ભારત વર્ષ ૨૦૨૨માં ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સનો બહિષ્કાર કરવાની દિશામાં આગળ વધ્યું છે. ભારતીય રાષ્ટ્રીય રાઇફલ સંઘ (NRAI)એ ગઈ કાલે જણાવ્યું કે તેઓ ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના કોમનવેલ્થ ગેમ્સના બહિષ્કાર કરવાના પ્રસ્તાવનું સમર્થન કરે છે.
કોમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગ સ્પર્ધાને સામેલ નહીં કરવાના કારણે ભારત નારાજ છે, કારણ કે ભારતને સૌથી વધુ મેડલ આ સ્પર્ધામાંથી જ મળે છે. IOAએ ગત શનિવારે બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાંથી શૂટિંગને હટાવવા બદલ આ રમતોત્સવનો બહિષ્કાર કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે અને તેના માટે સરકારની મંજૂરી માગી છે. આ અંગે અધ્યક્ષ નરીન્દર બત્રાએ કેન્દ્રીય રમતગમત પ્રધાન કિરણ રિજિજુને એક પત્ર પણ લખ્યો છે.
બીજી તરફ કોમનવેલ્થ ગેમ્સ મહાસંઘ (CGF) IOAને મનાવવા માટે અધિકારીઓ સાથે બેઠક યોજવા ઇચ્છે છે. NRAIના સચિવ રાજીવ ભાટિયાએ જણાવ્યું, ''કોમનવેલ્થ ગેમ્સનો બહિષ્કાર કરવાની વાત છે તેની સાથે અમે પણ IOA સાથે છીએ. નિશ્ચિત રીતે અમે એ રમતોનો બહિષ્કાર કરવાના પ્રસ્તાવનું સમર્થન કરીએ છીએ. અમે IOAનો હિસ્સો છીએ. IOA અધ્યક્ષે સારું કામ કર્યું છે અને IOA જે પણ નિર્ણય કરશે, અમે તેનું સમર્થન કરીશું.''
બીજી બાજુ CGF તરફથી જણાવાયું છે, ''અમે ઇચ્છીએ છીએ કે ભારત કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લે. અમે ટૂંક સમયમાં IOAના અધિકારીઓને મળવા ઇચ્છીએ છીએ, જેેનાથી સમસ્યાનો ઉકેલ લાવી શકાય.'' CGFના મીડિયા એન્ડ કોમ્યુનિકેશન મેનેજર ટોસ ડીગને કહ્યું, ''અમે ઇચ્છીએ છીએ કે ભારત ૨૦૨૨ની બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લે. અમે ટૂંક સમયમાં ભારતમાં અમારા સાથીઓ સાથે બેઠક યોજવા ઉત્સુક છીએ, જેમાં તેમની ચિંતાઓ અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા થઈ શકે.''
આ પહેલાં IOAના અધ્યક્ષ નરીન્દર બત્રાએ અભૂતપૂર્વ નિર્ણય લેતાં ગત શનિવારે રમતગમત પ્રધાન કિરણ રિજિજુને પત્ર લખીને બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગ સ્પર્ધાને હટાવી દેવા બદલ આ રમતોત્સવનો બહિષ્કાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બત્રાએ એ અંગે સરકારની મંજૂરી માગી હતી, જોકે હજુ રમત મંત્રાલયે બહિષ્કાર અંગેની મંજૂરી આપી નથી. આ પહેલાં IOAએ શૂટિંગ સ્પર્ધાને હટાવવાના વિરોધમાં સીજીએફની સામાન્ય સભામાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું, જે સપ્ટેમ્બરમાં રવાન્ડામાં યોજાવાની છે.