાં અમારા બેસવા માટે ખુરશીઓ બાજુ બાજુમાં મુકવામાં આવી હતી. રાજનીતિમાં કોઇ સ્થાયી દુશ્મન નથી હોતું. અમે સાથે બેઠા હતા, અમે હવામાનને લઇને વાત કરી.
આ પહેલા ગત અઠવાડીએ ફડણવીસે એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં દાવો કર્યો હતો કે સરકાર બનાવવા માટે અજિત પવારને નહીં તેમને અપ્રોચ કરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઇએ કે NCP ચીફ શરદ પવારના ભત્રીજા અજિત પવારે પરિવાર સાથે વિદ્રોહ કરતા 23 નવેમ્બરની સવારે ભાજપ સાથે મળીને સરકાર બનાવી લીધી હતી. જોકે શરદ પવારની રાજકીય સૂઝબૂઝથી ભાજપે સ્થાયી સરકાર આપવાનું સપનું પૂરુ ન થયું અને અજિત પવાર પરત પોતાના કાકાના પક્ષમાં ચાલ્યા ગયા. જ્યાર બાદ માત્ર 80 કલાકમાં જ ફડણવીસે રાજીનામું આપવું પડ્યું.